ધરાધામ – રઘુવીર ચૌધરી 3


ઊડી ઊડીને આવે પાછું મન મારું,
વિશ્રામ પામવા
વૃક્ષઘટાની છાયામાં માળા ફેરવતા
દાદાની બેઠકમાં.

કથા સાંભળું બૃહદ સરિત સાગરની,
આવે પશુપંખી ઘરઘરથી
આખી સીમ – પ્રેમની ભરતી,
વાણી વનવિહાર શો કરતી!
નદીઓ સરસ્વતીને મળતી
ગાતી ધરાધામ ભીંજવતી.

હજીયે સવાર-સાંજ પર્ણ બનેલાં
પંખીના મેળામાં ભળવા
આંખેપાંખે ફરકું
સરકું ગુણાઢ્ય પાસે, અડાબીડ જંગલમાં..

દાદાએ જે સુણ્યાં પુરાણો સરવા કાને
અવતારે એ અલખ લોકને સબદસૂરમાં
મારી ભીતર જાગેલા પંખીના ધ્યાને
નીલ ગગનના દ્વાર ઊઘડે,
ધરાધામ અજવાળે.

મારું સુખ એ શ્રવણ હતું,
ખેતરના શેડે રાયણથડને અંગસંગ
જે વેલ ખીલેલી, ચાલે નભને રસ્તે,
કેવી ખિસકોલી!
હા, ખિસકોલીની પીઠ ઉપર,
લો કહો ટેરવાં કોનાં વને રમેલ?
ગર્વથી દોડતી એ બની ફુવારો
મૂળ થકી તે ફૂલ સુધી
આકાશ આંબતો પળમાં જેણૅ સ્વરસેતુ જગવેલ.

મોરને નચવે છે એ ઢેલ
વાડની ટોચે થોર છકેલ
ધાવતા વાછરડાની ઢેલ
બાળ વાનરના ડાળે ખેલ
ભલે હો
દાદાને ના પડતી કશી ખલેલ
પૂછતાં સમજાવે
પરબ્રહ્મ બિરાજે તેજમૂર્તિમાં
જ્ઞાની દેખે
વિલય નહીં, સહવાસ પ્રભુનો ઝંખે..
શ્રમિત અંગ પર ગોરજ રૂપી વસ્ત્ર ફરકતું
વેણુનાદમાં ધરાધામ સંચરતું
મઝિયારું આબાલવૃદ્ધ પ્રાણીનું
ખેતરના રંગોનું તોરણ બની પૂર્વમાં પંખી ઊડે
માતાએ સેવેલાં સપનાં પાંખ પ્રસારે..

શાસ્ત્ર ઋષિનું સ્વર્ગ વર્ણવે
મને ગમે એ
કલ્પેલું પણ કાર્ય બને છે
તરણાં ટોચે તેજ રમે છે
બંધ નેત્રમાં
દ્રશ્ય કોક અણદીઠ
ભવ્ય રમવા લાગે એ ક્ષણે
ચિત્ત સ્વર્ગીય હોય છે.
સૂર્ય ચંદ્ર તારા નવલખ પ્રત્યક્ષ થાય છે
ગ્રહમંડિત બ્રહ્માંડ મધ્ય છે કથાકેન્દ્ર માનવ
થઈ સાવધ સબદ સાંભળે –
કલ્પેલું પરખાય, મુખોમુખ થાય
ધૂણાના અંગારામાં સ્વર્ગછબિ વરતાય.
નેત્ર આ નમે.
સ્વર્ગજે નિજનિજના એ ભલે સુરક્ષિત રહે.

મને છે ઈષ્ટ સદા હું જ ધરાધામ.
તળની માટીની માયા રગમાં રમે.
ગોઠડી ગોકુળની બહુ ગમે.
જે દિને બાળ કનૈયે માખણ મૂકી
ખાધી માટી
માતાએ મુખડું ખોલાવી
નિરખેલું ને પરખેલું બ્રહ્માંડ રમ્ય
એ પરથી સઘળા વનરાવન
મુજ ધરાધામ.

દાદા મારા ઘરખેતરને પડતા મૂકી
ચાલેલા તીરથની વાટે.
શૃંગ બેરને ચિત્રકૂટને પંચવટીથી
આગળ વધતાં પહોંચેલા કો અગમ નિગમના ઘાટે.
જ્યોતિર્લિંગને શક્તિપીઠની કથા કહે વનવાસી – વાટે.

પ્રદક્ષિણા પૂરી કરતાં એ પાછા આવ્યાં.
કહે પુત્રને લે આ વિદ્યા અગમનિગમની.
પુત્ર ખેડતા હતા ધરાને સહજ ઉમંગે.
માટીની સોડમને સંગે.
આદર આપી નમી ધીરેથી કહે
વાવશું બીજી વરાપે વિદ્યા સઘળી
ભલે પધાર્યા પાછાં મૂળના સરનામે.
લો બેસો છાંયે, શેઢે.
જેને તમે દીધેલું નામ
પરમનું ધરાધામ.

– રઘુવીર ચૌધરી

નાનપણમાં દાદાજી વૃક્ષની ઘટાની છાયામાં માળા ફેરવતા અને અગમનિગમની વાતો કરતાં, દાદાની એ બેઠકના અલભ્ય અનુભવો કવિને આજે પણ સાંભરે છે, અને એ બેઠકમાંથી તેમણે જે જીવનભાથું મેળવ્યું તેની વાત પ્રસ્તુત રચનામાં કવિ કહે છે. સમયનું ચક્ર ઘણું આગળ વધી ચૂક્યું છે પણ કવિનું મન એ ચક્રને પાછું ફેરવીને બાળપણમાં પહોંચી ગયું છે એ વાત કવિ રઘુવીર ચૌધરી કહે છે. ‘નવનીત સમર્પણ’ના નવેમ્બર ૨૦૧૨ના અંકમાંથી આ રચના સાભાર લીધી છે.


Leave a Reply to munira amiCancel reply

3 thoughts on “ધરાધામ – રઘુવીર ચૌધરી

  • Natubhai Modha

    આજે તો આર્ટ ઑફ લીવીંગ શિખવા ગામડાં, ખેતરો, કૂવાઓ, કોસ,ક્યારો, વાવણી, લણણી,ખડું, ગાડું, કોઠી, ગમાણ, પાનત જેવા શબ્દો છોડી આપણે Art of Leaving માં (છોડવાની કળા) MBA કરી આગળ વધી ગયા છીએ.

  • Kalidas V. Patel { Vagosana }

    રઘુવીરભાઈ,
    મજાની કવિતા આપી. અમને પણ બાળપણ યાદ આવી ગયું.
    કાલિદાસ વ. પટેલ {વાગોસણા}