Daily Archives: October 27, 2015


મધુરેણ સમાપયેત્! – વલીભાઈ મુસા 11

વહેલી સવારે ‘કલ્યાણ’ બંગલાના પ્રાંગણના બગીચામાંના વિવિધરંગી ગુલાબના છોડવાઓની કોઈક કોઈક સૂકી ડાળીઓને કલ્યાણરાય કાતર વડે કાપી રહ્યા હતા. પુત્રો અને પુત્રવધૂઓ હજુ પોતપોતાના શયનખંડોમાંથી બહાર નીકળ્યાં ન હતાં. છોકરાં પણ એમના માસ્ટર બેડરૂમમાં નિદ્રાધીન હતાં. એક માત્ર નાનકી કે જે દાદીના અવસાન પછી દાદાને એકલવાયાપણું ન લાગે તે માટે એમના શયનખંડમાં જ હંમેશાં સૂઈ રહેતી હતી તે જાગી ગઈ હતી. કલ્યાણરાય બિલ્લીપગે બહાર નીકળ્યા હતા અને દરવાજો પણ હળવેથી બંધ કર્યો હતો કે જેથી એની ઊંઘમાં ખલેલ ન પડે. પરંતુ ક્યારનીય જાગી ગયેલી નાનકી શૌચાદિક્રિયા પતાવ્યા બાદ દાદા અને પોતાના માટેની ચા ટ્રેમાં લઈને બગીચામાં આવી ગઈ હતી.