બાળકોમાં શિક્ષણ દ્વારા સંસ્કાર – પી. કે. દાવડા 11


હું જ્યારે નાનો હતો ત્યારે શિક્ષણ અને સંસ્કાર સિંચન બન્ને સાથે સાથે જ થતાં.આની શરુઆત બાળક ચાલતાં શિખે ત્યાંથી જ થઈ જતી.

“પા પા પગલી, નાના ડગલી…”

કદી વિચાર્યું છે કે આમા ‘નાના ડગલી’ શા માટે છે?

બાળકના જન્મ પછી સ્ત્રીઓ સ્વાથ્યલાભ માટે પિયરમાં લાંબા સમય સુધી રહેતી. બાળક ચાલવાનું નાના ના ઘરમાં, નાના ની ડગલી પકડીને શિખતો. એટલા માટે નાના ડગલી!!

આજે બાળકની ખુબ ભણેલી મમ્મી શિખવે છે, “One foot up and one foot down, and that is the way to London Town.” જે બાળક ચાલવાની શરૂવાત જ લંડન જવાના રસ્તેથી કરે છે, તે મોટો થઈ કાયમ માટે ઈગ્લેંડ અમેરિકા માં વસવાટ કરે તેમા શી નવાઈ?

બીજો એક દાખલો આપું. અમને શિખવતા, “મેં એક બિલાડી પાળી છે, તે રંગે બહુ રૂપાળી છે”

આજે શિખવે છે, “Pussy cat Pussy cat, where have you been? I have been to London, to look at the queen.” જેની બિલાડી પણ લંડન જાય, તે પોતે ઈન્ડિયામા કેમ રહે?

બિલાડીની વાત ચાલે જ છે તો બીજી એક વાત કરી લઉં. અમને બાળપોથીમાં જ Genetics અને Zoology શિખવા મળ્યું હતું.

“મેં એક બિલાડી પાળી છે…” કવિતામા છેલ્લે આવે છેઃ “એના દિલ પર દાગ છે, એ મારા ઘરનો વાઘ છે.”

આમા કહ્યું છે કે બિલાડી અને વાઘ genetically સરખા છે. આનો બીજો પૂરાવો; “બિલ્લી વાઘ તણિ માસી, જોઈને ઉંદર જાય નાસી.” બિલ્લી અને વાઘ બન્ને જેનેટિકલી એક જ હોય તો જ માસી ભાણેજ થાય ! અંગ્રેજીમાં વાઘ, દીપડા, ચિત્તા વગેરેને Big Cats જ કહે છે ને?

“તું અહિંયા રમવા આવ મઝાની ખિસકોલી…” માં છેલ્લે આવે છે; “તારી જગમા સુંદર જાત મઝાની ખિસકોલી, તું ઉંદરભાઈની નાત મઝાની ખિસકોલી”

અહીં પણ ઉંદર અને ખિસકોલિ જેનેટિકલી એક છે એમ કહ્યું છે. આજે Genetics બાળપોથીમા નહીં પણ Ph.D.મા શીખવા મળે છે ! આપણે જેનેટિક્સની વાત કરી. હવે ઝુલોજીની વાત કરીએ.

“કાળી ધોળી રાતી ગાય, પી ને પાણી ચરવા જાય, ચાર પગ ને આંચળ ચાર, વાછરડાં પર હેત અપાર” છે ને ઝુલોજી?

પ્રયત્ન તો ભાષા શિખવવાવાનો છે પણ સાથે સાથે પશુ પરિચય પણ થાય છે. તમે જોયું હશે કે આપણે અત્યાર સુધીમાં બિલાડી, ખિસકોલિ અને ગાયની વાત પણ કરી લીધી.

માત્ર પશુ પરિચય નહિં, બાળકને શરીરના અંગોનો પણ પરિચય કરાવતા. દા.ત.

“નાના મારા હાથ, એ તાળી પાડે સાથ, એ તો કેવી અજબ જેવી વાત છે ?
પગ મારા નાના, એ ચાલે છાના માના, એ તો કેવી અજબ જેવી વાત છે ?” વગેરે વગેરે.

ગુજરાતી ભાષા શિખવવાની સાથે સાથે સંસ્કાર અને જીવનની પ્રવૃત્તિઓ વિશે ઘણું બધું શિખવી દેવામા આવતું.

“રાત્રે વહેલા જે સુવે, વહેલા ઉઠે વીર, બળ બુધ્ધિ વિદ્યા વધે, સુખમા રહે શરીર.”

અને

“પરોઢિયે નિત ઊઠીને, લેવું હરિનું નામ, દાતણ કરી નાહ્યા પછી, કરવા કામ તમામ.”

સાસરે જતી દિકરીને માં કહેતી, “સાસરિયામા તું વહેલી ઊઠજે, જેથી કુટુંબના બીજા બધાને સવારની દિનચર્યામા મદદરૂપ થઈ શકે.” આજે કેટલી માતાઓ આવી સલાહ આપતી હશે? અને સંસ્કારની વાત કરૂં તો, ” કહ્યું કરો માબાપનું, દો મોટાને માન, ગુરૂને બાપ સમા ગણો, મળસે સારૂં જ્ઞાન”

મોટાને માન આપવાની વાત આવી તો મને યાદ આવે છે કે પહેલાના જમાનામા પતિ અને પત્નિ બન્ને એકબીજાને તમે કહેતા. બાળકો પણ માતા-પિતા બન્નેને તમે કહેતા. જમાનો આગળ વધ્યો, પતિએ પત્નિને તું કહેવાનુ શરૂ કર્યું. બાળકોએ પણ મમ્મીને તું કહેવાનુ શરૂ કર્યું. હાલમા પત્નિએ પણ પતિને તું કહેવાનું શરૂ કર્યું છે, બાળકોએ પણ પિતાને તું કહેવાનુ શરૂ કર્યું છે. મેં આવા ઘણા કુટુંબ જોયા છે, હવે મને નવું નથી લાગતું.

ગુજરાતી ભાષાના શિક્ષણમાંજ ધર્મ વિશેનું શિક્ષણ અપાઈ જતું.

“ઓ ઈશ્વર ભજીયે તને, મોટું છે તુજ નામ, ગુણ તારા નિત ગાઈએ, થાય અમારા કામ;
હેત લાવીને હસાવ તું, સદા રાખ દિલ સાફ, ભૂલ કદી કરીએ અમે, તો પ્રભુ કરજે માફ.”

અને

“વિભુ સૌમા વસેલો છે, દયાળુ દેવ મોટો છે, કિધાં તેં સાધનો સારા, સહુને સુખ દેનારા;
જીવોને તું જીવાડે છે, અમોને તું રમાડે છે, મતિ સારી સદા દે તું, અતિ આભાર માનું હું.”

ઋતુઓનુ જ્ઞાન પણ નાનપણમા જ મળી જતું. કઈ ઋતુમા શું શું થાય, શું શું કરાય, શું શું ખવાય વગેરે કવિતાના માધ્યમથી શિખવી દેવાતું.

“આવરે વરસાદ ઢેબરીયો પરસાદ, ઉની ઉની રોટલી ને કારેલાનુ શાક”

અથવા

“શિયાળે શિતળ વા વાય, પાન ખરે ઘઉં પેદા થાય,
પાકે ગોળ કપાસ કઠોળ,તેલ ધરે ચાવે તંબોલળ;
ધરે શરિરે ડગલી શાલ, ફાટે ગરીબ તણા પગ ગાલ,
ઘટે દિવસ ઘણી મોટી રાત, તનમા જોર મળે ભલી ભાત.”

અને

“શરદ શી સુહે, વાદળાં ગયાં, જળ નદી તણાં નીતરાં થયાં,
ગગનથી સુધા ચંદ્રની જરી, રસભરી રમે રાસ ગુરજરી.”

અને

“રૂડો જુવો આ ઋતુરાજ આવ્યો, મુકામ તેણે વનમા જમાવ્યો,
તરુવરોએ શણગાર કીધો, જાણે વસંતે શિરપાવ દીધો.”

ઋતુઓની વાત આપણે કરી લીધી. થોડા મોટા થયા એટલે, બોધ અને અક્કલની વાતો આવી,

“ઊંટ કહે આ સમામા વાંકા અંગવાળા ભુંડા
ભૂતળમા પશુઓ ને પક્ષીઓ અપાર છે;
બગલાની ડોક વાંકી, પોપટની ચાંચ વાંકી
કૂતરાની પુછડી નો વાંકો વિસ્તાર છે;”

કે

“એક શરણાઈવાળો સાત વર્ષ સુધી શિખી
રાગ રાગણી વગાડવામા વખણાણો છે;
એકને જ જાચું એવી ટેક છેક રાખી
એક શેઠને રિઝાવી મોઝ લેવાને મડાણો છે;

અને

પોલું છે તે બોલ્યું તેમાં કરી તેં શી કારીગરી?
સાંબેલું વગાડે તો હું જાણું કે તું શાણો છે!!”

સલાહ પણ કેવી અપાતી?

“રાત પડી ઘર જા ને બાળક, વઢશે બાપુ તારા,
રમવા ટાણું નથી હવે આ ઊગે જો ને તારા;
માળામા પંખી જંપ્યા છે, સૂની સીમ જણાયે
રસ્તા સૂના પડ્યા બધાયે વગડો ખાવા ધાયે.”

હજી થોડા વધારે મોટા થયા, ત્યારે શિખવ્યું

“ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સહેજે, ગણ્યું જે પ્યારું પ્યારાએ અતિ પ્યારું ગણી લેજે.”

“અરે પ્રારબ્ધ તો ઘેલું રહે છે દૂર માગે તો ન માગે દોડતું આવે, ન વિશ્વાસે કદી રહેજે.”

અને

“મને એજ સમજાતું નથી કે આવું શાને થાય છે, ફુલડાં ડુબી જતાં ને પથ્થરો તરી જાય છે.”

અને આજે જે હકીકત છે તે ત્યારે સમજાવી દીધેલું, “કામધેનુને મળે ના એક રૂડું તણખલું, ને લીલાછમ ખેતરોને આખલા ચરી જાય છે.”

શિક્ષામા સબંધોને ખાસ મહત્વ આપવામા આવ્યું હતું.

ભાઈ બહેન
“કાલે રજા છે, ગઈછું હું થાકી, વાંચીસ વ્હેલા સૌ પાઠ બાકી,
તારી હથેલી અહીં લાવ સાચું હું ભાઈ આજે તુજ ભાગ્ય વાંચુ.”

માતા માટે
“મીઠાં મધુ ને મિઠાં મેહુલા રે લોલ,
એથી મીથી તો મોરિ માત રે,
જનની ની જોડ જગે નહિં જડે રે લોલ.”

પિતા માટે
“છડો હું હતો છોકરો છેક છોટો, પિતા પાળી પોસી મને કીધો મોટો,
રૂડી રીતથી રાખતા રાજી રાજી, ભલા કેમ આભાર ભૂલું પિતાજી.”

અને

“ભુલો ભલે બીજું બધું, મા બાપ ને ભુલશો નહિં,
અગણિત છે ઉપકાર એના, આ વાત વિસરસો નહિ.’
“લાખો કમાતા હો ભલે, મા બાપ જે થી ના થર્યા,
એ લાખ નહિ પણ રાખ છે એ માનવું ભૂલસો નહિ.”

આવા શિક્ષણે ત્યારે સબંધોને ટકાવી રાખ્યા હતા.

લખવા બેસું તો ઘણું લાંબુ ચાલસે એટલે સમાપ્ત કરું છું. આજનુ શિક્ષણ સારું છે, પણ આજે સંસ્કારની જગા knowledge અને rules વગેરેને આપવામા આવી છે. લાંબી વાત ને ટૂંકી કરવા અને આજના શિક્ષણનું ચિત્ર પ્રસ્તુત કરવા નીચેની પંક્તિઓ ટાકું છું.

આ સઘળા ફૂલોને કહી દો યુનિફોર્મમાં આવે,
પતંગિયાને પણ કહી દો સાથે દફ્તર લાવે,
મન ફાવે ત્યાં માછલીઓને આમ નહિં તરવાનું,
સ્વીમિંગ પૂલના સગળા નિયમોનું પાલન કરવાનું,

નાનો હતો ત્યારે પંચતંત્રની વાતો, ઈસપની નીતિકથાઓ, બકોર પટેલ, ગિજુભાઈની વાતો, વગેરે વાંચ્યાનું સ્મરણ છે. થોડો મોટો થયો પછી ગોળીબારની મુસાફરી, સોરઠી બહારવટિયા, ગ્રામલક્ષ્મીના ચાર ભાગ, પાટણની પ્રભુતા અને માનવીની ભવાઈ વંચાતાં ગયાં. Earl Stanley Gardner, Harold Robins, Mario Puzzo વગેરે શરૂ કર્યા પછી ગુજરાતી વાંચન બંધ થઈ ગયું. શરૂઆતમા અંગ્રેજી પુસ્તકોમા આવતી બિભત્સતાથી ક્ષોભ થતો, પણ પછી સઘળું કોઠે પડી ગયું. લાંબા સમય બાદ ફરી પાછું એ સંસ્કારી સાહિત્ય યાદ આવ્યું છે.

-પી. કે. દાવડા

શ્રી પી. કે. દાવડા એક રીટાયર્ડ સીવિલ એંજીનીયર છે અને હાલમા અમેરિકાના કેલીફોર્નિયામાં ફ્રીમોન્ટમાં રહે છે. ૭૬ વર્ષની ઉંમર હોવા છતાં અભિવ્યક્તિની તેમની ધગશને લઈને તેઓ છેલ્લા ત્રણેક વર્ષથી લખે છે. અક્ષરનાદ પર આ તેમનો પ્રથમ લેખ છે, છેલ્લા થોડાક વર્ષોના લેખનના મહાવરાએ તેમની કલમને ઔદાર્ય મળ્યું છે જે તેમના પ્રસ્તુત લેખમાંથી સુપેરે અભિવ્યક્ત થાય છે. શિક્ષણ પદ્ધતિના બદલાવના મૂળમાં રહેલ ખૂબ સામાન્ય પરંતુ અગત્યના ફેરફારો તેમણે સાવ બાળસહજ અને જાણીતા ઉદાહરણ દ્વારા સમજાવ્યા છે. ગુજરાતી ભાષાના શિક્ષણથી મળતી માટીની સુગંધ અંગ્રેજીના વ્યાપક પ્રભાવને લઈને નામશેષ – લુપ્ત થઈ રહી છે એ વાતની પ્રતીતી તેમના આ લેખને વાંચ્યા પછી, થયા વગર રહેતી નથી. આવો સુંદર લેખ અક્ષરનાદને પાઠવવા બદલ શ્રી દાવડા સાહેબનો આભાર અને અનેક શુભકામનાઓ.


Leave a Reply to rinesh pambharCancel reply

11 thoughts on “બાળકોમાં શિક્ષણ દ્વારા સંસ્કાર – પી. કે. દાવડા

  • Bhaskar Mahendra Rawal

    અભિનન્દન્…
    મુ. પો. અમેરિકા…ના મિત્ર … ભારતિય વિચારોનુ સુન્દર … સન્કલન્..
    વાચો તથા વન્ચાઓ…

    Hardik Abhinandan!

    Bhasha prayog sathe samyak vichar… sundar rachana …samast samaj mate …

  • Gunvant Vaidya

    One cannot and will not forgive those old and young generation of people who have total disregard to Human values / human dignity. How do we expect them to contribute towards prevailing humanity?
    However, let us not be disheartened by it but carry on working towards sustaining the rich culture which is based on humanity.

  • Kruti

    First of of Congratulations to the writer for sharing such heart touching article.

    Will our future generation be able to write like this??????

    I think now instead of just agreeing to such articles its really time for parents to follow it and ACT… Silently.. Demand pure education or oppose it silently… I think this is the best solution.

    I would like to share link of the institute that works for education revolution.

    http://www.bharatiyashiksha.com

    And here is the video for awareness
    http://www.youtube.com/watch?v=Eltiwfss1po

    I really wish Bhartiya people to wake up and act..

  • Rashmi Mehta

    It’s a very nice article and should be read by the new generation of severnty,eighthy,ninety and two thousand
    era and they should teach them about our own language. God bless the new generation .

  • Vijay

    Very nice.

    Most parents want to have kids move to western country (not Pakistan…but USA,UK,Canada etc). So they are doing correct homework. Look at yourself. Haven’t you ended up in USA?

  • રાજ અધ્યારુ

    આવું સરસ લખાણ ઘણાં સમય પછી વાંચવા મળ્યું..
    ખુબ ખુબ આભાર….