મૃત્યુ – જયન્ત પાઠક 5


જ્જે જાણે તે જાણે;
મૃત્યુ એટલે કાચબો
ધીમે ચાલીને એ હંમેશા
સસલાને હરાવે છે.

મૃત્યુ એટલે સોનાનું પતરું
એ કાટથી ખવાતું નથી
લખેલા અક્ષર
કદી ભૂંસાતા નથી

મૃત્યુ એટલે ફૂલ પર
ગણગણતો ભમરો નહિં;
મૃત્યુ એટલે મધમાખી
મૂંગી મૂંગી જે રચે મધપૂડો.

મૃત્યુ એટલે એક અજાણ્યું ઈંડું
ફૂટ્યા વગર એના ગર્ભને
પામી શકાતો નથી.

મૃત્યુ વિશે શ્રી જયંત પાઠકની ઉપરોક્ત રચના ઘણુંય અર્થગંભીર કહી જાય છે, કાંઈક એવું જે સમજવા થોડુંકં આંતરદર્શન કરવું પડે, તે મૃત્યુને કાચબો કહે છે, મધમાખી કહે છે, ઈંડુ કહે છે અને એ બધાંયના સ્પષ્ટીકરણ પણ તેમની આગવી છટામાં આપે છે. આ કવિતા મને ક્યારેક ખૂબ ગમતી, પણ મૃત્યુ વિશે જેટલું વાંચ્યુ હતું, જાણ્યું, સમજ્યું હતું એ બધુંય ભૂલાઈ ગયું, અક્ષરનાદ પર સમયાંતરે મૃત્યુ વિશે લખ્યા જ કર્યું છે પણ એક શાંત સમાધિસ્થ મૃત શરીરને જોઈને, આંખોના આંસુઓમાંથી દેખાતી અવાચક જિંદગીને સમજવાની કોઈ ક્ષમતા ક્યાંથી લાવવી.

જીવનની ઘણી તારીખો, ક્ષણો આખાય જીવનની દિશા બદલી દેતી હોય છે. આવીજ એક ખૂબ જ કપરી ક્ષણ અમારા પરિવારને તા. ૧૦ એપ્રિલ ૨૦૧૦ના દિવસે ધ્રુજાવી ગઈ. મારા પત્નિ પ્રતિભા અધ્યારૂના પિતાજીનું અવસાન થયું. મહુવાથી મુંબઈનો એ રસ્તો, એ સફર જીવનનો સૌથી અઘરો પંથ હતો, કોઈક આપણી આસપાસ સત્તત વહાલનો વરસાદ હોય, છત્રછાયારૂપ હોય, અને અચાનક જતા રહે, વહાલથી હસતા, હસાવતા, સદાય વાતાવરણને જીવંતતાથી ભરી દેનારા જ્યારે સાવ અચાનક મૂંગા થઈ જાય ત્યારે એ મૌનને પચાવવું અઘરું હોય છે. કોઈકની ગેરહાજરી જ આપણને એ અહેસાસ કરાવી જાય કે તેમના વગરના જીવનનો વિચાર પણ નહોતો ત્યારે એવું જીવન જીવવાનું આવ્યું. થાય કે કાશ ! ભગવાન વીતેલો સમય, થોડોક સમય ફરીથી જીવવા આપે…..

ઘણાંય કમનસીબ યોગાનુયોગ પણ જોયા, તેમના મૃત્યુના જ દિવસે અક્ષરનાદ પર કાકાસાહેબ કાલેલકરનું પુસ્તક ‘પરમ સખા મૃત્યુ’ ડાઉનલોડ માટે મૂક્યું હતું. જાણે કિસ્મત પણ કહેતી હોય કે જે લોકોને સમજાવવા નીકળ્યા છીએ એ પહેલા પોતે તો પચાવો ! અને એ દિવસે મારી નોકરી પર જતા જે પુસ્તક વાંચતો હતો એ હતું “પિતા પપ્પા ડેડી’. એક એવા પરિવાર માટે જેમાં ઘરનો મુખ્ય આધારસ્તંભ વ્યક્તિ જતી રહે, તેમની હાલત, કહી કે વર્ણવી શકાતી નથી. સદાય પ્રેરણા અને મહેનતનો પર્યાય એવા પિતા શ્રી પ્રમોદભાઈ ભટ્ટને બધાંય તેમની જીવંતતા, પ્રેમાળ સ્વભાવ અને માયાળુ વાણી માટે સદાય વાંછતા અને હજુ પણ વિશ્વાસ નથી બેસતો કે તેઓ હવે નથી રહ્યાં.

લોકો આવીને જતા રહે છે, સાંત્વના આપવાનો, સમજાવવાનો વ્યર્થ પ્રયત્ન કરીને! પણ એનાથી કોઈ ફરક પડતો નથી, ઉલટું ઘા દૂઝ્યા કરે છે. એક દિકરીની તેના પિતાને આપેલી અંતિમ વિદાયની આવી જ વસમી યાદો અને પ્રસંગો સાથે પ્રભુ અમારા સૌના મનને થોડીક પણ ધીરજ આપે એવી પ્રાર્થના.

– જીજ્ઞેશ અધ્યારૂ


આપનો પ્રતિભાવ આપો....

5 thoughts on “મૃત્યુ – જયન્ત પાઠક

  • B.T.L.

    બહેનશ્રી
    પ્રતિભાબહેનના પિતાશ્રીના આત્માને મોક્ષ પ્રદાન કરી ચિર શાંતિ આપે અને આપ સૌને ઘા સહન કરવાની શક્તિ આપે.

  • ચાંદ સૂરજ.

    પોતિકા તેમજ પારકાને હિંમતની ગાંસડી બંધાવી આપનાર એ બાંધવ અને બહેનને ભલા કેમ કરી કહીએ કે હિંમત ધરશો. હિંમતની વહેતી સરવાણીને કાંઠે બેસી સહાનુભૂતિની જલશિકરો ઉડાડી ભલા હૈયા આપને કેમ કરીને હિંમત ધરવાની પ્રાર્થના કરે. પ્રભુને એજ પ્રાર્થના કે બહેનશ્રી પ્રતિભાબહેનના પિતાશ્રીના આત્માને મોક્ષ પ્રદાન કરી ચિર શાંતિ આપે અને આપ સૌને ઘા સહન કરવાની શક્તિ આપે.

  • Ashwin Muni

    Dear Sir,

    We respect our beloved parrents, in there presence we were very safe & protected. As you are aware that the person has to do everything by himself & Either others help Or protection does not stay longer. So this is also to be think how much time they or anyone may with us.
    We always look out our interest but god knows what to do on time & it happen. As god give us as well as he take up for good but we does not understand. We feel some bad but we should appriciate that everything are good for us because it is god gift.

  • Heena Parekh

    આ સમાચાર જાણીને ઘણું દુઃખ થયું. વડિલોની છત્રછાયામાં જીવતા હોય ત્યારે સતત એમનું માર્ગદર્શન અને આશીર્વાદ જીવવા માટે પ્રેરક બળ સમાન બની રહે છે. પણ જ્યારે આવો વહાલભર્યો હાથ માથા પરથી હટી જાય છે ત્યારે એ છત્રછાયાની ખોટ સતત સાલે છે. દરેકે આ કઠિન પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. આપ સૌને આ આઘાત સહન કરવાની શક્તિ મળે એ જ હરિ સમક્ષ પ્રાર્થના કરું છું.