૧૦૧ ઝેન વિચારમોતીઓ.. – ટ્વિટર પરથી સંકલિત.. 11


  1. ઘર છોડ્યા વગર રોજીંદા જીવનથી દૂર જવાનો એક માત્ર રસ્તો છે – કળા : ટ્વાઈલ થાર્પ
  2. પ્રેમ અને કરુણા એ બે મારા મતે સાચા ધર્મ છે, અને એ બંનેને વિકસાવવા કોઈ ધર્મની જરૂર નથી. – દલાઈ લામા
  3. આપણા મનની ઘણી નકારાત્મક લાગણીઓ આપણે જે અનુભવીએ છીએ તેના લીધે નથી હોતી, પણ એ અનુભવની સાથે આપણે જોડેલી વાર્તાને લીધે હોય છે. – અજ્ઞાત
  4. જ્યારે આપણે સલાહ માંગતા હોઈએ છીએ ત્યારે આપણી ધારણાઓ માટે માન્યતા શોધતા હોઈએ છીએ. – સાઉલ બેલ્લો
  5. નફરત એ વધારાનો બોજ છે, જીવનની નાનકડી સફરમાં તેને સાથે લઈને ફરવું જરાય જરૂરી નથી. બોજ જેટલો ઓછો હશે, સફર એટલી જ આનંદદાયક હશે. – અજ્ઞાત
  6. મહાનતાની ઉંચાઈઓ સુધી પહોંચવા કોઈ રાજમાર્ગ હોતો નથી, એ તો કાચો ખરબચડો મુશ્કેલ રસ્તો જ હશે. – સેનેકા
  7. આપણને એવો અને એટલો જ પ્રેમ મળે છે, જે માટે આપણે પોતાની જાતને હકદાર સમજતા હોઈએ. – સ્ટીફન ચબોસ્કી
  8. આરોપ એ સત્યના અસત્ય કરતા પણ વધુ ભયજનક શત્રુ છે. – નિત્શ્ચે
  9. સાચો આનંદ નવા દ્રશ્યો જોવામાં નહીં, પણ એ જ દ્રશ્યને નવા દ્રષ્ટિબિંદુથી જોવામાં છે. – માર્શલ પ્રોસ્ટ
  10. જો તમારામાં કામ કરવાની ક્ષમતા હોય તો તમને ઈશ્વરના આશિર્વાદ મળેલા છે. – મહાલીઆ જેક્સન
  11. ખુશ થવા માટેની જગ્યા આ જ છે, આનંદિત થવા માટેનો સમય અત્યારે જ છે. – રોબર્ટ ઇન્ગરસોલ
  12. તમે શ્વાસ લેવાનું બંધ કરો ત્યાં સુધી, જેટલું તમારી વિરુદ્ધમાં છે એથી વધુ તમારી સાથે છે. – જ્હોન ક્બાટ ઝિન
  13. કોઈ તમને તકલીફ પહોંચાડે છે કારણકે એ પોતે આંતરીક રીતે ખૂબ તકલીફમાં છે, અને એ તકલીફ અન્યત્ર છલકાઈ રહી છે. – થિચ ન્હાટ હાન્હ
  14. તમે જે કામ, વ્યક્તિ કે વસ્તુને પ્રેમ કરતા હોવ તેના ખેંચાણમાં તમારી જાતને તણાઈ જવા દો. – રુમી
  15. જો તમે ભૂલ નથી કરી, તો તમે મુશ્કેલ સમસ્યાઓ પર કામ નથી કર્યું, અને એ સૌથી મોટી ભૂલ હશે. – ફ્રેન્ક વિલ્ઝેક
  16. સુંદરતા એ શક્તિ છે અને સ્મિત એ તેની તલવાર છે. – ચાર્લ્સ રીડ
  17. યાત્રા ફક્ત એક જ પ્રકારની છે, તમારી પોતાની તરફની અંતરયાત્રા – રિલ્કે
  18. દરેક કાર્ય તેના કર્તાનો પડછાયો લઈને આવે છે, તમારા શ્રેષ્ઠ પ્રયાસોથી તમારા કામને તમારી ઓળખાણ બનાવો – અજ્ઞાત
  19. જેમ જેમ તમે તમારા કાર્યોની જવાબદારી લેતા થશો, તેમ તેમ તમે લોકોમાં વધુ વિશ્વાસપાત્ર થતા જશો. – બ્રાયન કોસ્લો
  20. રસ્તાનો પત્થર ઉપર ચડવાનું પગથિયું પણ બની શકે છે અને અવરોધ પણ.. – અજ્ઞાત
  21. મારા જીવનની એ ફિલસૂફી રહી છે કે જ્યારે મુસીબતોનો દ્રઢતાથી સામનો કરીશું ત્યારે તે તરત નાશ પામે છે. – આઈઝેક એસિમોવ
  22. દરવાજા સાવ ખુલ્લા છે તોય તમે કેમ કેદમાં છો? – રુમી
  23. તમે રોજ જે કરો છો એ નાની આદતો નહીં બદલો ત્યાં સુધી તમે તમારા જીવનને બદલી નહીં શકો. – જ્હોન મેક્સવેલ
  24. જ્યારે તમે તમારા અંતરતમ આનંદને અનુસરશો ત્યારે તમે ધાર્યું નહીં હોય એવી જગ્યાઓ પરથી પણ દરવાજા ખુલશે. – જોસેફ કેમ્પબેલ
  25. સાચું જ્ઞાન એ જ જાણવામાં છે કે તમે કશું જાણતા નથી. – સોક્રેટિસ
  26. જ્યારે તમારે હિંમતની જરૂર હશે, એ આપોઆપ તમારામાં આવી રહેશે. – જોસેફ કેમ્પબેલ
  27. જ્યારે તમે તમારા ડરને પાર કરીને આગળ વધશો, તમે તમારી જાતને સ્વતંત્ર અનુભવશો. – સ્પેન્સર જ્હોન્સન
  28. આવતીકાલની આશા અગત્યની છે કારણકે એ અત્યારના સંજોગોને સહન કરવાની શક્તિ આપે છે. – થિચ ન્હાટ હાન્હ
  29. એ પરિણામની દરકાર રાખતો નથી, એટલે એ કદી નિરાશ થતો નથી, એ કદી નિરાશ થતો નથી એટલે તેની ધગશ કદી વૃદ્ધ થતી નથી. – લાઓ ત્સુ
  30. તમે બે સસલાંને પકડવાનો પ્રયત્ન કરશો તો તમે એકને પણ નહીં પકડી શકો. – રશિયન કહેવત
  31. જેને ગંભીરતાથી લેવાની જરૂરત હોય તેને જ જાણો, બીજુ બધું હસી નાંખો – હરમન હેસ
  32. ઝેન શિક્ષકનું જીવન એક સતત ભૂલ હોય છે. – ડોજન
  33. હું માનું છું એ સત્ય એ માર્ગ વગરની ભૂમી છે, અને તેને તમે કોઈ રસ્તાઓથી પામી નહીં શકો, ન કોઈ ધર્મ, ન કોઈ સંપ્રદાય. – કૃષ્ણમૂર્તિ
  34. વસ્તુઓ એ જે દેખાય છે તેવી નથી હોતી, એ અન્યથા પણ નથી હોતી. – સુરંગમ સુત્ર
  35. તમારા દુઃખના મૂળ ભલે ઉંડા હોય, પણ ખુશ થતાં પહેલા તમારા બધાં દુઃખ નાશ પામે તેની રાહ ન જુઓ. – થિચ ન્હાટ હાન્હ
  36. તમારી જાતને ચતુર દેખાડવાનો એક રસ્તો એ પણ છે કે અણીના સમયે તમારું મોં બંધ રાખો. – પેટ્રિક રોથફસ
  37. જ્યારે આપણે ધ્યાન કે સાધના કરીશું ત્યારે સમજાશે કે શારિરીક તકલીફો અને નકારાત્મક લાગણીઓ અસ્થાયી છે, અને આમ તેને સહન કરવું સરળ થઈ રહે છે. – અજ્ઞાત
  38. મૌન રહો અથવા તો એ જ બોલો જે મૌનથી વધુ કીમતી હોય – પાયથાગોરસ
  39. આ પૃથ્વી પરના સૌથી મહાનતમ નાટકની ટિકિટ એટલે જિંદગી – માર્ટિન ફિશ્ચર
  40. એક યોગ્ય ધર્મની પરિભાષા એ પરથી જ કહી શકાય કે તમે તેને હસી શકો છો કે નહીં – જી. કે. ચેસ્ટરટન
  41. ડર અશક્ત બનાવે છે, જીજ્ઞાશા સશક્ત કરે છે, ડરવા કરતા વધુ રુચિ ધરાવતા બનો. – પેટ્રિશિયા એલેક્ઝાન્ડર
  42. લાગણીઓ ફક્ત મુલાકાતીઓ છે, તેમને આવવા દો અને જવા દો. – મૂજી
  43. કોઈક પર ગુસ્સે થવું એટલે જાણે પોતે ઝેર લઈને બીજાના મરવાની રાહ જોવી.
  44. આપણે એ સમજવું જોઈએ કે એક માણસની કે એક રાષ્ટ્રની તકલીફ સમગ્ર માનવજાતની તકલીફ છે. – દલાઈ લામા
  45. તમારી ઓળખાણ ખોઈને જ તમે પોતાની જાતને શોધી શક્શો.
  46. યાદ રાખો, ધ્યેય એ અંધારી રાત્રે માર્ગ બતાવતો તારો છે, પોતાની જાતને સજા આપવાની લાકડી નહીં. – બાર્બરા સ્મિથ
  47. સત્ય સિંહ જેવું હોય છે, તેને રક્ષણની જરૂર નથી પડતી, તેને મુક્ત રહેવા દો, એ પોતાની રક્ષા સ્વયં કરશે. – સંત ઓગસ્ટિન
  48. તમારામાં ગાંડપણનો એક નાનકડો તણખો જ છે, તેને ગુમાવશો નહીં – રોબિન વિલિયમ્સ
  49. સંકુચિત મગજને લાંબી જીભ હોય છે. – રશિયન કહેવત
  50. આત્મા તેના શરીરના વિચારોના રંગે રંગાય છે. – માર્કસ ઓરેલિયસ
  51. ભૂતકાળ ભલે ગમે તેટલો મુશ્કેલીભર્યો હોય, તમે અત્યારે પણ ફરીથી શરૂઆત કરી શકો છો. – બુદ્ધ
  52. જ્યારે તમે સમજશો કે વિશ્વમાં કાંઈ ખૂટતું નથી, આખું વિશ્વ તમારું પોતાનું થઈ જશે. – લાઓ ત્સુ
  53. આવતીકાલના બધાજ ફૂલ આજના બીજમાં પડ્યાં છે. – કહેવત
  54. જે તમારા મૌનને સમજતો નથી, એ તમારા શબ્દોને પણ નહીં જ સમજે. – એલ્બર્ટ હબ્બાર્ડ
  55. કોઈકના અસ્વીકારમાં તમારી જાતને વેડફશો નહીં, નિંદાની સામે અવાજ ઉંચો કરશો નહીં, જે સારું છે તેની સુંદરતાનો મંત્ર જ જપો. – રાલ્ફ વુડો એમર્સન
  56. મહાન એ જ છે જેની વાણીમાં નમ્રતા હોય પણ તેનું કામ બોલતું હોય. – કન્ફ્યુશિયસ
  57. અન્ય સ્થળોએ રહેવાની, અન્ય ચીજો કરવાની તમારી હજારો ઇચ્છાઓ હોઈ શકે, પણ અત્યારે તમે જ્યાં છો ત્યાં જ છો. – ઝેન કહેવત
  58. તમારા વિકલ્પ બદલો પણ તમારા સિદ્ધાંતો નહીં, જેમ વૃક્ષ પાંદડા ખેરવે છે પણ મૂળ એ જ રાખે છે. – વિક્ટર હ્યૂગો
  59. જો તમે એ જાણી લો કે અંતતઃ શોધવા જેવુ કાંઈ જ નથી, તમે તમારી બધી જ વૃત્તિઓને શાંત કરી શકો છો. – રિન્ઝાઈ
  60. શાણપણ એટલે તમારી જીવન સામે લડવાની વૃત્તિને બદલે તેને ગળે લગાડવાની ક્રિયા. – રશીદ ઓંગ્લુરુ
  61. ફક્ત થોડા સમયનો સવાલ છે, આ શરીર જમીન પર કોઈ પણ આવરણ વગર પડ્યું હશે, સભાનતાથી ઘણુંય દૂર, એક નિરુપયોગી લાકડાના ટુકડા જેવું.. – ધમ્મપદ
  62. જો તમારી વાણી કે કર્મ એક શાંત અને સ્વચ્છ હ્રદયથી નીકળ્યા હશે તો આનંદ એક પડછાયાની જેમ તમને સતત વળગીને રહેશે. – ધમ્મપદ
  63. સત્ય હંમેશા સુંદર હોતું નથી, અને સુંદરતા હંમેશા સત્ય હોતી નથી. – લાઓ ત્સુ
  64. વાસના જેવી કોઈ આગ નથી, નફરત જેવી કોઈ પકડ નથી, ભ્રમણા જેવી કોઈ જાળ નથી અને તીવ્ર ઇચ્છા જેવી કોઈ નદી નથી. – ધમ્મપદ
  65. કળા એટલે તમારા આત્માના દરવાજે પડેલા ટકોરાનો તમે આપેલો જવાબ.. – સ્ટાર રિચ
  66. બુદ્ધ થવું એટલે પ્રાયોગિક થવું, એવા કાર્ય કરવા જે નિર્મળતા, ગાંભીર્ય, આનંદ અને આત્મવિશ્વાસને સંવર્ધિત કરે.. – યોંગેય મિંગ્યુર રિન્પોચે
  67. અવ્યવસ્થામાંથી સરળતા શોધો, અસંગતિમાંથી સુમધુરતા શોધો, મુશ્કેલીઓમાં જ ક્યાંક તક છુપાયેલી હોય છે. – આલ્બર્ટ આઇન્સ્ટાઈન
  68. પહાડો પર તમને એ જ ઝેન મળશે જે તમે ત્યાં લઈને આવશો.. – રોબર્ટ પિર્સિંગ
  69. આપણા વિશ્વને બદલવા માટે કોઈ જાદુની જરૂર નથી, જે શક્તિઓની આપણે જરૂર છે એ બધી જ આપણી અંદર છે. – જે. કે. રોલિંગ
  70. આદતો કે ભાષાના ભેદ કાંઈ નથી જો આપણું ધ્યેય એક જ હોય અને આપણાં હ્રદય ખુલ્લા હોય.. – (Harry Potter and the Goblet of Fire માંથી)
  71. આપણી ક્ષમતાઓથી વધુ અગત્યની છે આપણી પસંદગી, જે બતાવે છે કે આપણે ખરેખર શું છીએ.. – (Harry Potter and the Chamber of Secrets માંથી)
  72. બાળકો કુદરતી ઝેન શિક્ષકો છે, દરેક ક્ષણમાં તેમનું વિશ્વ નવું હોય છે. – જ્હોન બ્રાડશૉ
  73. ઝેન વિશે વાત કરવી સરળ નથી કારણકે ઝેન એટલે નહોવાપણું, જો તેના વિશે વાત કરશો તો એ અસત્ય હશે અને જો વાત નહીં કરો તો કોઈને ઝેન વિશે જ્ઞાન નહીં રહે. – રોબર્ટ પિર્સિંગ
  74. ઝેન એ આધ્યાત્મિકતાને બટેટાની છાલ ઉતારતી વખતે ભગવાન વિશે વિચારવા સાથે ગૂંચવતું નથી. ઝેન આધ્યાત્મિકતા એ બટેટાની છાલ ઉતારતી વખતે તેમાં ધ્યાન આપવું એ છે. – ઍલન વોટ્સ
  75. સાચું કામ અને ખોટું કામ – એ વિચારોથી ઘણે દૂર એક ખેતર છે, હું તને ત્યાં મળીશ. – રુમી
  76. જો તમારા અંતરમાં શાંતિ હશે તો તમને કોઈ બ્રાહ્ય વાસ્તવિકતાના ગુલામ બનાવી શક્શે નહીં. – શ્રી ચિન્મયાનંદજી
  77. જો તમે હતાશ હોવ તો તમે ભૂતકાળમાં જીવી રહ્યા છો, જો તમે ઉતાવળા અને અધીરા હોવ તો તમે ભવિષ્યમાં જીવી રહ્યા છો, જો તમે શાંત હશો તો જ તમે આજમાં જીવી શક્શો. – લાઓ ત્સુ
  78. સ્મિત એ ધ્યાનનું એક ખૂબ ઉંચુ સ્વરૂપ છે. – અજ્ઞાત
  79. બીજાના કર્તવ્યોને આપણો અધિકાર સમજી લેવું બહુ મોટી ભૂલ છે. – ભાઈશ્રી રમેશભાઈ ઓઝા
  80. રોજ સવારે આપણને નવો જન્મ મળે છે, આજે આપણે શું કરીએ છીએ એ સૌથી અગત્યનું છે. – બુદ્ધ
  81. ગઈકાલે હું ચતુર હતો અને વિશ્વને બદલવા માંગતો હતો, આજે હું ચતુર છું અને મારી જાતને બદલી રહ્યો છું. – રુમી
  82. લોકોની જાગૃતિના સ્તર પરથી જાણી શક્શો કે તેઓ તેમનું શ્રેષ્ઠ કેટલી હદે કરી રહ્યાં છે. લોકો જેવા છે તેવા તેમને સ્વીકારો અને તેમને માફ કરવા સદા તૈયાર રહો – દિપક ચોપડા
  83. ઝેન બુદ્ધિઝમ એ એવી શાખા છે જેમાં માન્યતા, આસ્થા કે સ્વીકારની જરૂર નથી. – ડેવિડ સિલ્વિયન
  84. એવી રીતે ચાલો કે જાણે તમારા પગથી તમે પૃથ્વીને ચુંબન કરી રહ્યા હોવ. – થિચ ન્હાટ હાન્હ
  85. તણાવગ્રસ્ત નહીં પણ સાવચેત, વિચારોમાં નહીં પણ જાગૃત, અક્કડ નહીં પણ વિનમ્ર, મર્યાદા અને બંધનોની અસહજ સ્થિતિમાંથી મુક્તિ. સંપૂર્ણપણે અને ચૂપકીદીથી સજીવ, જાગૃત અને સચેત, જે પણ આવે એ માટે તૈયાર રહેવું. – બ્રૂસ લી
  86. ઝેન છે એવું કાંઈ પણ વિચાર્યા વગર, તમે એ જાણતા હોવ ત્યારે ચાલવું, બેસવું કે સૂઈ જવું, તમે જે પણ કરશો એ ઝેન જ હશે. – બોધિધર્મ
  87. ઝેન ફક્ત એક કળા નથી, કોઈ ધર્મ નથી, એ છે સત્યને પૂર્ણપણે જાણવું. – જેન ક્લાર્ક
  88. ઝેન વિશે જે વાત મને ગમે છે તે એ કે ઝેન સિદ્ધિ મેળવવામાં માનતું નથી. – એન્જીસ માર્ટિન
  89. તમે જેને વળગી રહો છો તેને જ તમે ગુમાવો છો. – બુદ્ધ
  90. અંતમાં ફ્ક્ત ત્રણ વસ્તુઓથી ફરક પડે છે, તમે કેવું જીવ્યા, તમે કેવો પ્રેમ કર્યો અને તમે કેટલો ત્યાગ કરી શક્યા. – જૅક કોર્નફીલ્ડ
  91. પ્રતિભાવ આપો પણ પ્રતિક્રિયા નહીં, સાંભળો પણ બોલો નહીં અને વિચારો પણ ધારી ન લેશો. – રાજી લુક્કુર
  92. ધર્મ ચર્ચાનો વિષય નથી, એ આચરણનો વિષય છે – ભાઈશ્રી રમેશભાઈ ઓઝા
  93. કરુણા ભેદભાવરહિત હોવી જોઈએ, એવી માન્યતા સાથે કે જેટલો તમને ખુશ થવાનો હક્ક છે એટલો જ બીજાને પણ છે. – દલાઈ લામા
  94. અત્યારની ક્ષણમાં હોવું એટલે નિંદ્રામાં હોવું, જાગૃત હોવું એટલે સમગ્રમાં હોવું. – ઓશો
  95. પાણીના નિનાદમાં તમને સદાય તમારા પ્રશ્નોના ઉત્તર મળશે – ચુઆંગ ત્સુ (તાઓ)
  96. જે કોઈનો વિશ્વાસ કરી શક્તો નથી, તેનો કોઈ વિશ્વાસ કરી શક્શે નહીં. – લાઓ ત્સુ
  97. ઉડતા હંસનો પડછાયો ઝીલવામાં શાંત પાણીને કોઈ વાંધો આવતો નથી. – ઝેન કહેવત
  98. દુઃખ શું છે? જૂના વિચારો અને લાગણીઓનો બોજ. – લાઓ ત્સુ
  99. પોતાની જાતને સ્પષ્ટપણે જાણવાનું કાર્ય સહેલું છે, તમે જે શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છો એ તમે પોતે જ છો. – રમેશ બાલશેખર
  100. જ્યારે એક સામાન્ય માણસ જ્ઞાન પ્રાપ્ત કરે ત્યારે એ સાધુ બને છે, અને જ્યારે એક સાધુ જ્ઞાન પ્રાપ્ત કરે છે ત્યારે એ સામાન્ય માણસ બને છે. – ઝેન કહેવત
  101. જ્યાં સુધી તમારી ઇચ્છાઓના મૂળ તમારા મનમાંથી ઉખાડીને ફેંકશો નહીં ત્યાં સુધી દુઃખ તમારામાં ઉગવાનો રસ્તો મેળવી લેશે. – બુદ્ધ

– ટ્વિટર પરથી સંકલિત…

બિલિપત્ર

તમારા કરુણ એકાંતમાં અનંતનું જ સખ્ય શોધજો;
મરુભૂમિ જેવા ચિત્તપ્રદેશને તે નંદનકાનન બનાવી દેશે.
– નાથાલાલ જોશી (‘અમૃતમ્’ માંથી સાભાર)

છેલ્લા થોડા વખતથી ટ્વિટર મારે માટે ઝેન વિચારો અને એ રીતે જીવનપદ્ધતિને જાણવા અને સમજવાનું ખૂબ હાથવગું માધ્યમ થઈ રહ્યું છે. ૧૪૦ શબ્દોની મર્યાદામાં અનેક ઝેન ગુરુઓ અને ઉપદેશઓ તરફથી પ્રસ્તુત કરાતી વિચારકણિકાઓ મનને વિચારનું ભાથું પૂરું પાડે છે. થિચ ન્હાટ હાન્હ અને ડી. ટી. સુઝુકીના પુસ્તકો સાથે શરૂ થયેલી આ ઝેનયાત્રા ટ્વિટરના માધ્યમે અનેક નવીન વિચારો અને સરળ પરંતુ અનહદ વાતો આપે છે. આજે એ પ્રયાસમાંથી ૧૦૧ વિચારકણિકાઓ પ્રસ્તુત કરી છે.


Leave a Reply to Upendra VarmaCancel reply

11 thoughts on “૧૦૧ ઝેન વિચારમોતીઓ.. – ટ્વિટર પરથી સંકલિત..