સાહિત્યકાર મુજબ સંગ્રહ... : કવિ દાદ


હીરણ હલકારી, જોબનવાળી નદી રૂપાળી નખરાળી…. 9

ગીરના જંગલોની વચ્ચેથી, અનેક વહેળાઓને પોતાનામાં સમાવતી, સર્પાકારે, ક્યાંક ગહન તો ક્યાંક આછરતી વહેતી હીરણ નદી ગીરના જીવનનું એક જીવંત પાત્ર છે. ઉનાળામાં તેના પટની પાસે બેસીને નેસના મિત્રો સાથે કરેલી અનેક અલકમલકની વાતો અને ચોમાસામાં તેમાં નહાવાનો લીધેલો આનંદ એ બધુંય એક અનોખો અનુભવ છે. કવિદાદની પ્રસ્તુત રચના આ હીરણ નદીને અપાયેલી કદાચ સૌથી ઉચિત બિરદાવલી હોઈ શકે. મને યાદ છે લીલાપાણી નેસમાં કાનાને કંઠે ગવાયેલી આ બિરદાવલી શોધવાની મસમોટી ઈચ્છા ત્યારે તો પૂરી નહોતી થઈ, એ શ્રી ધ્રૃવ ભટ્ટ સાહેબની ગીરમય નવલકથા ‘અકૂપાર’માં મળી આવી. જેણે આ રચના હીરણને કાંઠે બેસીને કોઈક નિર્લેપ મનુષ્યના કંઠે લલકારીને ગવાતી નથી સાંભળી એણે એક અનેરો આનંદ ગુમાવ્યો છે.


ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું – કવિ દાદ 5

પથ્થરની મૂર્તીને કંડારીને તેમાંથી પ્રભુની પ્રતિકૃતિ તૈયાર કરી રહેલા ઘડવૈયાને પથ્થર કહે છે કે મારે પ્રભુ નથી થાવું, એના કરતાં તો માતૃભૂમી માટે સમરાંગણમાં મોતને ભેટેલા કોઇક વીરના પાળીયા થઇને ખોડાવું છે. પ્રભુની મૂર્તી બનવાને બદલે કોઇક વીરના પાળીયા તરીકે ગામને પાદર ખોડાવામાં પથ્થરને તેની સાર્થકતા દેખાય છે. પથ્થરની પાળીયા થવાની તમન્ના અને ઠાકોરજીની મૂર્તી નહીં બનવા પાછળની દલીલો કવિ દાદની આ રચનામાં ખૂબ સરસ રીતે વ્યક્ત થાય છે.