ગઝલ રચના – બંધારણ વિશે થોડુંક 16


થોડા વખત પહેલા મેં લખેલી એક ગઝલ પર પ્રતિભાવ આપતાં એક મિત્રએ કહ્યું કે ગઝલ તેના પ્રકારો અને ગઝલ બંધારણ વિશે થોડુંક લખશો તો મજા આવશે. મારી મર્યાદિત જાણકારી અને ઈન્ટરનેટની મદદથી  આ લેખ તૈયાર કર્યો છે. ગઝલ વિશે ઘણું લખાયું છે અને લખાતું રહેશે. ગઝલ અને તેના બંધારણ વિશે મેં નેટ પર શોધ ચલાવી, અને તેનું પરીણામ એ આ લેખ.

ગઝલ એ કવિતાનો એક એવો પ્રકાર છે જેની રચનાનાં મૂળભૂત એકમો એટલે કે “શેર” (જે મોટેભાગે અંત્યાનુપ્રાસમાં હોય છે), ના સંયોજન અને સમાવેશથી બનતી રચના. ઈ.સ. ૬ઠ્ઠી સદીની આસપાસ અરેબીક રચનાઓમાં તેના મૂળ માનવામાં આવે છે. તેનો ઉદભવ આરબ પ્રશસ્તિ પ્રકાર કસીદા માંથી થયો હોય તેમ માનવામાં આવે છે. ભારતમાં ગઝલનો વિસ્તાર ૧૨મી સદીમાં અહીંના શાશક બાદશાહો અને સૂફી સંતો વડે થયો મનાય છે. મૂળભૂત પર્શિયન અને ઉર્દુ કવિતાનો એક પ્રકાર એવી ગઝલ આજે ઘણી ભારતીય ભાષાઓની કવિતાનો એક આધારસ્તંભ છે.

પર્શિયન કવિ જલાલ-અલ-દીન મુહમ્મદ રુમી (૧૩૩મી સદી), હફીઝ (૧૪મી સદી), ફઝૂલી (૧૬મી સદી), અને પછી મિર્ઝા ગાલિબ (૧૭૯૭-૧૮૬૯) મહમ્મદ ઈકબાલ (૧૮૭૭-૧૯૩૮) વગેરેનો ગઝલના વિકાસ અને વિસ્તારમાં ફાળો નોધપાત્ર છે. જો કે જ્હોન વુલ્ફગેગ વાન ગોધ દ્વારા ૧૯મી સદીમાં ગઝલો જર્મનીમાં પણ ખૂબ પ્રખ્યાત થઈ.

ગઝલ બંધારણ વિશે

સામાન્ય રીતે ગઝલ બે પંક્તિના એક એવા પાંચ કે વધુ જોડકાંઓ (શે’ર) ની બનેલી હોય છે. ગઝલનાં વિવિધ ભાગો અને તેના બંધારણને સમજવા માટે એક ગઝલનું ઉદાહરણ લઈએ.

कोई उम्मीद बर नहीं आती
कोई सूरत नज़र नहीं आती

मौत का एक दिन मु’अय्याँ है
नींद क्यों रात भर नहीं आती

आगे आती थी हाल-ए-दिल पे हँसी
अब किसी बात पर नहीं आती

जानता हूँ सवाब-ए-ता’अत-ओ-ज़हद
पर तबीयत इधर नहीं आती

है कुछ ऐसी ही बात जो चुप हूँ
वर्ना क्या बात कर नहीं आती

क्यों न चीख़ूँ कि याद करते हैं
मेरी आवाज़ गर नहीं आती

दाग़-ए-दिल नज़र नहीं आता
बू-ए-चारागर नहीं आती

हम वहाँ हैं जहाँ से हम को भी
कुछ हमारी ख़बर नहीं आती

मरते हैं आरज़ू में मरने की
मौत आती है पर नहीं आती

काबा किस मुँह से जाओगे ‘ग़ालिब’
शर्म तुमको मगर नहीं आती

શે’ર એ બે પંક્તિની કવિતા છે. આ તેની ખૂબ મૂળભૂત વ્યાખ્યા છે. શે’ર પોતાનામાં જ એક સંપૂર્ણ કવિતા મનાય છે. તેને પોતાનો સંદેશો આપવા માટે બીજા કોઈ માધ્યમની જરૂર નથી. ઘણી વાર આખી ગઝલનો મતલબ કે સાર એક જ શે’ર વર્ણવી દે છે, અને આમ શે’ર કાવ્ય અભિવ્યક્તિનું એક ખૂબ સશક્ત માધ્યમ મનાય છે. ઉપરની ગઝલમાં બધા શેર સ્વતંત્ર રીતે પણ બયાન કરી શકાય છે. શે’ર માટે ગઝલ બંધન નથી પણ ગઝલ સંપૂર્ણ થવા માટે શે’રનું હોવું જરૂરી છે.

બેહર એ શેર ની માપણીનો એકમ છે, તેના ઘણા પ્રકારો છે પરંતુ મૂળભૂત રીતે તે ટૂંકા, મધ્યમ અને લાંબા એ વિભાગોમાં વહેંચાય છે.

ટૂંકા –

दिले नादां तुजे हुआ क्या है,

आखिर ईस दर्दकी दवा क्या है.

મધ્યમ –

दिल से तेरी निगाह जिगर तक उतर गई

दोनों को इक अदा में रज़ामन्द कर गई

લાંબા –

ऐ मेरे हमनशीं, चल कहीं और चल, ईस चमनमें अब अपना गुजारा नहीं,

बात होती गुलोंकी तो सह लेते हम, अब तो कांटो पे भी हक हमारा नहीं.

તો ગઝલ એટલે સમાન બેહર વાળા શેરનું સંયોજન….

રદીફ – ગઝલમાં દરેક શે’રની બીજી પંક્તિનો અંત સમાન શબ્દોથી થવો જોઈએ. આ બીજી પંક્તિના અંતભાગમાં પુનરાવર્તિત થતા શબ્દોને રદીફ કહે છે. ઉપરની ગઝલમાં “નહીં આતી” રદીફ છે.

કાફીયા – ગઝલનાં દરેક શે’રની બીજી પંક્તિના અંતે આવતા રદીફ પહેલાનાં પ્રાસ વાળા શબ્દને કાફીયા કહે છે. ઉપરોક્ત ગઝલમાં બાર, નઝર, પર,મગર વગેરે કાફીયા છે. અન્ય નિયમોમાં ઘણી વાર છૂટછાટ લઈ શકાય છે પરંતુ રદીફ અને કાફીયા માટે તે શક્ય નથી કારણકે તે ગઝલના બંધારણીય એકમો છે.

મત્લા – ગઝલના પહેલા શે’ર ની બંને પંક્તિઓમાં અંતે રદીફ હોય છે, અને આ શેરને ગઝલનો મત્લા કહે છે. ગઝલ ઘણી વાર તેનાં મત્લાથી ઓળખાય છે. ગઝલમાં એક થી વધારે મત્લા હોઈ શકે છે, અહીં બીજા મત્લાને મત્લા-એ-સાની કે હુસ્ન-એ-મત્લા કહે છે.

મક્તા – ગઝલનો છેલ્લો શેર જેમાં સામાન્ય રીતે શાયરનું તખલ્લુસ શામેલ હોય છે તેને મક્તા કહેવાય છે (તખલ્લુસ એ શેરનાં એક અર્થ તરીકે હોઈ શકે કે પછી ફક્ત ગઝલકારનાં નામનો નિર્દેશ પણ કરતું હોઈ શકે.

ગઝલ વિશે અગત્યનું

ગઝલને કોઈપણ ભાષાના બંધનો નથી નડતાં, અંગ્રેજી, મરાઠી, જર્મન જેવી અનેક ભાષાઓમાં ગઝલો રચાઈ અને આવકારાઈ રહી છે. ગુજરાતી ભાષાને તો ગઝલનો ઘણો જૂનો નાતો મળ્યો છે.

ખૂબ જવલ્લે ક્યારેક ગઝલમાં રદીફ નથી હોતા આવી ગઝલને ગૈર મુરદ્દફ ગઝલ કહે છે.

બધાં શેર જો કે અલગ અલગ અને સ્વતંત્ર હોવા છતાં દરેક શેરનો ભાવ ગઝલના ભાવને પ્રગટ કરતો હોય તો જ ગઝલ એક સંપૂર્ણ પ્રકાર બને છે.

તત્કાલીન ઉર્દુ અને ગુજરાતી ગઝલોમાં ઘણી વાર સમાન બહેર નથી વપરાતાં પણ તેમાંય કાફીયા અને રદીફના નિયમો હોય છે.

આધુનિક ગઝલોમાં મક્તા સામાન્ય શેર બની રહે છે અથવા તો ફક્ત ગઝલકારના તખલ્લુસનો સમાવેશ કરવા ગઝલનાં મૂળ ભાવથી અલગ એમની રચના થાય છે.


16 thoughts on “ગઝલ રચના – બંધારણ વિશે થોડુંક