સાબરના શિંગડા – ઈસપની બોધકથાઓ 11


એક ખૂબ ગાઢ જંગલ હતું, તેમાં અનેક પશુ પક્ષીઓ રહેતા હતાં. એ જંગલની વચ્ચે સાબરનું એક ટોળું રહેતું હતું. એક સાબર તે ટોળામાંથી વિખુટું પડી ગયું હતું. તે ખૂબ તરસ્યું થયું, પાણીની શોધમાં તે ઘણે દૂર આવી ચડ્યું. અહીં તેણે એક તળાવ જોયું. તે નીચું મોં કરી પાણી પીતું હતું ત્યાં તેની નજર પાણીમાંના પોતાના પ્રતિબિંબ પર પડી, એ પોતાના સુંદર રૂપને ઘડીભર જોઈ રહ્યું. પોતાનો ભરાવદાર સુંદર દેહ અને રૂપાળા શિંગડા તેને ખૂબ ગમી ગયાં. પણ તેણે પોતાના પાતળા અને લાંબા પગ જોયા ત્યારે તેને ખૂબ અફસોસ થયો અને શરમ આવી, તે મનોમન બોલ્યું, “અહા, શું મારા શિંગડા છે, જાણે મારા માથા ઉપર સુંદર મુગટ, આ શિંગડાથી તો હું ખૂબ શોભું છું, આ રૂપાળા શિંગડા મારી શાન છે, પરંતુ આ લાંબા કદરૂપા પગથી તો હું લજવાઈ જાઊં છું.”

સાબર પાણી પીતું હતું એવામાં કેટલાક શિકારી કૂતરાઓનો અવાજ એના કાને પડ્યો. એણે શિકારી કૂતરાઓને પોતાની તરફ આવતા જોયાં. સાબર ત્યાંથી જીવ લઈને નાઠું, એ એટલું ઝડપથી દોડ્યું કે જંગલની ઝાડી સુધી પહોંચી ગયું.

પણ એટલામાં પેલા શિકારી કૂતરાઓ પણ ખૂબ ઝડપથી તેની પાછળ પાછળ આવી પહોંચ્યા. સાબર આ ઝાડીમાંથી છટકીને આગળ ભાગી જવા માંગતું હતું. પણ એના વાંકાચૂકા શિંગડા ઝાડીમાં ભરાઈ ગયા, એ ઝાડીમાં એવા તે ફસાઈ ગયા કે સાબર ત્યાંથી ભાગી ન શક્યું.

શિકારી કૂતરાઓ ત્યાં આવી પહોંચ્યા, તેમણે સાબરને ફસાયેલું જોયું અને બધાં એક સાથે તેના પર તૂટી પડ્યા અને તેને ફાડી ખાધું. મરતા મરતા સાબરને થયું, “મારા કદરૂપા પગ જેનાથી હું લજવાઈ જતું હતું એણે તો મારો જીવ બચાવ્યો, પણ આ વખાણેલા રૂપાળા શિંગડા જેને જોઈને મને ગર્વ થતો હતો એણે જ મને ફસાવ્યું, અને મારા મૃત્યુનું કારણ બન્યાં.”

બોધ – સાચા કે ખોટા સાથીદારનું પારખું સંકટ સમયે જ થાય છે.

{ઈસપ ઈસુની છઠ્ઠી સદીમાં ગ્રીસમાં થઈ ગયો હોવાનું મનાય છે, ખરેખર તો તે એક ખરીદેલો ગુલામ હતો અને પોતાના માલિકના બાળકોને ખુશ રાખવા તેણે આ બધી વાર્તાઓની રચના કરી હતી. વાર્તાના પાત્રો રૂપે તેણે લીધેલા જંગલના પ્રાણીઓ જેવા કે વાઘ, સિંહ, શિયાળ, કાગડો, રીંછ, હરણ, ઉંદર, દેડકો જેવા પશુ પક્ષીઓ અને પ્રાણીઓના ઉદાહરણ સાથે સમજાવાયેલી આ વાર્તાઓ નાના બાળકોની સાથે મોટેરાઓને પણ એટલી જ પ્રિય થઈ પડી છે. સાથે સાથે આ વાર્તાઓ વ્યવહારીક જ્ઞાન અને નીતીબોધ પણ સરળ પ્રવાહી ભાષામાં સુપેરે આપી જાય છે. આપણા સાહિત્યમાં પંચતંત્ર અને હિતોપદેશ જેટલું જ મહત્વ પાશ્ચાત્ય સાહિત્યમાં ઈસપની આ બોધકથાઓનું છે. આજે પ્રસ્તુત છે તેમાંની એક સરસ વાર્તા.}


Leave a Reply to RajeshCancel reply

11 thoughts on “સાબરના શિંગડા – ઈસપની બોધકથાઓ