ગુજરાતની સ્થાપના પ્રસંગે… – રવિશંકર મહારાજ 6


આજે ગુજરાતનું રાજ્ય સ્થપાઈ રહ્યું છે. તે વખતે પૂ. ગાંઘીજીની ભવ્ય મૂર્તિ અને એમણે આપેલો ભવ્ય વારસો તેમજ આ સ્થળે રહીને આપણને આપેલા અનેક પાઠો પણ નજર સમક્ષ તરવરે છે. વળી ગુજરાતના ઘડવૈયા અને આપણને સૌને પ્રિય એવા પૂ. સરદારશ્રીનું આ પ્રસંગે સ્મરણ થાય છે. તેમણે નમ્રભાવે પ્રણામ કરી મારી ભાવભીની અંજલિ અર્પણ કર્યા સિવાય રહી શકતો નથી. દેશને માટે જેમણે નાનીમોટી કુરબાનીઓ અને પ્રાન અર્પ્યા છે, તે સૌ નામીઅનામી રાષ્ટ્રવીરોને આદરભાવે વંદન કરું છું.

રાષ્ટ્રપિતા ગાંઘીજીની નજર સમક્ષ દરેક ક્ષણે ભારતનું ગામડું અને ગામડાંની પ્રજા રહેતી. એમના વિકાસમાં એ ભારતનો વિકાસ જોતા. આપણા ગુજરાતનાં ગામડાંઓમાં કુશળ, ખંતીલા અને ખૂબ મહેનતુ ખેડૂતો છે. ભણેલા ન હોવાં છતાં ધંધોરોજગાર ચલાવવામાં અતિશય કુશળ એવા આપણે ત્યાં સુંદર કારીગરો છે. વહાણ વટું કરવામાઁ કુશળ એવા દરિયાકાંઠે વસતાં દરિયાખેડુઓ પણ છે, અને ગુજરાતની જનતા પાસે અર્થવ્યવહારમાં કુશળ અને કરકસરિયા એવા વ્યવહારકુશળ મહાજનો પણ છે.

આ બધાની શક્તિને ગુજરાતના હિતમાં ચાલના મળે તો ગુજરાત ભલે નાનું રાજ્ય હોય, ભલે અત્યારે ખાદ્યવાળો પ્રદેશ ગણાતો હોય, તોપણ થોડા વખતમાં સમૃદ્ધ બની શકે એ વિશે મારા મનમાં બિલકુલ શંકા નથી. સ્વરાજ્ય મળ્યા પછી દેશભરમાં ઘણાં વિકાસકાર્યો થયાં છે. રાષ્ટ્રની સંપતિ તેમજ પેદાશ પણ વધી હશે. પણ એની યોગ્ય વહેંચણી થાય તો જ આપણને સમતા અને શાંતિની દિશામાં પ્રયાણ કર્યું કહેવાય. યોગ્ય વહેંચણી કરવાનો રસ્તો ધનદોલતની લહાણી કરવી એ નથી, પણ આપણને ત્યાંની એકએક સશક્ત વ્યક્તિને એને લાયકનું કામ મળી રહે અને હોંશે હોંશે એ કામ કરવાનો તેના દિલમાં ઉત્સાહ પ્રગટે એ કરવાની ખૂબ જરૂર છે.

આપને ત્યાંની માનવ શક્તિનો અને કુદરતી બક્ષીસોનો ઉપયોગ થાય તો આપોઆપ સંપતિ અન સમૃદ્ધિ પણ વધવાની અને યોગ્ય વહેંચણી પણ થવાની. આવું કરવું હશે તો આપણને ખેતી અને ગોપાલન તરફ આજે આપીએ છીએ તેથી પણ વિશેષ ધ્યાન આપવું પડશે. ભૂમિ એ કદી શોષણનું સાધન ન બનવી જોઈએ. એ તો પોષણનું સાઅધન બંનવી જોઈએ. આપણું ગોધન અને પશુધન ખાંડુંમાડું હવે નહી ચાલે, પણ જોઈને આંખ ઠરે એવું ગોધન હોવું જોઈએ. જે દેશમાં દૂધની નદીઓ વહેતી, એ દેશમાં ચોખ્ખાં ધી-દૂધ મળવાં દુર્લભ થાય એ આપણી કેવી દુર્દશા કહેવાય! એ સ્થિતિ આપણે ટાળવી જોઈએ.

ગોસંવર્ધન અને ગોસેવા એ જે એનો સાચો ઇલાજ છે. ગોધવબંધી જેમ અમદાવાદ શહેર અને સૌરાષ્ટ્રે કરી છે, એમ આખા ગુજરાતમાં થવી જોઈએ. એમ થશે તો મને બહુ ગમશે. પણ ઉત્તમ ગોપાલન એ જ ખરેખર ગોસેવાનો સાચો માર્ગ છે એ કદી ભૂલવા જેવું નથી.

આજે અનાજ આપણે પરદેશથી મંગાવવું પડે છે. આ સ્થિતિ આપણા માટે ખતરનાક અને શરમજનક છે. અનાજની બાબતમાં ગુજરાતે સ્વાવલંબી બનવાનો નિર્ધાર કરવો જ જોઈએ. અને એ સાથે એની સુવ્યવસ્થિત યોજના ઘડીને દેશને માર્ગ દર્શન આપવું જોઈએ.

સ્વરાજ્ય મળ્યા પછી અતિ પવિત્ર ઉત્પાદક શ્રમશક્તિ દિવસે દિવસે આપણામાં ઘટતી જાય છે અને પ્રજાનું મોં વધારે ને વધારે ભોગ તરફ જઈ રહ્યું છે. એ ભોગ પ્રાપ્તિ માટે એને અન્ન અને ઘી- દૂધ કરતાં સિક્કાની અગત્ય વધુ સમજાવવા લાગી છે. તેથી ખેતી જેવો પવિત્ર ધંધો કરનાર ખેડૂતો પણ સિક્કા પાછળ પડ્યા છે. પણ આ બધાનું ખરું કારણ છે સુધરેલા ગણાતા ભદ્રસમાજનો આચાર. આપણા આ વર્ગે સ્વરાજ મળ્યા પછી ત્યાગને બદલે ભોગ તરફની રૂખ બતાવી છે. એટલે એ દિશાએ સામાન્ય જન પણ વળ્યા છે. આ કારણે જીવનનાં બધાં ક્ષેત્રોમાં તાણ અને અસંતોષનું ભાન થવા લાગ્યું છે.

પ્રજા વધારે પૈસા પાછળ દોટ કેમ કાઢે છે? એને જેટલું મળે છે એટલું ઓછું જ કેમ પડે છે? એનું મોં સંગ્રહ તરફ અને વધુ સુખપભોગ તરફ કેમ વધે છે? આ વૃત્તિ રોકવા માટે ચીન ની જેમ આટલાં કપડાં પહેરો, આમ જ કરો, આમ જ વર્તો એવા વટહુકમો ભલે બહાર ન પાડીએ, પરંતુ આપણા પ્રધાનો, આપણા  આગેવાનો અને આપણા  અમલદારો તથા આપણા મુખ્ય કાર્યકરો પોતાના જીવનમાં સદાઈ ને કરકસરનું તત્વ અપનાવીને પ્રજાને ઉત્તમ પ્રકારનું માર્ગદર્શન આપી શકશે.

બંગલાઓ, મોટરો, ફર્નિચર, મોટાઈ દેખાડવાની રીતભાતો, હોટેલો, મિજબાનીઓ એ સૌમાં સાદાઈ અને કરકસરની છાપ પાડવી જોઈએ. રાજ્યનાં કામમાં તો ઠીક, પણ અંગત જીવનમાંય એ તત્ત્વો દેખાવા લાગશે તો પ્રજા પર એની જાદુઈ અસર પડશે.

આજે લાંચારુશવત અને કાળા બજારની બદીઓ ઠેરઠેર જોવા મળે છે. એ માટે રાજ્યે અને પ્રજાજનોએ સહકાર સાધીને એને દૂર કરવાનો દ્રઢ નિર્ધાર કરવો પડશે.

આપણને સ્વરાજ્ય મળ્યાને આજે બારબાર વર્ષનાં વહાણા વાયાં, એમ છતાં આપણા સામાન્ય જનોને આપણું રાજ્ય પરા જેવું લાગે છે, કારણકે આપણા વહિવટની ભાષા હજી અંગ્રજી ચાલે છે. લોકોની ભાષામાં લોકોનો વહિવટ ન ચાલે, લોકો સમજી શકે એ ભાષામાં ન્યાય ન તોળાય, લોકો સમજી ન શકે એવી ભાષામાં શિક્ષણ ન અપાય, ત્યાં સુધી લોકોને ‘આ અમારું રાજ્ય છે અને એના ઉત્કર્ષ માટે અમારે પરિશ્રમ ઉઠાવવો જોઈએ’ એવી ભાવના નહીં જાગે, રાજ્ય માટેનો આત્મભાવ નહીં જાગે. એટલે ગુજરાત રાજ્યે સૌપ્રથમ એવી જાહેરાત કરવી જોઈ કે ગુજરાત રાજ્યનો તમામ વહીવટ ગુજરાતી ભાષામાં ચાલશે, શિક્ષણનું માધ્યમ પહેલેથી છેલ્લે સુધી ગુજરાતી જ રહેશે અને નોકરીઓ માટેની પરીક્ષાઓ પણ ગુજરાતી મા લેવામાં આવશે.

પ્રાથમિક શિક્ષણનાં પ્રથમ સાત ધોરણોમાંથી સ્વ. ખેરસાહેબની મુંબઈ સરકારે અંગ્રજીને બાદ રાખવાની જે નીતિ વર્ષો પહેલા જાહેર કરીને અમલમાં આણી છે, અ બહુ ડાહપણ ભરી નીતિ છે, અને એને ગુજરાત રાજ્ય દ્રઢતાથી વળગી રહેશે. શિક્ષણનું ધોરણ ઉતરી ગયું છે એને ઊંચું લાવવા માટે શું કરવું જોઈએ, એની પણ ખૂબ વિચારણા કરવી પડશે.

ભણેલા તેમજ અભણને કામધંધો આપવો એ આજની મુખ્ય સમસ્યા છે. એ માટે ખાદી અને ગ્રામોદ્યોગ જેવા યોગ્ય ધંધોરોજગાર શરૂ કરવા. જે ધંધાને રક્ષણ આપવાની જરૂર હોય તેને રક્ષણ આપવું અને વધુ બેકાર બનતા અટકે એવી શિક્ષણપ્રણાલી ઊભી કરવી એમાં આપણી સફળતાની ચાવી પડેલી છે.

નોકરી અને શિક્ષણની ડિગ્રી વચ્ચેનો સંબંધ છૂટો કરી દેવામાં આવે અને જે ધંધામાં જવા માટે આવડતની જરૂર હોય તે અંગેની પ્રવેશપરીક્ષા લઈને જ ઉમેદવારને દાખલ કરવાની પ્રથા અપનાવવામાં આવે તો શિક્ષણ માં જે ગંદકીઓ પેસે છે, તેમાથી આપણે સહેજે બચી શકીએ.

બધા પક્ષોને મારી નમ્ર વિનંતી છે કે તેઓ એટલું જનર સમક્ષ રાખે કે આપણા પક્ષ કરતાં પ્રજા બહુ મોટી છે. સમગ્ર રાજ્ય કે દેશના હિત ખાતર પક્ષનું મહત્વ ઓછું આંકવાની પરિપાટી આપણે શરૂ કરવા જેવી છે. વિરોધી પક્ષે વિરોધ ખાતર વિરોધ કરવાનો ન હોય અને રાજ્યકર્તા પક્ષે વિરોધપક્ષની વાત છે માટે એનો વિરોધ કરવાની પ્રથામાંથી બચવા જેવું છે. પક્ષો એ ખરેખર તડાં છે, ગામનાં તડાં પડવાથી જેમ ગામની બેહાલી થાય છે, એમ રાષ્ટ્રના તડા પાડવાથી રાષ્ટ્રની બેહાલી થાય છે.

બધા પક્ષવાળા ભલે આજે ને આલે પક્ષમાંથી મુક્ત થઈ શકે. પણ ગ્રામ પંચાયતોમાં પક્ષો ન પેસે એનો તો આગ્રહ જરૂર આપણે રાખી શકીએ, અને ચૂંટણી દરમ્યાન પક્ષનું ઝેર ફેલાતું અટકે એ માટે બધા પક્ષોએ શુદ્ધિ માટે પાળવા જેવા કેટલાક નિયમો નક્કી કરી એને અમલમાં મૂકવાની નીતિ સ્વીકારવી જોઈએ. તો જ આપણે પ્રજાને લોકશાહીની સાચી કેળવણી આપી શકશું.

લોકશાસનની સાચી ચાવી છે લોકકેળવણી. વહીવટ ચલાવવામાં રાજ્યકર્તાઓને દંડશક્તિનો ઓછામાં ઓછો આશરો લેવો પડે અને ગોળીબાર જેવા આકરાં પગલાં લેવાં જ ન પડે, એવી રીત શોધવી જોઈએ.

આજકાલ આપણે ત્યાં શહિદોની ચર્ચા ચાલે છે, પણ એ વખતે જે બનાવો બન્યા હતાં એ બહૂ દુઃખદાયક હતાં. છેવટે તો એ વખતે ઘવાયેલા કે મરાયેલા એ આપણાં ગુજરાતના જ બાળકો હતાં, એ લાગણી તરફ પણ સહાનુભૂતિથી જોવું જોઈએ. તેમના માબાપોને પણ વિનંતી કરું છું કે તેઓ ગઈગુજરી ભૂલી જાય. પરમેશ્ર્વર એમના આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના.

આજકાલ નાનાં નાનાં છોકરાંઓને જોઉં છું, એમની સમજણઆને એમનું શોર્ય અને એમનું પાણી જોઉં છું. ત્યારે હું ખૂબ ખુશ થઈ જાઉં છું. પણ માબાપોએ કુટુંબો મારફત અને પોતાના જીવન મારફત જે સુસંસ્કારો સીંચવા જોઈએ, એમાંથી આપણે કંઈક પાછા પડ્યા છીએ,કેવળ મોટાઈ અને પૈસા કમાવવામાં પડ્યા છીએ. શિક્ષકો પણ એમના હાથમાં જે અમોલી મૂડી મૂકવામાં આવી છે, અને કેટલીક જવાબદારી છે એનું ભાન પણ વિસર્યા લાગે છે. સરકાર તથા રાજકીય પક્ષોપણ કેળવણી તથા કેળવણીમાં કામ કરનારાઓ પ્રત્યે જેવું ધ્યાને આપવું જોઈએ તેવું આપી નથી શક્યા.આ ત્રણેય જો પોતાનું કર્તવ્ય બરાબર બજાવવા લાગી જય તો આજે જુવાનોની શક્તિનો પૂરેપૂરો ઉપયોગ પ્રજાના હિતમાં વપરાતો થઈ જાય અને આપણે ખૂબ સુખી થઈ શકીએ.

અસ્પૃશ્યતા નિવારણ માટે આપણી સરકારે ઉત્તમ કાયદો કરીને આપણું કલંક ધોયું છે. પણ વર્ષોથી સેવેલા ઊંચનીચના સંસ્કારો હજી પ્રજાજીવનના વ્યવહારમાંથી દૂર નથી થયા. એ વાત માટે તો હજી આપણે પ્રજામાનસ કેળવવાનો ભગીરથ પુરુષાર્થ કરવો પડશે. એ વાત સ્ત્રી જાતીના પશ્નને પણ એટલી જ લાગુ પડે છે. આ માટે તેમનાં સમાજોપયોગી કામોને પ્રતિષ્ઠા આપવી જોઈએ, અને ઊંચનીચના જાતિભેદ દૂર કરવા જોઈએ.

આવો જ સવાલ દારૂબંધીનો છે. એ અંગે આપણી જે નીતિ છે, તે ખરેખર શ્રેષ્ઠ છે, તે ચાલુ રહેવી જોઈએ. તેને સંપૂર્ણપણે સફળ બનાવી શકીએ તો દેશને બહુ મોટો ફાયદો થાય.

ખરી રીતે તો પૂ. વિનોબાજીએ આપણને ગ્રામ્ય સ્વરાજ્યની જે રીત બતાવી છે, તે એ છે કે સરકાર પર બધો આધાર નહીં રાખતાં પ્રજાએ પોતે ગ્રામશક્તિ એકઠી કરીને ખોરાક, પોષાક, રક્ષણ, કેળવણી, આરોગ્ય અને આસપાસના ઝઘડાઓ મિટાવવામાં સ્વાલંબી બનવું જોઈએ. ઉત્તમ તો એ છે કે લોકો પોતાનો વ્યવહાર પોતાની મેળે કરતા થાય અને રાજ્ય તેમાં સરળતા કરી આપે.

ગુજરાત અને મહારાષ્ટ્ર ભલે અલગ અલગ રાજ્ય બન્યાં. પણ છેવટે તો આપણે સૌ એક જ ભારતદેશના વાસીઓ છીએ. સર્વ પ્રાંતોના લોકો આપણા દેશ બંધુઓ છે. સૌની ભાષાઓ એ આપણી જ ભાષા છે. જુદા પડવાનું કે ભેગા રહેવાનું, આપણા સ્વાર્થ અને સુખ માટે નથી, પણ આખા રાષ્ટ્રની ઉન્નતિ અને સેવા કરવા માટે છે. આપણે એક જ નાવમાં બેઠેલા છીએ એ વાત કદી ન ભૂલીએ.

વળી આપણી પાસે ગુજરાતની મોટી કોમ- આદીવાસી, જે જંગલમાં પડી છે તે કરકસર અને મહેનતથી જીવે છે પણ અ નતામાં જીવે છે. તો એ આદીવાસી કોમની ઉન્નતિ માતે આપણે ખૂબ લક્ષ આપવું પડશે.

આપણે ગાંધીજીના અને સરદારશ્રીના વારસદારો છીએ. એટલે એમણે આપેલા વારસાને શોભવીએ. પ્રભુ આપણને ગાંધીમાર્ગે રાજ્ય ચલાવવાની, ધનથી ગરીબ છતાં સંસ્કરોથી ભવ્ય એવા ભારતના સેવકો થવાની શક્તિ અને સદબુદ્ધિ આપે અને સુપંથે ચાલવાનું પ્રભુ બળ આપે એવી શુભ પ્રાર્થના કરીને આપણે નવું પ્રયાણ કરીએ.

આપ સર્વે આ પ્રસંગે આ પવિત્ર કાર્યની શરૂઆત કરવા માટે મને આગ્રહ કર્યો તે માટે તમારા સૌનો આભાર માનું છું.

સર્વેડત્ર સુખિનઃ સન્તુ સર્વે સન્તુ નિરામયાઃ
સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ર્વિત દુઃખમાપ્નુયાત

(ગુજરાત રાજ્યના ઉદઘાટન પ્રસંગે, સાબરમતી, ૧-૫-૬૦)

– રવિશંકર મહારાજ

(સાભાર ‘વિશ્વનાં યાદગાર પ્રવચનો’ પુસ્તકમાંથી, પુસ્તક સંપાદન – શ્રી સુરેશ દલાલ અને શ્રી મહેશ દવે.)

આજથી ત્રેપનવર્ષ પહેલા ગુજરાત રાજ્યના ઉદઘાટન પ્રસંગે શ્રી રવિશંકર મહારાજે વ્યક્ત કરેલી લાગણી, ગુજરાત પ્રત્યેની તેમની અપેક્ષાઓ અને લોકજીવનને વધુ સગવડભર્યું બનાવવાનું માર્ગદર્શન આપતા તેમણે કહ્યું છે, ‘સમગ્ર રાજ્ય કે દેશના હિત ખાતર પક્ષનું મહત્વ ઓછું આંકવાની પરિપાટી આપણે શરૂ કરવા જેવી છે. વિરોધી પક્ષે વિરોધ ખાતર વિરોધ કરવાનો ન હોય અને રાજ્યકર્તા પક્ષે વિરોધપક્ષની વાત છે માટે એનો વિરોધ કરવાની પ્રથામાંથી બચવા જેવું છે. પક્ષો એ ખરેખર તડાં છે, ગામનાં તડાં પડવાથી જેમ ગામની બેહાલી થાય છે, એમ રાષ્ટ્રના તડા પાડવાથી રાષ્ટ્રની બેહાલી થાય છે.’ આવા અનેક સુંદર વિચારો સાથે આજના દિવસે આ સંદેશ સમયસરનો બની રહેશે.

બિલિપત્ર

જો આપણી સામાજીક, આર્થિક અને રાજકીય સંસ્થાઓને સક્ષમ નહીં બનાવીએ તો આત્યંતિક યંત્રીકરણના ભાર હેઠળ કોઈ વિરાટ નિર્જીવ સંગઠનના દબાણ તળે વ્યક્તિની સ્વાયત્તતા કચડઈ ગયા વિના રહેશે નહીં.
– જયપ્રકાશ નારાયણ


Leave a Reply to Satish DholakiaCancel reply

6 thoughts on “ગુજરાતની સ્થાપના પ્રસંગે… – રવિશંકર મહારાજ

  • Rajesh Bhat

    I thank Aksharnaad for remembering Ravishankar Maharaj on this significant day. What he said is even more relevant today; we need to build a “national character” rather than talk about various “isms” and debate over international corruption. Character building begins with self.

  • Satish Dholakia

    ખરેખર આજનો દિવસ મુઠી ઉંચેરા માનવી એવા રવિશંકર મહારાજ ને વંદન કરીએ અને તેમના પ્રેરણાત્મક પ્રવચન ના અનુસંધાને,આત્મ મંથન કરીએ…!

  • Maheshchandra Naik

    ગુજરાત રાજ્યના આજના શુભ પ્રંસગે સૌ ગુજરાતીઓને અભિનદન્………….
    મહેશચન્દ્ર નાયક-કેનેડા………..

  • gopal parekh

    આજના શુભપ્રસંગે પૂજ્ય રવિશંકર મહારાજને પણ યાદ કર્યા તે બદલ ખૂબ ખૂબ અભિનંદન
    ગોપાલ

  • gopal parekh

    આજના શુભ પ્રસંગે પૂજ્ય રવિશંકર મહારાજને યાદ કર્યા એટલે ખૂબ ખૂબ અભિનંદન !
    ગોપાલ