દિકરી વહાલનો દરીયો – વિકાસ બેલાણી 8


 “ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી,
જે સારા હોય છે એની દશા સારી નથી હોતી.”

આ ઘટના ગયા મે – જુન માસની છે,અને હું આ ઘટના ક્યારેય ભૂલી શકું એમ નથી. હું જ્યારે પણ એના વિશે વિચારું ત્યારે આંખમાંથી આંસુ નીકળી આવે છે.

એ સમયે હું સુઝલોન એનર્જી નામની કંપનીમાં જોબ કરતો હતો,હું એમાં ઇન્ફ્રાસ્ટ્ર્ક્ચર પ્લાનીંગ – ડેવેલોપમેન્ટ ડિપાર્ટમેન્ટ માં એન્જિનીયર હતો. મારી ફરજના ભાગરૂપે મારે ઘણીવાર ગુજરાત અને રાજસ્થાનની સાઇટ પર લાંબી-લાંબી ટુર કરવાની થતી અને એ ટુર દરમીયાન ઘણીવાર અવનવા અનુભવો થતા. અહિં જે ઘટનાની વાત કરવાનો છું એ આવી જ એક ટુર દરમીયાન બનેલી.

મે-જુન નો એ સમય હતો, મને અચાનક જ રાજકોટ – જામનગર અને પોરબંદર  જિલ્લાઓની નજીક આવેલી તમામ સાઇટોનો સર્વે કરવાનો  ઓર્ડર મળ્યો હતો. હું વડોદરાથી બસમાં રાજકોટ જવા નીકળ્યો, ત્યાં થોડું પ્લાનીંગ કરી એક આસીસ્ટન્ટ સાથે બીજે દિવસે મારે ગાડી લઇ નીકળવાનું હતું. બીજા દિવસે ડ્રાઇવર ગાડી લઇને આવી ગયો અને અમે ત્રણ જણ, હું, મારો  આસીસ્ટન્ટ અશોક, અને ડ્રાઇવર સર્વે માટે નીકળી પડ્યા. એ સમયની વાત કરું તો ઊનાળો એના ચરમ પર હતો,  વરસાદને તો હજી વાર હતી અને સુર્યનારાયણ આકાશમાંથી ભયંકર આગ વર્ષાવી રહ્યાં હતાં. અમે લોકો ધોરાજી – ઉપલેટા તરફ જઇ રહ્યાં હતાં.અમે ત્યાંનું કામ ફટાફટ પતાવી આગળ જવા નીકળ્યા. અમારે જેમ બને એમ બરડા ડુંગર (પોરબંદર) તરફ જવું હતું.આગળથી એક રસ્તો ભાણવડ તરફ જતો હતો જે બાજુ અમારે જવાનું હતું. બપોરના લગભગ બે વાગ્યા હતાં,ધોમધખતો તાપ હતો અને રસ્તા પર એકલ-દોકલ વાહન સિવાય દુર સુધી કોઇ દેખાતું ન હતું. અમારી ગાડી પણ ઝડપથી આગળ વધી રહી હતી.

અચાનક દૂર રસ્તા પર એક આકૃતિ દેખાઇ, કોઇ લથડીયાં ખાતું-ખાતું,રસ્તાની વચ્ચોવચ્ચ ચાલતું હોય એવું લાગ્યું. થોડા નજીક જતાં ખબર પડી કે એ એક વૃધ્ધ દાદા હતાં. એ રસ્તાની વચ્ચોવચ્ચ આમ તેમ ચાલી રહ્યાં હોવાથી અમારા ડ્રાઇવરે ગાડી એક્દમ ધીમી પાડી દીધી અને સાઇડમાંથી આગળ લીધી, એ જ સમયે મને પાણી-પાણી એવો સાદ એ દાદાના મુખે થી સંભળાયો. મેં તરત જ ગાડી ઉભી રખાવી અને હું બહાર નીકળ્યો.

પહેરવેશ પરથી એ દાદા માલધારી હોય એવું લાગ્યું, સિતેર વટાવી ગયેલું જિર્ણ શરીર, મેલુ-ઘેલુ કેડીયું અને ખભે એક પોટલી. સૌપ્રથમ તો મે એમને પાણી આપ્યું, બોટલ એમણે પકડી રાખી પણ પાણી પીધું નહીં એટ્લે મેં એમને પાણી પીવા કહ્યું પણ પછી મને ખબર પડી કે દાદા કાને બહુ ઓછુ સાંભળતા હતાં. મે જોરથી કહ્યું તો એમણે એમની પાસેથી એક લોટો આપ્યો. મેં એમા પાણી ભરી દીધુ એ એમણે પીધું, પછી મને શાંતિ થઇ. મે એમને ક્યાં જવું છે એવું ઘણી વાર પુછ્યું પણ એમણે કોઇ જવાબ આપ્યો નહીં, છેવટે અમે આગળ નીકળી ગયા પણ એ દાદા અને એમના વિશેના પ્રશ્નો મારા મનમાં સતત ઘુમરાતા હતાં. કોણ હશે એ દાદા? એવા વગડામાં એવા તાપમાં કેમ ભટકતાં હશે? એકલા હશે કે ઘરેથી આજકાલના દિકરાઓએ કાઢી મુક્યા હશે? અને એવા તો કેટલાય પ્રશ્નો મારા મનમાં ઉઠતા હતાં.

બીજા દિવસે અમે પોરબંદર થી ભાટીયા થઇ જામજોધપુર પહોંચ્યા, ત્યાંથી પછી યાદ આવ્યું કે ભાણવડ નજીક એક ગામનો સર્વે બાકી રહી ગયો હતો. અમે જામજોધપુરથી આગળ ભાણવડ માટેનો એક શોર્ટકટ લિધો. બપોરના લગભગ ત્રણ થયા હતા, આકરો તાપ હતો, રસ્તો સુમસામ હતો.ભાણવડ એક્દમ નજીક આવી રહ્યું હતું ત્યારે જ અચાનક એ દાદા ફરી દેખાયા, દાદા એ જ  અવસ્થામાં હતાં, સમય પણ એવો જ હતો, ફક્ત રસ્તો અલગ હતો. મેં ગાડી ઉભી રખાવી અને પાણી લઇ બહાર નિકળ્યો, એમના કહ્યા વગર જ મેં એમને એમના લોટામાં પાણી આપ્યું,એમણે એ પીધું, પણ આ વખતે મારી જિગ્નાશા ખૂબ જ વધી ગઇ હતી! મારે એમના વિશે જાણવું હતું.

અમને લોકોને ત્યાં ઉભા જોઇ રસ્તેથી નિકળતા બે -ત્રણ માલધારી યુવકોએ એમની મોટર-સાયકલ ઉભી રાખી.અમને આ રીતે દાદા સાથે જોઇ એ લોકો પરિસ્થિતી પામી ગયા હોય એવા ચહેરા સાથે એમાના એકે મને પ્રશ્ન કર્યો “સાહેબ શું વાત છે?”, એટલે મેં એમને આખી વાત જણાવી. એમણે પણ દાદાની સાથે થોડી વાત કરવાનો પ્રયત્ન કર્યો અને પછી અમને ત્યાંથી નીકળવા જણાવ્યું. મેં એમને કહ્યું કે દાદાને જ્યાં જવું હોય ત્યાં હું ઉતારી દઇશ પણ એ લોકોએ મને સમય ન બગાડ્વા કહ્યું. મેં જ્યારે એ લોકોને પુછ્યું કે દાદા કોણ છે અને આમ કેમ ફરે છે! ત્યારે એમણે મને કહ્યું કે ” સાહેબ, આ દાદાને પરીવારમાં માત્ર એક દિકરી હતી, અને એના ઘણા કોડથી લગ્ન કર્યાં હતાં. દાદાને મન એમની દિકરી જ એમનું સર્વસ્વ હતી, પણ એના સાસરીયાઓએ પૈસાની લાલચે એમની એ એકની એક દિકરીને મારી નાંખી. એ આઘાત દાદાથી ના જિરવાયો અને એ માનસીક સંતુલન ગુમાવી બેઠા. બસ ત્યારથી એ ભુખ્યા અને તરસ્યા રસ્તાઓ પર ભટક્યા કરે છે. તમારા જેવું કોઇ પાણી પીવડાવે તો ક્યારેય કોઇ એમને જમાડે, અને બસ આ રીતે એમની જિંદગી વીતે છે.” આ સાંભળી થોડી વાર તો હું મારી સ્વસ્થતા ગુમાવી બેઠો, અને મારી આંખમાં પાણી આવી ગયાં. માંડ માંડ જાતને સંભાળી હું કચવાતા મને ત્યાંથી આગળ નિકળ્યો,પણ મનમાં એ લોકો માટે ખુબ જ ઘૃણા થઇ જે લોકોએ એક બાપની માસુમ દિકરીને ફકત થોડા પૈસા ની લાલચની ભોગ બનાવી દીધી.

આજે પણ આ ઘટના યાદ કરતા, મારી આંખો ભિંજાઇ જાય છે…..અને હ્રદય ચિત્કાર સાથે બસ એટલું જ કહે છે કે આવું કૃત્ય કરનાર કોઇ માણસ તો હોઇ જ ના શકે, એ તો કોઇ રાક્ષસો હોવા જોઇએ. આપણી પત્નિ કે આપણા ઘરની વહુ કોઇની વહાલી બહેન, દિકરી છે એ વસ્ત્તુ બધાયે મનમાં રાખવી જોઇએ. આપણી બહેન-દિકરી પણ સાસરે જવાની છે અને કોઇ એવું નહીં ઇચ્છે કે આવી કોઇ ઘટના એમની સાથે ઘટે !!!

– Vikas Belani

( શિર્ષક પંક્તિ- -‘બેફામ’ )


Leave a Reply to jinabhaigohilCancel reply

8 thoughts on “દિકરી વહાલનો દરીયો – વિકાસ બેલાણી

  • સુરેશ જાની

    બહુ જ હ્રદયસ્પર્શી વાત. આ જ તો છે આપણા સમાજની તાસીર. એક બાજુ અંધશ્રધ્ધાથી ભરેલ ભક્તી અને બીજી બજુ નરદમ સ્વાર્થ અને હેવાનીયત.

  • chetu

    આપણા ભારતીય સમાજ મા જેમ સારી બાજુઓ છે એમ જ એક આ વરવી બાજુ છે કે અમુક લોકો હજુ પણ દહેજ અને પૈસાની લાલચમાં અંધ બની માનવતા ગુમાવી બેસે છે…અને એ પણ વહુના પિયર પાસે થી જ પૈસાની આશા રાખી ને વહુ ને જ બલી બનાવી દે છે…!!…આવા અસંખ્ય કિસ્સાઓ ફક્ત ભારતમા જ બને છે ..અને કહેવાતા સભ્ય સમાજ મા પણ જે શર્મજનક છે…