અક્ષરનાદનો નવમો જન્મદિવસ 29


નમસ્કાર મિત્રો,

ninth-birthday-candle-aksharnaadઅક્ષરનાદનો આજે નવમો જન્મદિવસ છે. ૨૦૦૭થી સતત ‘અધ્યારૂનું જગત’ અને પછી ‘અક્ષરનાદ’.. આપણી માતૃભાષાના સાહિત્ય અને સર્જન સાથે સંકળાયેલી આ સફરને આગળ વધારવાનો પ્રયત્ન કરતું જ રહ્યું છે. આ વર્ષે એ પ્રયત્ન પાછલા આઠેય વર્ષોમાં સહુથી મુશ્કેલ થઈ રહ્યો, એટલો મુશ્કેલ કે એક સમયે અઘોષિત બંધ જ થઈ ગયેલી આ વેબસાઈટ ફરીથી બેઠી થઈ શકી, અચોક્કસ અને અનિયમિતપણે પણ ચલાવી શકું છું એનું એક માત્ર કારણ છે વાચકમિત્રોનો અઢળક પ્રેમ અને પ્રોત્સાહન. ફક્ત એક જ વાતનો સંતોષ છે કે હતાશાના સમયમાં મારી જ મહેનત મને ઉપયોગી થઈ પડી છે, આ જ સાહિત્યલેખો અને સર્જનો કપરા સમયના સંગાથી થઈ રહ્યાં છે. ગત વર્ષના ૩૬૫ દિવસમાં કુલ ૨૨૦ પોસ્ટ્સ થઈ છે.

ગત વર્ષે સ્વ. શ્રી મૃગેશભાઈના મૃત્યુને લીધે રીડગુજરાતીને વરવી ખોટ પડી, એ ભરપાઈ કરવી તો શક્ય નથી પણ તેને તેના મૂળ સ્વરૂપમાં ચલાવવાનો પ્રયત્ન મેં આદર્યો. જો કે રીડગુજરાતીની વિશેષતા રહી છે કે તેમાં મને મહદંશે આધાર અને મદદ મળી રહે છે, એટલે એ પૂરતું સરળ થઈ રહે છે. પણ નવેમ્બરથી મારા વ્યવસાયમાં અંગત રીતે મારી શારિરીક અને માનસિક અવસ્થાઓમાં જે હાલત થઈ છે.. અનેક વખત આ વાત મૂકવાનો યત્ન કર્યો પણ ‘ફરી ક્યારેક’ એમ વિચારીને આગળ ઠેલતો રહ્યો. શુભેચ્છકો અને મિત્રોએ ફોન પર પણ આ બાબતો વિશે સહ્રદયતા દાખવી છે, સાંત્વના અને હિંમત આપી છે.

વાત એમ હતી કે નવેમ્બરમાં નોકરીમાંથી મેં કરેલા રાજીનામાનો સ્વીકાર ન થયો, જો કે એનું કારણ હકારાત્મક હતું – કામની અને અંગત ધગશની કદર થઈ એ કારણે સામે ઉભેલો અન્ય નોકરીનો એક સરસ વિકલ્પ મેં ગુમાવ્યો, સામે જેમાં આઠ વર્ષથી કામ કરું છું એવી કંપનીના ટોચના અધિકારીઓનો વિશ્વાસ, સ્નેહ અને પ્રોત્સાહન હતાં. પણ પછી શરૂ થયેલ અન્યોના વ્યવસ્થિત કાવતરાએ ત્રણ ત્રણ વખત લો બ્લડપ્રેશર અને અનેક જાગતી રાતો આપી. કેટકેટલા શનિ – રવિ કામને ભોગ ચડ્યા એનો અફસોસ નથી પણ એ કામને નિષ્ફળ ગણાવાયાનો અફસોસ ખરો, વાંધો મહેનતનો નહીં પણ રાજકારણનો હતો.. પરિવારની સમયની માંગ સતત વધતી રહી… વ્યવસાયમાં કેટલાકને મારું રાજીનામા પછીનું આગમન નહીં ગમ્યું હોય તો તેમણે મને પછાડવાના અને નીચાજોણું કરાવવાના શક્ય બધા પ્રયત્નો કર્યા. ગમે તે અવસ્થામાં લડી લેવાનો, બરાબર મુકાબલો કરવાનો અને ખોટી વાત સામે કે રાજકારણ સામે તસુભાર ન નમવાનો નિર્ધાર મેં રાખ્યો હતો. જો કે હવે પરિસ્થિતિ લગભગ થાળે પડી રહી છે, પણ એ વ્યવસાયિક જીવનના સૌથી ખરાબ છ મહીનાઓ હતા. જેમના પર વિશ્વાસ કરેલો એ બધાંય પીઠમાં પ્રહાર કરી સામે તમાશો જોવા ઉભા રહી ગયા અને એ વાત કહેતા ગયા કે પ્રોફેશનલ જીવનમાં કોઈ મિત્ર નથી હોતું. અનુભવે શીખવ્યું કે તમને દબાવવા તૈયાર લોકો દ્વારા જાણીજોઈને ઉભો કરાયેલો તણાવ કે ડર અને સફળતાઓ પછીની પ્રાયોજીત નિષ્ફળતાનો ભય ખૂબ અસહ્ય હોય છે. હું કાંઈ નહીં તો મારી જાતથી જ દૂર ભાગતો રહ્યો, સ્વ સાથેનો સંવાદ તૂટે ત્યારથી જ અવ્યવસ્થાની શરૂઆત થાય છે. કેરળ હોય કે મુંબઈ, સ્થળને લીધે અવસ્થામાં પરિવર્તન ન લાવી શક્યો.

અને આ બધાંની સીધી અસર મારી તબીયતની સાથે સાથે સર્જનાત્મકતા, લેખન અને અક્ષરનાદ સાથે કંઈક અંશે રીડગુજરાતી પર પણ પડી. અક્ષરનાદ અને રીડગુજરાતી એમ બંને વેબસાઈટ પરની સ્પર્ધાઓ અવ્યવસ્થાનો ભોગ થઈ પડી, સ્પર્ધકો અને વાચકોની સતત પૃચ્છાઓ અને પ્રશ્નો વચ્ચે પણ ઝઝૂમવાનું મળ્યું, તેને તેમનો પ્રેમ સમજીને પ્રયત્ન કર્યાં. અક્ષરનાદનું પરિણામ જાહેર થઈ શક્યું, રીડગુજરાતીનું આવતીકાલે જાહેર કરી રહ્યો છું. ધારેલ યોજના અને ટાઈમલાઈન ભયંકર રીતે ખોરવાઈ ગઈ, પણ ડૂબતાને તરણાંનો સહારો…. એક જ આશા કે આ સમય પણ જતો રહેશે. લાગે છે કે એ અંતનો આરંભ થઈ ચૂક્યો છે.

આવામાં અક્ષરનાદને રીડીઝાઈન કરવાનું મન થયું, અનિચ્છાએ પણ મનને અન્યત્ર જોતરવા એ શરૂ કર્યું. જે કામ એક બે દિવસોમાં થતું એ અઠવાડીયાઓ સુધી ચાલતું, એક પાનું બનાવતા છ છ દિવસ થતાં, વિજેટમાં કોડ મૂકતા ત્રણ દિવસ… બગ કાઢવામાં અઠવાડીયાઓ… પણ આખરે મને સંતોષ થાય એવું કામ થયું જેમાં વાચકોની બધી જ ઇચ્છાઓ અને સુવિધાઓ આપી શક્યો. નવું સ્વરૂપ સંતોષપ્રદ અને સમયની સાથે ચાલી શકે એ પ્રકારનું છે. ખાસ કરીને મોબાઈલ વેબસાઈટમાં સુવિધાઓ ખૂબ વધી છે, અને એના લીધે એન્ડ્રોઈડ કે આઈઓએસ એપ્લિકેશન બનાવવાનો પ્લાન હવે પડતો મૂક્યો છે. મોબાઈલ વેબસાઈટ પરથી લેખને વોટ્સએપ પર વહેંચી શકવાની વ્યવસ્થા પહેલા અક્ષરનાદ અને પછી રીડગુજરાતી પર મૂકી જેને સરસ પ્રતિભાવ મળે છે.

આ સંજોગોમાં ઈ-પુસ્તકોનો વિભાગ તો સાવ અજાણ્યો થઈ રહ્યો છે. ટાઈપ થયેલ પુસ્તકોનું પ્રૂફરીડિંગ કરીને મૂકવા જેટલો પણ ઉત્સાહ કે સમય રહ્યો નહોતો. દર વર્ષે અક્ષરનાદના જન્મદિવસે કેટલાક વાયદા આ માધ્યમ થકી હું મારી જાતને કરું છું, ઈ-પુસ્તક વિભાગને ફરીથી બેઠો કરવાનો વાયદો આજે કરવો છે. હતાશા ખંખેરવાનો સમય હવે આવ્યો હોય એમ લાગે છે, અને આવામાં મને જેણે ટકાવી રાખ્યો છે એ છે ઝેન, બુદ્ધ અને તાઓનું વાંચન… ઝેન, તાઓના અને બૌદ્ધ ધર્મના સંકલન પુસ્તકો તથા ગ્રંથોના વાંચને મને ખૂબ શાંતિ અને સ્વસ્થતા આપી છે. તેમાં રત રહી શકાય એવો, અક્ષરનાદ અને રીડગુજરાતીને સાવ સ્વસ્થતાથી તણાવ વગર ચલાવી શકાય એવો સમય મળે, ઈ-પુસ્તકોના વિભાગને વધુ ઉત્સાહ અને ખંતથી આગળ વધારી શકાય અને મારી પોતાની સર્જનયાત્રા ફરીથી શરૂ થઈ શકે એવા એકથી વધુ આશાવાદ સાથે નવા વર્ષમાં જઈ રહ્યું છે અક્ષરનાદ. મારી માનસિક અસ્વસ્થતાની સ્થિતિમાં વેબસાઈટ માટે ટાઈપ કરનાર પત્ની પ્રતિભા અને ટાઈપ શીખી મદદ કરનાર માતાનો આભાર તો શું માની શકું? અનેક સહ્રદય વડીલોએ પણ સહાય કરી છે. આ આઠ વર્ષના સફરમાં હમસફર થવા બદલ સર્વે સર્જક મિત્રો – વડીલો, વાચક મિત્રો વડીલો અને શુભેચ્છકોનો અંતઃકરણ પૂર્વક આભાર. ક્ષમતાથી ઘણો વધુ પ્રેમ અને વિશ્વાસ આપે આપ્યો છે એ બદલ નતમસ્તક.. અક્ષરનાદને આઠ વર્ષ પૂરા થયાં એ વાત મનને ખૂબ ગમે એવી છે, હ્રદયને પ્રસન્નતા આપે એવી..

– જીજ્ઞેશ અધ્યારૂ

બિલિપત્ર

जगसे हारा नहीं में, खुदसे हारा हुं मां,
इक दिन चमकूंगा लेकीन तेरा सितारा हुं मां,

माई रे, माई रे, तेरे बिन में तो अधूरा रहा,
माई रे, माई रे, मुजसे ही रूठी मेरी परछाई..

मेरी परछाई, तेरा खयाल… माई तेरी चुनरीया लहराई
जब जब मुजपे उठा सवाल, माई तेरी चुनरीया लहराई

– ABCD2 ફિલ્મ ગીતના શબ્દો…


Leave a Reply to Geeta shuklaCancel reply

29 thoughts on “અક્ષરનાદનો નવમો જન્મદિવસ

  • mayur

    સુપ્રભાત સાહેબ,

    હુ મયુર દેવમુરારિ વર્ડપ્રેસ ડેવલોપર છુ.
    અક્ષરનદ નો વાચક છુ.
    મદદ નિ જરુર હોય તો કેજો.
    સહિત્યજગત નો જિવ.

    આભાર સહ.

  • Bharat Kapadia

    અભિનંદન, જયેશભાઈ.
    આવા કપરા સંજોગોમાં સામા પ્રવાહે તરીને જે રીતે નાવ તરતી રાખી છે, એકલે હાથે, સલામ.
    અમે સાથે જ છીએ, ભાઈ.
    નવ વર્ષ નહિ, રજત જયંતી પણ આપણે સાથે જ જોઈશું.
    મંગલકામનાઓ.

  • Bharat Kapadia

    અભિનંદન, જયેશભાઇ,
    એક્લપંડે આવડો મોટો જગન આદરવો, કેવું કષ્ટદાયક અને સમય માગનારું હોય છે, સમજી શકું છું.
    આ અભિયાન જારી રાખવા તમને પૂરતી હામ મળી રહે, હૈયું તો તમારી પાસે છે જ.
    પુનશ્ચ, અભિનંદન અને મ્ંગલકામનાઑ.

  • Ramanbhai K Patel

    Thanks a lot for such selflessness work done by you. I have learnt too much from your ebooks on this website.
    May GOD bless and give courage to you for continuation of your such work for/in the interest of social – public interest. I heartily wish/pray to GOD for All the Best to you for All & for Ever in the life.

  • nirupam chhaya

    તમે કરેલ મહેનત રન્ગ લાવિ ઇશ્વર તમને પુરુ સ્વાસ્થ્ય આપે એવિ પ્રાર્થના

  • Ashok M Vaishnav

    ગત વર્ષની વિપરિતતાઓ એક દુઃસ્વપ્નની જેમ ભૂતકાળ બની રહે તેવી હાર્દિક શુભેચ્છાઓ.
    ખરાબ સમય આવે છે ત્યારે વ્યક્તિની કસોટી તો ખરેખરી થાય જ છે તેમાં કોઇ શક ન હોઈ શકે. પોત્પોતાની વિતકોમાંથી જે પસાર થાય તેને જે વિતકોની પીડાની ખરી ખબર પડે તે પણ સત્ય છે.
    આવા સમયે પોતાનું અંગત કુટુંબ બહુ મોટી ઢાલ બની શકે છે, જે તમારા કિસ્સામાં થયેલ છે. પોતામાં અથાગ શ્રધ્ધા અને કુટુંબનો અથાક ટેકો આવી કઠીન પરિસ્થિતિની સામે લડવા માટેનાં એન્ટીડૉટ્સ છે. તમને એ બંને ઉપલ્બધ છે, તેથી અમે બહારની વ્યક્તિઓ તો અમારી મદદ તમને જ્યારે જરૂર પડે ત્યારે ઉપલબધ છે તેટલું જ કદાચ કહી શકીએ.
    તમારી વ્યાવસાયિક, બ્લૉગ્ગીંગ કારકીર્દીઓ અને અંગત જીવન ફરીથી તેમની તેજ ગતિએ પહોંચી જાય તે
    તેવી શુભેચ્છાઓ..

  • Shailesh Pateliya

    Congratulations on 9th year completion…

    I am regular reader of ”Aksharnaad” and it’s such a very good effort for our mother tongue.

    Sir, best wishes for your entire team…

  • M

    જિગ્નેશ ભાઈ, ગુજરાતી ને સતત ધબકતી રાખવાના આપના પ્રયાસો અભિનંદનીય છે.. બીજી કોઈ રીતે તો મદદ કરી શકુ તેમ નથી, પણ જો નાણાકીય જરૂરત હોય તો મને ઈમેલ થી જણાવશોજી… બનતા પ્રયત્નો જરૂર કરીશ..

    આભાર,
    M
    વૉશિંગ્ટન, DC

  • અલકેશ પટેલ

    અભિનંદન….

    અને હા, સંઘર્ષ સામે વિજેતા થયા તે બદલ ખુશી અને હવે આવા કોઈ સંઘર્ષ જીવનમાં ન આવે તેવી ઈશ્વરને પ્રાર્થના.

  • Suresh Trivedi

    “અક્ષરનાદ” ના નવમા જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ .
    આપણી ગુજરાતી ભાષાના જતન માટેના તમારા પ્રયત્નૉ કાબિલૅદાદ છે.
    હાર્દિક અભિનંદન અને ધન્યવાદ.
    -સુરેશભાઈ ત્રિવેદી

  • MANOJ RAIJADA

    wishing AksharNaad a happy birth day. We pray that you come out of your politics and have great time with your AksharNaad.

  • જયેન્દ્ર પંડ્યા

    મુરબ્બી જીગ્નેશભાઈ,
    અક્ષરનાદ ની નવમી વર્ષગાંઠ નિમિત્તે આપને અને અક્ષરનાદ ની ટીમને સસ્નેહ અભિનંદન. આપના વ્યવસાયિક જીવન ની જંજાવાત સામે જજુમી તમે સત્યનો જ આશરો લઇ રહ્યા છો તે માટે પણ આપને વંદન. કોઈ પણ સંસ્થા માં રાજકારણ હોય જ છે અને હોય તો પણ તેનો આપણ ને કોઈ વિરોધ નથી પણ જ્યાં ગંદુ રાજકારણ આવે ત્યાં આપણી સમક્ષ ઘણા પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે. દુ:ખ તો એ વાંતનું થાય કે સારા માણસો પણ પાંગળા બહાનાં બનાવતા હોય છે. ખેર જીવનની સત્યતા ને વધાવવી રહી બીજું શું?

    આપના અક્ષર્નાદ ના વાચકગણોની શુભેચ્છા હમેશા આપની સાથે છે અને આશા રાખીએ કે આપનાં બધા વિઘ્નો દુર થાય અને ફરી ચેતનવંતા બની અવિરત ધગશ થી આગળ વધતા રહો. પ્રભુ આપને વ્યવસાયિક, કૌટૂમબીક તથા વયક્તિક જીવનમાં સહાય કરે તેવી પ્રાર્થના.
    शुभम भवतु,
    भवतु मे कल्याणं….

  • sanjay thorat

    પ્રિય જીગ્નેશ ભાઇ,
    અનેક અભિનન્દન… I have read your complete story and it’s really a hair raising… Kasoti to sonani thai, lokhand ni nahi… you are come out from this issue it shows your strong will power and blessing from your well wishers… My heartily congratulations to you on 9th Birthday of Aksharnaad…

  • Dhaval soni

    પ્રિય જિગ્નેશભાઇ,

    તમારી સાથે ફોન પર થયેલી વાત સાંભળીને જેટલો આઘાત નહોતો થયો એટલો આઘાત અહીં આખી વાત વાંચીને થયો.
    રાજકારણ ગમે તેવી પ્રતિષ્ઠિત વ્યક્તિને પણ ક્યા બક્ષે છે..?
    આપણા જ માનેલા પોતાના લોકો તરફ્થી જ્યારે આવી રમત રમાય છે ત્યારે જડમુળથી નાસીપાસ થઈ જવાય છે..
    પરિસ્થિતી આટલી હદે વણસી ગઈ અને છતાં તમે ધીરજ ધરી શક્યા એ ખરેખર કાબિલેદાદ છે.
    તણાવથી વ્યસ્ત નોકરીની સાથે આ ઉપરાંત રીડગુજરાતીને પણ સંભાળવી એ અઘરૂં છે.
    ખુશી એ વાતની છે કે તમે બહુ જલ્દી ઘટનામાંથી બહાર આવીને ફરી ધુરા સંભાળી લીધી છે..
    નવમાં જન્મદીવસની અક્ષરનાદને અને એની પાછળ જેમની પણ મહેનત લાગી છે એ સહુ ને સલામ અને અભીનંદન.

    – ધવલ સોની

  • GAURANG DAVE

    HARTIEST CONGRATULATIONS ON 9TH BIRTHDAY TO AKSHARNAAD.
    WISHING THE GOOD LUCK FOR FUTURE MANY YEARS TO COME…..