સંતોષની વ્યાખ્યા…. – જીગ્નેશ અધ્યારૂ 6


મહુવાથી વડોદરા આવતા બસમાં પ્રવાસ દરમ્યાન ઉદભવેલા એક વિચારે લાંબા સમયથી ઘેરી રાખ્યો, વિચારનો દિવસ ઉગ્યો પણ આથમ્યો નહીં. વિચાર હતો કે માણસને સંતોષ ક્યારે થાય? કઇ વસ્તુથી થાય? કઇ રીતે થાય? અને ખરેખર થાય કે નહીં? સંતોષનો અર્થ વસ્તુલક્ષી છે કે અનુભૂતીલક્ષી?

મનોમંથનથી વિવિધ વિચારો ઉદભવ્યા, એક વિચાર હતો કે આપણા સંતોષની વ્યાખ્યા તદન વસ્તુલક્ષી છે. માણસને પૈસાથી કદી સંતોષ થયો નથી અને થવાનો નથી. કેટલા પૈસા હોય તો તમને પછી કમાવાની જરૂરત ન લાગે? લાખ… કરોડ……….. કેટલા? આ વાતનો કોઇ જવાબ નથી. કોઇ કહેશે કે પેટ રોજ ખોરાક માંગે, શરીરને રોજ કપડાં જોઇએ, ટીવી જોઇએ, ફ્રીજ જોઇએ, એ સી જોઇએ, એમાં સંતોષ ક્યાંથી લાવવો? ઓવન, ગીઝર, ગાડી, મકાન, ફર્નીચર એ બધુંય તમારી પાસે આવે તો? એ થી વધુ…. એ મળે તો એથીય વધું…. પણ ક્યાંય પૂર્ણવિરામ ન આવે. બસ આ યાદી લાંબી ને લાંબી થતી જ રહે. સંતોષ વસ્તુ લક્ષી છે, આજે તમને ફ્રીજ, મકાન કે ગાડીની જરૂરત હોય, કાલે એ મળી જાય તો જરૂરતો બદલાઇ જાય, ગાડીની ગાડીઓ અને બંગલાનું બંગલાઓ થઇ જાય. જરૂરતો બહુવચનમાં વધ્યા કરે અને સંતોષ ક્યાંય દૂર દૂર સુધી નહીં. કહેવા પૂરતું એમ કહેવાય કે મને મકાન અને ગાડી આવી જાય એટલે બસ, પણ એમ ખરેખર થતું નથી. વસ્તુલક્ષી ધ્યેય કદી પૂર્ણ કરી શકાય નહીં, કારણકે ધ્યેય સતત બદલાયા કરે. અને આમ સામાન્ય અર્થમાં કદી સંતોષ થાય નહીં. કોઇ વસ્તુ એવી નથી જે સંતોષ અપાવી શકે. કોઇ પધ્ધતિ એવી વિકસી નથી જે સંતોષ આપી શકે. “Satisfaction is the root of all earthy belongings, its only the root, not fruit.” સંતોષ મેળવવાની નહીં, પ્રાપ્ત કરવાની વસ્તુ હોઇ શકે. જો કે આ તો થઇ એક તરફની વાત.

ગીરના વનમાં ભટકતા ઘણી વખત નેસ જોયા છે. એક નેસમાં મુલાકાત વખતે તેમાં વસતા કેટલાક માલધારીઓ સાથે વાત થઇ હતી. એમની જીવનપધ્ધતિ અને તેમની મુસીબતો કે મુશ્કેલીઓ જાણવા મળી. રોદણા સ્વરૂપે નહીં, ફરીયાદ સ્વરૂપે પણ નહીં, ખુમારીના એક નવા પ્રકાર સ્વરૂપે, તેમણે ગોઠવેલી જીવનનિર્વાહની અનોખી વ્યવસ્થા વિશે. મૌસમમાં આ માલધારીઓ નેસમાં રહે, ઢોરને ચરાવવા લઇ જાય, તેમની ખૂબ કાળજી રાખે, ડેરી વાળા દૂધ લઇ જાય એ જરાય મિલાવટ વગરનું દૂધ આપે (ગીરમાં રસ્તે ફરતા સાંજે ઘણી જગ્યાએ દૂધના બોઘરણાની હાર જોવા મળશે.) અને આમ પોતાના માલને (ગીરની ભાષામાં પોતાનો સઘળો સંસાર એટલે માલધારીઓનાં ઢોર, તેમની ગાયો, ભેંસો, બકરીઓ, ઉંટો, ઘોડાઓ….) સર્વસ્વ ગણતા એ માલધારીઓનું સઘળું અસ્તિત્વ એ ઢોર અને તેમની જાળવણીની આસપાસ ફર્યા કરે. સિંહ જો ક્યારેક કોઇ ગાય કે ભેંસ કે અન્ય કોઇ માલધારીના ઢોરને મારણ કરે ત્યારે સરકાર તરફથી તેમને એ નુકસાનની ચૂકવણી થાય છે. પણ આ બધી વાતો ફક્ત અમુક મહીનાઓ પૂરતી સીમીત રહે….

શિયાળાની અંતનો એક મહીનો, ઉનાળાના ચાર મહીના અને વરસાદની શરૂઆતના બે મહીના, આમ લાંબો વખત જીવનનિર્વાહ માટે તેમણે સ્થળાંતર કરવું પડે છે. પોતાના ઢોરને જે માલધારી ભાઇ ગીરમાં રહેવાના હોય તેમને સોંપીને તે નીકળી પડે. ઘણાં માલધારીઓ સૂરત જાય, ઘણાં અન્ય જગ્યાએ. પચાસ સાહીંઠ ઢોર વાળા માલધારીઓ સૂરત જઇને કોઇ ખચકાટ વગર મજૂરી કરે. આ કપરા મહીનાઓ ફક્ત પસાર કરવા પૂરતી મજૂરી કરે. ખાવા પૂરતું કમાય અને મૌસમ આવે પછી પાછા ગીરમાં….

ગીરની ભોમકાનો પ્રતાપ કહો કે તેમનો સંતોષ પણ હજી સુધી મેં એવું સાંભળ્યું નથી કે કોઇ માલધારી તેમના ઢોરને સંભાળવા પાછા ન આવ્યા હોય. ગીરમાં ક્યારેક ખૂણે ખાંચરે નેસના નાનકડા ઝૂંપડાની બહાર રાતે દીવડાના પ્રકાશે લીંપેલી જમીન પર બેસીને રામસાગરના તારે ગવાયેલા કોઇક ભજનને સાંભળો તો એમાં સતોષનો એક અર્થ આપમેળે સમજાઇ જાય. ગીરની આ વાત એટલે કરવાની ઇચ્છા થઇ કારણકે એ જમીનમાં, એ વિસ્તારની અનેક જગ્યાઓમાં, સતની અનેકો સરવાણીઓમાં સંતોષની ધારાઓ ઠેર ઠેર વહે છે. પ્રથમ વખત ગીરમાં ગયો ત્યારે વીચારેલું કે આ લોકોને ટીવી, કોમ્પ્યુટર, ઇંટરનેટ, ફ્રીજ, ગીઝર, માઇક્રોવેવ, કાંઇ વાપરવાનો વિચાર પણ નહીં કરવાનો એમાં રહેવાય કઇ રીતે? નેસમાં જંગલખાતાની પરવાનગી વગર એ કાંઇ સુધારા પણ ન કરી શકે, જંગલખાતાના પ્રતાપે અને વનની જાળવણીના શુભ હેતુને ધ્યાનમાં રાખીને અહીં વીજળી અપાઇ નથી, એ આશિર્વાદ છે કે શ્રાપ?

એક વિસ્તારમાં નેસની મધ્યમાં એક સોલર લાઇટ લગાડવાની પરવાનગી અપાઇ ત્યારે ઉત્સવ ઉજવાયેલો. એ લોકોની જરૂરત ઢોરને ચરાવવા માટે ઘાસ અને રહેવા માટે નેસ. આ સંજોગો તેમના સર્જેલા નથી. આ સંજોગો તેમને વારસામાં મળ્યા છે. અને સાથે વારસામાં તેમને મળે છે એક સંતોષ. જે મળ્યું એમાં મૌજ કરવી. ગીર મને ખૂબ આકર્ષે છે, તેનું એક સબળ કારણ છે ત્યાં જતા વસ્તુઓનો અર્થ રહેતો નથી. નથી મોબાઇલનો અર્થ કે નથી ટીવીનો. ભૌતિક એવી કોઇ પણ વસ્તુ કલ્પો જેના વગર તમને ન ચાલતું હોય, ગીરમાં તેની કોઇ જરૂર નથી. જરૂરત છે ફક્ત એક સુંદર હ્રદય, સંતોષી મન અને મનની એ આંખો જે કુદરતે વિખરેલી સુંદરતાને જોઇ શકે, માણી શકે, સંતોષ કોને કહેવાય એ વ્યાખ્યાનો વિષય નથી, અનુભવવાનો વિષય છે, અને એ અનુભવ ગીર સિવાય ક્યાંય આવો સજ્જડ ન થઇ શકે.

ઓશો કહે છે કે તમને ગમતી વસ્તુઓનો ઉપભોગ કરો, કર્યા જ કરો, કર્યા જ કરો. એક દિવસ એવો ઉગશે કે તમને તેનાથી કંટાળો આવશે, તમારું ચિત્ત તેનાથી ઉબાઇ જશે અને અંતે એ વસ્તુ તરફ, એવી બધી વસ્તુઓ તરફ એક વૈરાગ્ય ઉત્પન્ન થશે. તમને ગમતી વસ્તુનો ઉપભોગ તમને સમાધિનો આનંદ આપશે અને એ વસ્તુને છોડવાનો આનંદ પણ સમાધિનો એક પ્રકાર બની રહેશે. બંને સંજોગોમાં સંતોષ પરમ સુખ બનીને આવે છે.

પૂજ્ય શ્રી મોરારીબાપુની ભીમાશંકરમાં ચાલી રહેલી કથામાં એક સુંદર ઉદાહરણ મળ્યું. તેમણે ઘાસ અને ગુલાબનું ઉદાહરણ આપ્યું. ઘાસને પ્રભુ એક વરદાન આપવાનું નક્કી કરે છે અને ઘાસ ગુલાબનો નાનકડો છોડ બનવાનું વરદાન માંગવાનું નક્કી કરે છે. ઘાસને તેની સાથેનું ઘાસ આસપાસની વનસ્પતિઓ સમજાવે છે કે ગુલાબ બન્યા પછી તારી હાલત નાજુક થઇ રહેશે, વરસાદ તારી પાંખડીઓને તોડી નાંખશે, સૂર્યપ્રકાશ છોડને સૂકવી નાંખશે અને વાવાઝોડું છોડને મૂળમાંથી ઉખાડીને ફેંકી દેશે. ઘાસને આ બધી વાતનો કોઇ ડર રહેતો નથી, એટલે એવું વરદાન ન માંગવું. પણ એ ઘાસનું તણખલું પોતાની વાત પર અડગ રહે છે અને ગુલાબના છોડ પરનું ગુલાબ બને છે. વરસાદ તેની પાંખડીઓ તોડી નાખે છે, તડકો તેને સૂકવી નાખે છે અને વાવાઝોડામાં તે છોડ મૂળમાંથી ઉડીને ફેંકાઇ જાય છે. પણ જમીન પર પડેલું ગુલાબ એ સંતોષ સાથે અંતને પામે છે કે તેણે પરમ પ્રાપ્તિના સુખને અનુભવ્યું છે. ઘાસ બનીને એ અનંત સમય જીવી શક્યું હોત પણ તેમાં સંતોષ ન હોત, પ્રાપ્તિનો, ભલે ક્ષણિક, પણ આનંદ ન હોત. આમ સંતોષ મનનો એક ભાવ છે, એ ફક્ત ક્યારેક થોડીક ક્ષણો અનુભવી શકાય છે. વસ્તુઓ અને સંબંધો કદી એ અનુભવ ન કરાવી શકે.

સંતોષ અનુભવી શકાય, અનુભવવો હોય તો અને માણી શકાય, જો માણવો હોય તો. જો તમે માનો છો કે તમે સુખી છો કે દુ:ખી છો તો એ બંને સંજોગોમાં તમે સાચા છો, અર્થ કે તમારા પોતાના સિવાય તમને કોઇ સુખી કે દુખી ન કરી શકે. કોઇ તમને સંતોષ આપી ન શકે, એ તો તમારે મેળવવો પડે.


આપનો પ્રતિભાવ આપો....

6 thoughts on “સંતોષની વ્યાખ્યા…. – જીગ્નેશ અધ્યારૂ

  • nilesh ajmera

    પ્રિય ભાવેશ,
    હું તમારી વાત સાથે સંપૂર્ણપણે સંમત છું. સંતોષ અનુભવી શકાય, અનુભવવો હોય તો અને માણી શકાય, જો માણવો હોય તો.તમારા પોતાના સિવાય તમને કોઇ સુખી કે દુખી ન કરી શકે.કોઇ તમને સંતોષ આપી ન શકે, એ તો તમારે મેળવવો પડે.

  • reteka

    “જો તમે માનો છો કે તમે સુખી છો કે દુ:ખી છો તો એ બંને સંજોગોમાં તમે સાચા છો, અર્થ કે તમારા પોતાના સિવાય તમને કોઇ સુખી કે દુખી ન કરી શકે. કોઇ તમને સંતોષ આપી ન શકે, એ તો તમારે મેળવવો પડે.”

    બિલ્કુલ સાચિ વાત કહિ…સન્તોશ્-સુખ અન્ને દુખ, વ્યક્તિ ના મન ના ઉભા કરેલ કારન્ હોય છે,

  • adhyaru Post author

    પ્રિય ભાવેશ,

    હું તમારી વાત સાથે સંપૂર્ણપણે સંમત છું, અંતિમ ફકરો ઘણાં અર્થો તરફ સૂચવે છે, પણ એ બધાં એક જ દિશાના અર્થો છે, એને સ્થૂળ સ્વરૂપે પણ લઇ શકો, સૂક્ષ્મ સ્વરૂપે પણ…

    સંતોષની વ્યાખ્યાની અંતિમ વાત એ જ હોઇ શકે કે તેનો અર્થ બધા માટે અલગ અલગ છે, કોઇ એક વ્યક્તિ માટે સંતોષ વસ્તુઓ કે સંબંધો પર આધારીત હોઇ શકે, ઘાસ માટે બીજા ઘાસની સાથે રહેવું, તોફાનમાં નમીને પોતાનું અસ્તિત્વ બચાવવું તેના સંતોષનો એક પ્રકાર છે.

    પણ ગુલાબ માટે એમ નથી, જે ઘાસ ગુલાબ બને છે તેના માટે તે જ્યારે ઘાસ હોય ત્યારે તેને આ વસ્તુઓ સંતોષ નથી આપતી, તેને ભલે થોડીક ક્ષણો માટે, પણ આનંદની મહત્તમ સીમા ઓળંગવી છે, પછી ભલે તેના માટે જીવન અંતને પામે, કારણકે આ સંતોષ વગર તેના મતે તેનું જીવન આમ પણ વ્યર્થ છે જ….

    જો કે આ મારો મત છે અને મેં આગળ કહ્યું તેમ સંતોષનો અર્થ વ્યક્તિએ વ્યક્તિએ બદલાય છે….

    પ્રતિભાવ બદલ ખૂબ આભાર

  • Bhavesh Bhatt

    Good One Jignesh. I like the way you justified both sides of thinking. But the last paragraph has got multiple meanings. What I understood is that you are describing urban defination on satisfaction by giving an example of rose, where so called educated man runs his whole life to get something. (but he never dies with satisfaction) and you compared the weed as a rural lifestyle where they dont have any desire, they dont have any wishes from life (just like weed has no wishes from god)…. Looks bit irrelevant exapmple to me and resisting the overall meaning of satisfaction. Please explain me if I am wrong.