મૃત્યુ, થોભી જા બે ઘડી – પ્રવીણભાઈ ઠક્કર 5


મૃત્‍યુને જીવનમાં ફેરવી દઉં

 

જીંદગીએ કરી નરી બેવફાઇ,

 

હે મૃત્યુ સાચી સમજ તું તો દેજે,

 

નફરત ને ધિક્કારને

 

પ્રેમમાં પલટાવવાની રીત તો દેજે.

 

કંઇક શબ્‍દોના વ્‍યર્થ પૃથ્થકરણે

 

જીવનના સંબંધો બગાડ્યા,

 

હે મૃત્‍યુ, તું તો સુધારી દે,

 

આપી અભય વરદાન એ શાશ્વત સ્‍નેહનું

 

પરીક્ષાની આગલી રાત્રિએ જ

 

ગણિતના અઘરા કોયડા ઉકલ્‍યા,

 

તેમ મૃત્યુએ તેના છેલ્લા પ્રકરણમાં

 

સ્‍નેહના પગરણ માંડ્યા

 

જીંદગી ફરી મળે તો,

 

પ્‍યાર વહાવી દઉં અફાટ અવકાશમાં

 

ધિક્કારના અવકાશને સ્‍નેહથી ભરી દઉં,

 

આપ ઘડી બે ઘડી, હે મૃત્‍યુ,

 

 

હે મૃત્‍યુ થોડું તો થોભી જા,

 

તું તો ના કર બેવફાઇ,

 

તું ક્યાં જીંદગી છે?

 

હે મૃત્‍યુ, તને વ્‍હાલ કરી લઉં

 

નફરતને પ્‍યારમાં ફેરવી દઉં,

 

મૃત્‍યુને જીવનમાં ફેરવી દઉં.

 

*********************

 

ઈશ્વર પ્રવેશે છે,

 

સ્નેહના આ સાગરમાં

 

અમારા દીપ પ્રગટી ઉઠ્યા.

 

શ્રધ્ધાના અમારા દીવડાઓમાંથી

 

નીકળતા કિરણોમાં જોયું તો

 

અહમના વજનથી મુક્ત એવા અમે

 

આયાસ વિના જ તરી રહ્યા હતા

 

એક આનંદ સાગરમાં

 

આનંદ સાગરના આ નવા અનુભવથી

 

રોમાંચિત થયું રોમે રોમ

 

અને હ્રદયતલમાંથી ઉભરી રહેલા આનંદ સાથે

 

વૃક્ષો રસ્તાઓ અને ગગન સાગર અને સર્વે

 

મંદ મંદ મુસ્કુરાતા લાગ્યા

 

એ સઘળામાંથી પ્રાપ્ત શાંતિના વિશ્વમાં

 

અભિન્ન લાગ્યા

 

દીપક કિરણો શ્રધ્ધા સ્નેહ સાગર અને સઘળા


કદાચ એ જ દ્વાર છે

 

જ્યાંથી ઈશ્વર પ્રવેશે છે

 

 – પી. યુ. ઠક્કર

 

( પ્રવીણભાઈ ઠક્કરનો જ્યારે પ્રથમ વખત આ અઠવાડીયા માં લેખ આપવા માટે સંપર્ક કર્યો ત્યારે તેમણે એ શંકા દર્શાવી કે હું તો એ પ્રકારના લેખ લખી શક્તો નથી. મેં કહ્યું કે તમે આધ્યાત્મ કે પ્રભુ પ્રત્યે સ્નેહ દર્શાવતા જે લખો છો તેનો લાભ અમને કેમ ન મળવો જોઈએ? સ્નેહ એ ફક્ત સાંસારીક સંબંધો માટેજ શું સીમીત છે? પ્રભુ પ્રત્યે એક ભક્તનો સ્નેહ ન હોઈ શકે? સ્નેહને વળી બંધન કેવા?

તેમના શબ્દોમાં ” સરકારી નોકરીના ભાગરૂપે discriptive પ્રકારના કામને કારણે ખ્યાલ આવ્‍યો કે લેખન શક્તિ ઇશ્વરે આપેલી છે. મારી શક્તિઓનો ઉપયોગ કરવા મિત્રોના બાળકોને નિબંધો લખી આપવા મિત્રો કહેતા તો લખી આપતો. લખતાં લખતાં મને પણ મઝા આવતી.

ક્યારેક જાગતા ભાવને કારણે, અને નહીં માત્ર લખવા ખાતર જ લખવું; એ રીતે થોડુક લખાયું. મારા ધર્મપત્નિ અમદાવાદના ઘણાં જાણીતા કીર્તનકાર, ભજનિક અને આખ્યાનકાર છે. ધર્મપત્નિની સાથે થતી આધ્યાત્મિક ચર્ચાઓને કારણે લખવાની પ્રેરણા મળતી રહે. અને વિચારો ઘૂંટાય. રોજ ત્રણ કલાક વ્યાસપીઠ પર બેસીને પાંચસોથી સાતસો જણને સંબોધનાર આગળ હું વક્તા બનુ અને માર પત્નિ એક સારા મિત્રની જેમ શ્રોતા બને, એ રીતે મારુ લખાણ બળવત્તર થતુ ગયુ.” 

 

તેમના બ્લોગ http://puthakkar.wordpress.com/ પર તેમના વિચારોની ઝલક અને તેમના આધ્યાત્મિક રચનાત્મક લેખ અને કવિતાઓ પણ માણી શકાય છે. અધ્યારૂ નું જગતને સ્નેહ અઠવાડીયા માટે આ રચનાઓ મોકલવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. આશા છે કે તેમના તરફથી આવોજ સાથ સહકાર મળતો રહેશે. )


5 thoughts on “મૃત્યુ, થોભી જા બે ઘડી – પ્રવીણભાઈ ઠક્કર

  • Ghanshyam Patel

    કંઇક શબ્‍દોના વ્‍યર્થ પૃથ્થકરણે
    જીવનના સંબંધો બગાડ્યા

    ખૂબ જ સરસ વાત કહી છે. લોકો વાતવાતમાં અર્થોનો અનર્થ કરીને એકબીજા સાથેના સંબંધોમાં કડવાશ પેદા કરે છે. એ વાત ખૂબ જ સરસ રીતે રજૂ કરી છે.

  • KUNAL TRIVEDI

    મોતે ભાગે જિન્દગી વિશે તો બહુ વાંચ્યુ પણ મ્રુત્યુ વિશે આવી સરસ રચના વાંચવાની મઝા આવી.ફરી આવી કૈક નવીન રચના આપતા રેહજો.
    આભાર.

    Best Regards,
    ER. KUNAL M. TRIVEDI
    PIPAVAV SHIPYARD PVT. LTD.
    AMRELI.