ગુજરાતી ઈ-પુસ્તકના ક્ષેત્રમાં નવી પહેલ 8


પ્રિય વાચકમિત્રો,

ગુજરાતી ઈ-પુસ્તક પ્રકાશનના ક્ષેત્રમાં એક નવી શરૂઆત થઈ રહી છે ત્યારે આજે આપની સાથે એ સરસ સુવિધા વિશે જાણકારી વહેંચવા ઈચ્છું છું.

સમયાંતરે પુસ્તકોને કોપીરાઈટની માયાજાળની બહાર લાવી, સદવાંચન અને સદવિચારનો વ્યાપ વિસ્તરે એ હેતુથી ઈન્ટરનેટ પર તદ્દન મફત વાંચન માટે ઉપલબ્ધ કરાવવાનો અક્ષરનાદનો હેતુ રહ્યો છે અને અક્ષરનાદ ડાઊનલોડ વિભાગમાં અનેક ઈ-પુસ્તકોનું પ્રકાશન આ ધ્યેયની દિશામાં થઈ રહેલ પ્રયાસ બતાવે છે, ડાઊનલોડના આંકડા ઘણાં પ્રોત્સાહન આપનાર રહ્યા છે. આ જ વિચારસરણીને અનુસરનારા અથવા એમ કહી શકાય કે આ વિચારસરણી અક્ષરનાદને સમજાવનારા શ્રી નિરંજનભાઈ રાજ્યગુરૂના સંતસાહિત્ય, લોકસાહિત્ય, લોકસંગીત, ભક્તિસંગીત તથા સંત-ભક્ત કવિઓ વિશેના પુસ્તકો, કે જે તેમના ગહન અને વર્ષોના અધ્યયનનું નવનીત છે, એ હવેથી ઈન્ટરનેટ પર વાંચકો માટે તદ્દન મફત, આંગળીની ક્લિકે વાંચવા માટે ઉપલબ્ધ થઈ રહ્યા છે, આ શરૂઆતના ભાગ રૂપે અત્યારે પાંચ પુસ્તકો તેમની ભક્તિસંગીત – માહિતિ સભર વેબસાઈટ આનંદ-આશ્રમ.કોમ પર ઉપલબ્ધ કરાવાયા છે. લગભગ રોજ અપડેટ થતી અને અનેક ભજનો – ભક્તિગીતો – લોકસાહિત્યના સાગર જેના પરથી તદ્દન મફત સાંભળી શકાય છે તેવી આ સરસ વેબસાઈટની એક નવી સુવિધા આકાર લઈ રહી છે, અનેક ઈ-પુસ્તકો અહીં મૂકાઈ રહ્યા છે અને ભવિષ્યમાં મૂકાવાના છે.  ડૉ. નિરંજનભાઈને ગુજરાતી બ્લોગ / વેબજગતની સમૃદ્ધિમાં અનેરી આભા ઉપસાવનારા આ નવા, ઉપયોગી અને પથદર્શક પગલાં બદલ ખૂબ ખૂબ ધન્યવાદ.

અક્ષરનાદ ડાઊનલોડ વિભાગમાં પણ આ પુસ્તકોની સીધી કડી ઉપલબ્ધ છે, જેથી અહીંથી પણ આપ આનંદ-આશ્રમ.કોમ પરથી એ પુસ્તકો વાંચી શક્શો.

સામાન્ય રીતે કોઈ પણ પ્રકાશક અથવા લેખક જ્યારે ઈન્ટરનેટ પર પોતાના પુસ્તકો ઈ સ્વરૂપે મૂકે ત્યારે તેના પહેલા પાનાં અને અનુક્રમણિકા તથા ક્યારેક પ્રથમ પ્રકરણ મફત વાંચન માટે ઉપલબ્ધ કરાવાય છે અને તે પછી વધુ વાંચન માટે નક્કી કરેલી ફી ઉઘરાવાય છે. તો ઘણી વખત આશ્ચર્યકારક રીતે ઈ-પુસ્તકો વાંચવા માટે તદ્દન મફત પણ ઉપલબ્ધ હોય છે, તેમના ડાઊનલોડ અવરોધેલા હોય છે, જેમ કે હારપર કોલિન્સ પ્રકાશન ‘ટ્રાય બિફોર યુ બાય‘ નેજા હેઠળ અનેક પુસ્તકો ઈ-સ્વરૂપે ઓનલાઈન વાંચવા આપે છે. શ્રી નિરંજનભાઈ રાજ્યગુરૂ સાથે આ વિશે ગઈકાલે જ થયેલી વાત અહીં ટાંકવાની લાલચ રોકી શક્તો નથી. તેમણે કહ્યું કે ગુજરાતી પુસ્તકો આ રીતે ઓનલાઈન મફત વાંચન માટે ઉપલબ્ધ થાય અને સંસ્કૃતિ તથા લોકસાહિત્ય, ભક્તિસાહિત્ય તેના સાચા ચાહકો અને ભાવકો સુધી પહોંચે એથી રૂડુ શું?

જો કે ઈ-પુસ્તકનું પ્રકાશન કોઈ પણ રીતે પુસ્તકોના ભૌતિક પ્રકાશન તથા વેચાણના આંકડા પર નકારાત્મક અસર કરતું નથી તેવા વિશ્વના અગ્રણી પ્રકાશકોના મંતવ્યો મેં આ પહેલા વાંચેલા છે. પણ કદાચ આ વાત ગુજરાતી ભાષાના પ્રકાશન સાથે સંકળાયેલાઓ વહેલી તકે અને ફક્ત કમાવાની લાલચ વગર, વાંચનનો વ્યાપ વધારવાના હેતુથી સમજી અને અમલમાં મૂકી શકે તેવી શક્યતાઓ . . . . . . ! !

આનંદ-આશ્રમ.કોમ પરથી ઉપલબ્ધ ઈ-પુસ્તકો –
__________________________________________________________________________________________________________

મરમી શબદનો મેળો

Marmi Shabad no Melo – ગુજરાતનું સંત સાહિત્ય-સત્વ, તત્વ, સૌંદર્ય, કલા અને કસબ, ગુજરાતી સંતવાણી-ભક્તિ કવિતા વિશેનાં વક્તવ્યો-લખાણોનો સંચય. પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર. આ-૧, ૧ મે ૨૦૧૧

ગુજરાતનો સમૃદ્ધ વાંઙ્મય વારસો

Gujarat no Samruddh Vangmay Varso – ગુજરાતના લોકસાહિત્ય અને ચારણી-બારોટી સાહિત્ય વિશેનાં વક્તવ્યો-લખાણોનો સંચય. પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર. આ-૧, ૧ મે ૨૦૧૧

સૌરાષ્ટ્રનું સંત સાહિત્ય (સંત પરંપરાઓ‚ સાધના અને સિદ્ધાંતો)

Saurashtra nu Sant Sahitya – સંત સાહિત્ય‚ સંત પરંપરાઓ‚ સાધના પરંપરાઓ‚ પંથ-સંપ્રદાયો‚ અને સૌરાષ્ટ્રનાં 356 જેટલા સંતો‚ મહંતો‚ ભક્ત કવિઓ વિશે પ્રમાણભૂત પરિચય નોંધ અને સૌરાષ્ટ્રનાં તીર્થ ધામો વિષયક માહિતી ધરાવતો ગ્રંથ. પ્રકા. ભો.જે. અધ્યયન સંશોધન વિદ્યાભવન‚ આશ્રમ રોડ‚ અમદાવાદ 380 009 આવૃત્તિ – 1 જુલાઇ 2000 મુલ્ય :Rs.80/-

રામ દુહાઇ

Ram Duhaai – રવિભાણ સંપ્રદાયના આદ્યપુરૂષ સંત કવિ શ્રી ભાણસાહેબ સમાધિ સ્થાન પરિચય પુસ્તિકા – જેમાં ભાણસાહેબનું ચરિત્ર‚ રવિ-ભાણ સંપ્રદાયના સંતો અને સંતવાણી‚ રવિ-ભાણ સંપ્રદાયની ભજનવાણી‚ સાહિત્ય સર્જન તથા હસ્તપ્રતભંડારોની નોંધ સાથે ભાણ સાહેબની સત્તર રચનાઓ

શ્રી હાજલરાજાનું જીવનચરિત્ર

Shri Hajalraja nu Jivancharitra – કચ્છની સંતપરંપરાના‚ સંત કવિ મેકરણદાદાની કાપડી શિષ્ય પરંપરામાં ગાંધીધામ પાસે આવેલા ભારાપર ગામના અખાડાના સિદ્ધ સંત હાજલદાદાનું ચરિત્ર‚ કાપડી સંતોની પરંપરા અને ઇતિહાસ

__________________________________________________________________________________________________________


Leave a Reply to Harshad DaveCancel reply

8 thoughts on “ગુજરાતી ઈ-પુસ્તકના ક્ષેત્રમાં નવી પહેલ

  • Dr.niranjan rajyaguru

    આપને ખુબ ખુબ ધન્યવાદ .આપના ઓડિયો વિભાગ માં મારી વેબસાઈટ પર મૂકાયેલાં – મારા દ્વારા ગવાયેલાં mp3 દાસી જીવણ તથા ગંગાસતીનાં ભજનો તથા વિડીયો ક્લિપ્સ ગમે ત્યારે મૂકી શકો છો ..આપણે તો કર મન ભજન નો વેપાર …આમ જ વિના મુલ્યે કરવાનો છે…નિરંજન રાજ્યગુરુ

  • Yogesh Chudgar-Chicago US

    ગુજરાતી સાહિત્ય ઇ-બુક દ્વારા ઉપલબ્ધ કરાવવાની અક્ષરનાદન પહેલને હ્રદયપુર્વકના અભિનંદન.

  • La'Kant,

    ‘સેલ્ફ્લેસ્’ સાહિત્ય સેવા ઉત્તમ હેતુ! લોક્ભોગ્ય સુચારુ સદ વાઁચન માટે પ્રયાસ્ પ્રશ્શય જ ! આ એક સારા ઈશ્-કાર્યમાઁ નિમિત્ત બનવાનો સન્કેત જ છ્હે .
    લા’કાન્ત /૨૯-૭-૧૧
    પોસ્ટ સ્ક્રિપ્ટ્ ઃ એક્ નનુ પુસ્તક મોકલેી હુઁ મારો નમ્ર ફાળો આપેી શકુ? મારે શુઁ કરવાનુઁ ? ઈ-મેલ થેી કે સેીધા
    અહેીઁ પોસ્ટ્ કરાય્?

  • Harshad Dave

    આ એક બહ જ આવકાર દાયક પગલું છે જેને હું હૃદયપૂર્વક આવકારું છુ. અહીં નગદનારાયણને વિસારે પાડીને જે નવો વિચાર અમલમાં મુક્યો છે તે ખરેખર માનવજાતના વિકાસ માટે એક નવી દિશા ખોલે છે તથા આપણી ભારતની અને ગુજરાતની સંસ્કૃતિ જાળવવા માટે અને આપણી ભાષાને લુપ્ત થતી અટકાવવા માટે આ બહુ સારી વાત છે. પક્ષી પોતાના કંઠનો કલરવ સંભળાવવા માટે કલદાર નથી માગતું તેનું કારણ એ નથી કે તેણે તે માટે કોપીરાઈટ નથી મેળવ્યા! મૌલિક લખાણ હમેશા મૌલિક જ રહે છે! માણસે એટલા સમજદાર તો થવું જ જોઈએ કે પોતાના નામે બીજાની કૃતિઓ ન આપવી જોઈએ. કોઈ એમ કરે તો મૂળ કર્તાનો કોઈ દોષ નથી. ત્રાસવાદનો ઉકેલ એક જ છે કે તેઓ સમજે! …હર્ષદ દવે.