થીગડું – સુરેશ જોષી 17


પશ્ચિમમાં ક્ષિતિજ પર વાદળાં છવાયેલાં હતાં તેથી આથમવા આવેલા સૂરજની રતૂમડી આભા દેખાતી નહોતી; સહેજ વાદળ ઓછાં હતાં ત્યાંથી રતાશની નાની શી લકીર ઘડીભર દેખાઈ ન દેખાઈ ને છવાતા જતા અંધારામાં અલોપ થઈ ગઈ; જાણે કોઈ નાગણે બટકું ભરી અંધારના ઝેરની કોથળી ઠાલવી દીધી. એ ઠલવાયેલો અંધકાર પ્રભાશંકરને પણ ચારે બાજુથી ઘેરી વળ્યો.

પ્રભાશંકરે ગોખલામાંથી પાનની ચમચી લીધી. એ ખોલીને આંખો ઝીણી કરીને જોયું તો અંદર ચીમળાઈ ગયેલું અર્ધું પાન જ હતું. બે દિવસથી હસમુખને પાન લાવવાનું યાદ કરાવવા છતાં એ ભૂલી જ જતો હતો. પ્રભાશંકરે ખૂબ કાળજીથી અર્ધા પાનના બે ભાગ કર્યા. એમાંનો એક ભાગ સાચવીને ચમચીમાં મૂકી દીધો ને બીજા ટુકડા પર ચૂનોકાથો ચોપડવા લાગ્યા. પાન મોઢામાં મૂક્યું, સાથે તમાકુની ચપટી ભરીને મોંઢામાં મૂકી.

બહાર શેરીના દીવાના પ્રકાશનો એક લિસોટો આગલા ઓરડામાં પડતો હતો તેને અજવાળે ખીંટીએ ભેરવેલો કોટ લઈને પહેર્યો, ટોપી માથે મૂકી. ઘૂંટડો પાણી પીને જ બહાર નીકળવાની એમને ટેવ હતી. પારવતી ડોશી જીવતા હતાં ત્યાં સુધી તો બહાર જવાનો વખત થાય કે તરત પાણીનો પ્યાલો લઈને હાજર રહેતાં, એવી નાની નાની ઘણી વસ્તુ આ છેલ્લા એક વરસથી એમને જાતે જ કરી લેવી પડતી.

પાણી માટે પ્રભાશંકર પાણિયારા પાસે ગયા ને ઘૂંટડો ગળે ઉતારીને પાછા વળતા હતાં ત્યાં એકાએક જાણે કોઈએ પાછળથી એમની કોટની બાંય ઝાલીને એમને રોક્યા. એમનાથી એકાએક પુછાઈ ગયું – ‘શું છે, હસમુખની માં?’

નિઃસ્તબ્ધ અન્ધકારમાં એ પ્રશ્ન રઝળતો થઈ ગયો. પ્રભાશંકરની આંખ ઝીણી કરીને અંધકારમાં તાકી રહ્યા. તપખીરનો સડાકો લઈને, સહેજ ખોંખારો ખાઈને, ‘મકુ જે’ કહીને, પારવતી ડોશીને વાત કરવાની ટેવ હતી. મોટા દીકરા મણિશંકરના મૃત્યુ પછી પ્રભાશંકર ઘણી વાર અન્યમનસ્ક બની જતા, ત્યારે ઘણુંખરું એમની બાંય ખેંચીને બોલાવવાની પારવતી ડોશીને ટેવ પડી ગઈ હતી. પ્રભાશંકરને યાદ આવ્યું – પરણ્યાને બે એક વરસ થયાં હશે, ત્યારે તો એમના ડોસાડોસી ઘરમાં હતાં. જમીને પ્રભાશંકર નોકરીએ જવાની તૈયારીમાં જ હતાં. એમની ટેવ મુજબ ઘૂંટડો પાણી પીને રસોડાની બહાર નીકળવા જતા હતાં ત્યાં આમ જ કોટની બાંય ખેંચીને એમને ઊભા રાખીને પારવતીએ પોતે માતા થવાની છે તેના શુભ સમાચાર આપ્યા હતાં. સંયુક્ત કુટુંબમાં મર્યાદા જાળવીને રહેવાનું, બે ઘડી એકાંત મેળવીને એક બે શબ્દ બોલવાનું પણ ભાગ્યે જ બનતું. રાતે માબાપને ભાગવત સંભળાવીને પ્રભાશંકર સૂવા જાય ત્યારે પારવતીને પથારીને એક ખૂણે, આખા દિવસના કામથી થાકેલી, ઉંઘે ઘેરાતી આંખે માંડ જાગતી બેઠી હોય. આમેય તે પ્રભાશંકર ચાર શબ્દ બોલવાના હોય ત્યાં એક જ બોલીને કામ ચલાવી લે એવા માણસ.

મરણ આવ્યું તે દિવસે પારવતીએ પણ આમ જ હાથ પકડીને રોકતાં કહેલું – ‘આજે ન જાઓ તો ન ચાલે?’ પણ પછી તરતજ, પ્રભાશંકર નિત્યનિયમમાં કશો ભંગ પડે તે સાંખી લેતાં નહીં તે જાણીને વાત બદલી નાખીને કહેલું – ‘ના, ના, એ તો મને અમથું જરા મનમાં થયું .. લો, એક ઘૂંટડો પાણી પીને પછી જાઓ.’

આથી, બારણાના આગળામાં કોણી આગળથી ફાટેલો કોટ ભેરવાતા, ઉભા રહી જઈને એકદમ એમનાથી પુછાઈ ગયું – ‘શું છે હસમુખની માં? પણ પેલો તપખીરનો સડાકો અને ‘મકુ જે’ ટહુકો સંભળાયા નહીં એટલે પ્રભાશંકર એકલા જ બોલવા લાવ્યા – ‘શું છે? કોટ ફાટ્યો છે એમ કહેવું છે ને? તે શું થીંગડું મારું? પણ સોયદોરો ક્યાં છે?’

પછી થોડી વાર અકળાતા હાથ મસળતા પ્રભાશંકર એમ ને એમ ઊભા જ રહી ગયા. પછી જાણે પારવતીનો નાખુશ થયેલો ચહેરો જોયો હોય તેમ બોયા – ‘પણ તું જ કહે ને, હું શું કરું? વહુને મારાથી વારે વારે કહેવાતું નથી. વારુ, થીંગડું મારું છું, પછી છે કાંઈ? ‘થીંગડું’ શબ્દ ચારેક વાર ફરી ફરીને બોલ્યા, ને એમને વળી યાદ આવ્યું, – એક સાથે ત્રણચાર વરસ નબળાં ગયાં, ઘરખોરડાં આગમાં બળી ગયાં. જમીન તો તસું સરખીય હતી નહીં. બાપ ઘામોટું કરતાં. બહેનોને પરણાવવાની. આથી પંદર વરસની વયથી જ પ્રભાશંકર એક વેપારીની દુકાને તમાકુનાં પડીકાં વાળવા બેસી ગયાં. વર્નાક્યુલર ફાઈનલ તો પાસ કરેલી, એટલે પાંચેક વરસ રાહ જોયા પછી આખરે બહુ દૂરના અજાણ્યા ગામમાં પંદર રૂપિયાની, પ્રાથમિક શાળામાં શિક્ષકની નોકરી મળી ગઈ. ઘરખરચ, બહેનોનાં લગ્ન – આ બધું ઉપાડતાં પાંત્રીસ તો થઈ ગયાં, આખરે પ્રભાશંકરને પરણવાની અનુકૂળતા થઈ ગઈ. પરણ્યા પછી આણું કરવા સાસરે ગયા ત્યારે પારવતી જોડે જે વાત થઈ તે એમને યાદ આવી. એમણે કહેલું – ‘મારી તો ઉંમર મોટી થઈ, સંસારનો ઢસરડો કરતાં મારો રસ તો બધો સુકાઈ ગયો, તને મારી જોડે ફાવશે?’

પારવતીએ એની સખીએ શીખવેલો જવાબ આપ્યો હતો – ‘તમે જ મારે મન બધું છો, પછી મારે બીજા કશાની શી જરૂર?’

પ્રભાશંકરે ઉમેરેલું, ‘પણ અમારા ઘરમાં તો એક સાંધીએ ત્યાં તેર તૂટે એવો ઘાટ છે. સંસાર ભોગવવા કરતાં થીંગડાં મારવાનું જ કામ તારે કરવું પડશે!’

પારવતીએ ઉલટભેર કહેલું, ‘વારું, તમે કહેશો તેટલાં થીગડાં મારી આપીશ, થીગડાં મારતા હું નહીં થાકું.

પણ આજે એ ક્યાં છે? એય આખરે થાકી જ ને!

દેવ આગળ દીવો કરવા ને ફાનસ સળગાવવા પ્રભાશંકરે દીવાસળી શોધી, પણ જડી નહીં, પણ દીવાસળી શોધતાં એક દાબડામાંથી સોયદોરો જડ્યાં. એ લઈને પ્રભાશંકર ઓટલે ગયાં. શેરીના દીવાને અજવાળે એમણે કેટલું થીગડાં મારવું પડશે તેનો અંદાજ કાઢી લીધો. પોતાની બેસવાની ગાદી નીચે સંઘરેલાં ગાભાચીંથરામાંથી માપસરનો એક ટુકડો કાઢ્યો. એનો રંગ કોટના રંગને મળતો નહોતો આવતો, પણ એવું કપડું ક્યાંથી લાવવું? આ કોટનેય હસમુખ જેટલાં વરસ થયાં. મિલિટરીના સસ્તે ભાવે કાઢી નાખેલાં કપડામાંથી મણિશંકર એ લઈ આવેલો.

દીવાને અજવાળે પ્રભાશંકરે, આંખ ઠેરવીને, સોયમાં દોરો પરોવવાનો પ્રયત્ન કર્યો. દોરીને થૂંકથી ભીની કરીને છેડે વળ ચડાવ્યો, ઘણા પ્રયત્નો કર્યા પણ સોયનું નાકું દેખાય તો ને!

દીવાને અજવાળે પ્રભાશંકરે આંખ ઠેરવીને સોયમાં દોરો પરોવવાનો પ્રયત્ન કર્યો. દોરીને થૂંકથી ભીની કરીને છેડે વળ ચઢાવ્યો, ઘણા પ્રયત્નો કર્યા પણ સોયનું નાકું દેખાય તો ને!

એટલામાં શેરીના દીવા આગળ રમતા એક કિશોરની એ તરફ નજર ગઈ, થોડી વાર સુધી તો એણે પ્રભાશંકરના નિષ્ફળ પ્રયત્નોને કુતૂહલથી જોયાં કર્યા. પછી એ પાસે આવીને બેઠો અને ભીંતના પોપડા ઊખેડતો ઊખેડતો પ્રભાશંકરના પ્રયત્નોને જોઈ રહ્યો.

પ્રભાશંકરનું એના તરફ ધ્યાન ગયું એટલે એમણે કહ્યું, ‘કોણ છો બેટા? દયાશંકરનો મનુ કે?’ પેલા કિશોરે કહ્યું, ‘હા દાદા.’

કોશોરના માનવાચક સંબોધનથી પ્રોત્સાહન પામીને પ્રભાશંકરે કહ્યું, ‘ભાઈ, મને જરા આ સોયમાં દોરો પરોવી આપ ને!’

મનુએ કહ્યું, ‘દાદા, એક શરત, તમારે વાર્તા કહેવી પડશે.’

પ્રભાશંકર હસીને બોલ્યા, ‘વાર્તા તો તારા દાદીને કહેતા આવડતી, હું તો…’

એમને વચ્ચેથી જ અટકાવીને મનુ બોલ્યો, ‘ના દાદા, એમ બહાનુ કાઢો તે નહીં ચાલે, દાદીએ તમને તો ઘણી બધી વાતો સંભળાવી હશે. એમાંથી એક તો કહો.’

પ્રભાશંકર હાર્યા, એમણે કહ્યું, ‘વારુ, તું દોરો પરોવી આપ એટલે વાર્તા કહું.’

મનુએ ઝટ દોરો પરોવી આપ્યો. પ્રભાશંકરે પેલો કપડાનો ટુકડો જોડીને જેવા સૂઝે એવા બખિયા ભરવા માંડ્યા. મનુ પાસે સરીને કુતૂહલથી વિસ્ફારિત નેત્રે એમની પાસે બેઠો.

પ્રભાશંકરે વાર્તા શરૂ કરી, ‘ઘણા ઘણાં વરસ પહેલાંની વાત છે. . .’

મનુએ પૂછ્યું, ‘કેટલા? સો બસો…’

પ્રભાશંકરે કહ્યું, ‘ના, હજારેક વરસ પહેલાંની વાત છે. ત્યારે એક રાજા હતો. એને એક રાજકુમાર. એનું નામ ચિરાયું. બાલપણથી જ એ ભારે ફૂટડો. જે એને જુએ તે એના પર વારી જાય. એ મોટો થતો ગયો તેમ વધારે ને વધારે દેખાવડો થતો ગયો. એને જોઈ જોઈને રાજા અને રાણીની આંખમાંથી આંસુ વહી જાય…’

મનુએ પૂછ્યું, ‘એ તો કેવી નવાઈની વાત? આવા રૂપાળા કુંવરને જોઈને ખુશ થવાને બદલે રાજારાણી આંસુ પાડે?’

પ્રભાશંકરે કહ્યું, ‘હા ભાઈ, એ આવો રૂપાળો હતો તેથી જ એને જોઈને રાજારાણીને એમ થાય કે આવી કંચન સરખી કાયા એક દિવસ તો કરમાઈ જ જશે ને! આથી એમને દુઃખ થાય ને આંસુ આવે…’

મનુએ હોંકારો પૂરતાં કહ્યું, ‘હં પછી?’

પ્રભાશંકરે વાત આગલ ચલાવી, ‘આમ મહીના વીતતા જાય છે, વરસ વીતતાં જાય છે. રાજકુમાર સોળ વરસનો થયો. વરસગાંઠ આખા રાજ્યમાં ધામધૂમથી ઉજવાઈ, એજ વખતે રાજાને કાને વાત પહોંચી કે રાજધાનીમાં કોઈ મોટા ચમત્કારી સિદ્ધપુરૂષ આવ્યા છે. નગરની બહાર, મોટા વડની છાયામાં, તેઓ ધૂણી ધખાવીને બેઠા હતા. રાજા અને રાણી તો એમની પાસે ગયાં. સોનાના થાળમાં ફળ ધરીને કહ્યું, ‘મહારાજ, અમારી એક ઈચ્છા પૂરી કરશો?’

સિદ્ધપુરૂષે પૂછ્યું, ‘શી ઈચ્છા છે બોલો?’

રાણી બોલી, ‘અમારો એકનો એક રાજકુમાર સદા છે તેવો ને તેવો ફૂટડો ને જુવાન રહે એવી અમારી ઈચ્છા છે.’

સિદ્ધપુરૂષે કહ્યું, ‘વારુ, એક વાર બરાબર વિચાર કરી લો.’

રાજાએ કહ્યું, ‘મહારાજ, અમે તો રાતદિવસ આ જ વાતનું રટણ કરીએ છીએ. હવે અમારે ઝાઝો વિચાર કરવાનો છે જ નહીં.’

સિદ્ધપુરૂષે કહ્યું, ‘વારુ, હું એને માટે એક ચમત્કારી રેશમી વસ્ત્ર આપું છું. તે એણે કદી શરીરથી અળગું નહીં કરવાનું. એ વસ્ત્ર જ્યાં સુધી એના અંગ પર રહેશે ત્યાં સુધી કાળની એના પર કશી અસર થશે નહીં. એની કાયા સહેજ પણ કરમાશે નહીં.’

રાજા અને રાણી આ સાંભળીને હરખઘેલાં થઈ ગયાં. એમણે લળીને સિદ્ધપુરૂષની ચરણરજ માથે ચઢાવી.’

સિદ્ધપુરૂષે પછી કહ્યું, ‘પણ એક વાત છે, જો તમારા બેમાંથી કોઈને એને વિશે સહેજ સરખો પણ ખરાબ વિચાર આવશે તો એ વસ્ત્રમાં કાણું પડશે પછી એ મોટું ને મોટું થતું જશે.’

આ સાંભળીને રાજા અને રાણીનાં મોઢાં પર ચિન્તાની છાયા પથરાઈ ગઈ. પછી રાજા બોલ્યા, ‘અમારા વહાલા દીકરાને માટે અમારા મનમાં ખરાબ વિચાર તો નહીં જ આવે, પણ ન કરે ને નારાયણ -‘

રાણીએ વાત ઉપાડી લઈને કહ્યું, ‘હા, એવું કશું બને તો એ વસ્ત્ર સાંધી નહિં શકાય?’

સિદ્ધપુરૂષે કહ્યું, ‘સાંધી તો શકાશે પણ તે ભારે વિકટ કામ છે.’

રાજારાણી એકસાથે પૂછી ઉઠ્યા, ‘કેમ?’

સિદ્ધપુરૂષ બોલ્યા, ‘એ સાંધવાને જેટલા ટાંકા ભરવા પડે તેટલા વરસ કોઈ આપી દેવા તૈયાર થાય તો તે એને સાંધી શકે. પણ એમાં વળી બીજી એક શરત છે, એ બધાં વરસ આપનારે એ વરસો દરમિયાન કશું પાપ ન કર્યું હોવું જોઈએ. એ વરસો કશાય કલંક વગરનાં હોવાં જોઈએ.’

આ સાંભળીને રાજારાણી ઘડીભર તો વિચારમાં પડી ગયા, પણ પછી તરત કહ્યું, ‘ભલે મહારાજ, અમને બધી શરત મંજૂર છે.’

સિદ્ધપુરૂષે કહ્યું, ‘હજુ એક વાર વિચાર કરી લો. જો એના વસ્ત્રમાં છિદ્ર પડશે તો એકસાથે બધાં વીતેલા વરસોની અસર એની કાયા પર થશે; અને જ્યાં સુધી એને સાંધી નહીં લેવાય ત્યાં સુધી એ ધીમે ધીમે ગળાતો જ જશે. પણ જ્યાં સુધી એ વસ્ત્ર તેના શરીર પર હશે ત્યાં સુધી એ મરશે નહીં.’

રાજારાણીને હવે કશું સાંભળવું જ નથી, એમણે તો આતુરતાપૂર્વક એ રેશમી વસ્ત્ર માંગ્યુ, સિદ્ધપુરૂષે એ વસ્ત્ર એની બરાબર મધ્યમાં સ્વસ્તિક દોરીને આપ્યું, પછી રાજારાણી તો રાજમહેલમાં આવ્યાં. મોટો દરબાર ભર્યો, એ દરબારમાં ભારે દમામથી રાજપુરોહિતોને હાથે રાજકુમારને એ રેશમી વસ્ત્ર પહેરાવવાનો વિધિ થયો.

મનુએ પૂછ્યું, ‘પછી?’

પ્રભાશંકર બખિયા ભરતાં ભરતાં બોલ્યા, ‘પછી તો વરસ પછી વરસ વીતતાં જાય છે, રાજા વૃદ્ધ થયાં, રાણી વૃદ્ધ થયાં, પણ ચિરાયુ તો એવો ને એવો ફૂટડો સોળ વરસનો રાજકુમાર જ રહ્યો. ચિરાયુ તો ભારે મોજશોખમાં પડી ગયો. એક રાજકુંવરીને પરણે, ને એ મોટી ઉંમરની થાય એટલે એને છોડી દે ને બીજી રાજકુંવરીને પરણે, આનો કાંઈ પાર જ ન રહ્યો. એક દિવસ રાજા અને રાણી ઝરૂખામાં બેઠાં હતાં ત્યાં પાસેથી કોઈનું હૈયાફાટ રૂદન સંભળાયું. એમણે જોયું તો રાજકુમારે તરછોડેલી રાણી જ રડતી હતી. રાજા એને સમજાવીને છાની રાખવા ગયા ત્યાં એ જીભ કરડીને મરી ગઈ. રાજારાણી આથી બહુ ઉદાસ થઈ ગયાં. આથી એમનાથી બોલાઈ ગયું, ‘આના કરતાં તો જુવાની નહીં હોય તે સારું.’ ને તરતજ પેલા સિદ્ધપુરૂષના કહેવા પ્રમાણે થયું. ચિરાયુના રેશમી વસ્ત્રમાં કાણું પડ્યું ને કાણું પડતાંની સાથે જ રાજકુમાર એકાએક ફેરવાઈ ગયો. એના શરીર પરની ચામડી ઝૂલી પડી, અને શરીરે પરુ દૂઝતાં ધારાં ઊભરાઈ ઉઠ્યાં. એને જોઈને લોકો મોં ફેરવીને નાસવા લાગ્યાં. ચિરાયુ તો પડતો આથડતો રાજારાણી પાસે આવ્યો ને કરગરી પડ્યો, ‘મને બચાવો, મને બચાવો.’

રાણીની આંખમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યાં. એણે એને ખોળે લીધો ને ફાટેલા રેશમી વસ્ત્રને થીંગડું દેવા બેઠી. એ બખિયા ભરે પણ વસ્ત્ર તો સંધાય જ નહીં, પછી રાજાએ સાંધવાનો પ્રયત્ન કર્યો, પણ વસ્ત્ર સંધાય જ નહીં. રાજારાણી પાપમુક્ત થોડાં જ હતાં! પછી તો રાજાના દરબારીઓએ પ્રયત્ન કર્યો, પણ ફોકટ.

આમ દિવસે દિવસે કાણું તો મોટું થતું ચાલ્યું. એને સાંધવા જેટલાં કલંક વગરનાં વરસ કોની પાસે હોય? રાજા અને રાણી તો કુંવરની આ દશા જોઈને મરણશરણ થયાં. પછી ચિરાયુ તો નીકળી પડ્યો…’

મનુએ પૂછ્યું, ‘પણ એણે એ વસ્ત્ર ઉતારીને ફેંકી કેમ ન દીધું?’

પ્રભાશંકર બોલ્યા, ‘એને મનમાં એવો લોભ ખરો ને કે કદાચ કોઈ સાંધનાર કોઈ મળી જાય તો જુવાની પાછી મળી જાય. લોકો કહે છે કોઈક વાર રાતના અંધારામાં લથડતે પગલે કોઈ સાવ ખખડી ગયેલો ડોસો ચિંથરેહાલ દશામાં આવીને આંગણે ઊભો રહે છે ને બોલે છે, ‘થીંગડું મારી આપશો?’ પછી સહેજ રાહ જોઈને ઉભો રહે છે. જવાબ ન મળતાં આખરે ચાલ્યો જાય છે.’

મનુ વિચારમાં પડી ગયો. થોડી વાર સુધી એ કશું બોલ્યો નહીં. પછી કશોક વિચાર આવતાં એની આંખ ચમકી ઉઠી ને એ બોલી ઊઠ્યો, ‘દાદા તમે તો મોડે સુધી જાગતા ઓટલે બેસી રહો છો. તમને જો એ કોઈ વાર દેખાય તો મને બોલાવજો. આપણે બે મળીને એનું રેશમી વસ્ત્ર ઉતારીને ફેંકી દઈશું પછી એને રખડવાનું તો મતશે, ખરુંને?’

પ્રભાશંકરે કહ્યું, ‘હા.’

મનુ સંતોષ પામીને ઊભો થઈ ચાલ્યો ગયો. એના તરફ જોઈ રહેલા પ્રભાશંકર ઘડીભર સ્થિર થઈને બેસી જ રહ્યા, પહી બખિયો ભરતા સોય આંગળીના ટેરવામાં ખૂંપી ગઈ એટલે સોયદોરો કાઢી લઈને ઉભા થયા ને ઘરની અંદરના અંધકારમાં અલોપ થઈ ગયા.

– સુરેશ જોષી

પ્રસ્તુત વાર્તા ‘થીગડું’માં પ્રભાશંકરના જીવનની સમાંતરે ચિરાયુની કથા દ્વારા સ્મૃતિ અને અપેક્ષા વચ્ચે મૂકાયેલા માનવીનું જીવન કેવું હોય એ પ્રશ્ન ગૂંથાયો છે. ‘થીગડું’ના અભિધાયુક્ત અર્થથી લઈ વ્યંજનાપૂર્ણ અર્થ સુધીનો વિસ્તાર આ વાર્તામાં છે. ચિરાયુ તથા પ્રભાશંકરના સમય વાર્તાને અંતે એકબીજામાં ભળી જતા લાગે છે, જીવનસંધ્યાએ પોતાના કોટના રંગ સાથે મેળ ન ખાતું કપડું લઈને થીગડું મારવાનો વ્યર્થ પ્રયત્ન પ્રભાશંકર કરે છે. ચિરાયુ થીગડું મરાવવા બારણે બારણે ભટકે છે. એને માટે પેલું કપડું એના અસ્તિત્વનો અનિવાર્ય અને દૂર ન કરી શકાય એવો અંશ છે. કોઈકને તેનું વસ્ત્ર ફેંકીને તેને મુક્ત કરવો છે, પણ ચિરાયુને તો તેને સંધાવીને વધુ જીવવું છે, માનવમાત્રનો આ અમર વિષાદ છે. એની પૂર્ણતાની ખોજ કે સુંદર રહેવાની ઝંખના ભાગ્યે જ ટકાઊ રહે છે. બે સમાંતર કથાનકોમાં એકબીજાને ‘ઑવરલેપ’ કરતી ઝંખનાઓ, એકની અમરતાની ઝંખના અને બીજાની નાનકડી જિંદગીના વિષાદ અને એકલતાની વાત આ વાર્તાના અર્થઘટનને અનેક શક્યતાઓ આપે છે.

પ્રસ્તુત સુંદર વાર્તા ‘સુરેશ જોષી – કેટલીક નવલિકાઓ’ માંથી સાભાર લેવામાં આવી છે.


Leave a Reply to rahul panchalCancel reply

17 thoughts on “થીગડું – સુરેશ જોષી

  • Parmar suresh

    સરસ …મને બહું ગમે ..પેલા મેં ગુજરાતી વિષયની લગભગ બધી ચોપડી ઓ સાચવેલી ભણવાની તે વાંચી ને બઉ આનંદ થાય છે
    નાની વાતાૅ અને માઈક્રો ફ્રીકશન લખુ છુ

  • Khuren

    ‘થીગડું’ વાર્તા મનુષ્યના અસ્તીત્વની કરુણતાનું નિદર્શ્ંન કરે છે.-વિધાન સમજવો.​

  • hitesh solanki

    થિગડુ …….. બાળપન યાદ આવી ગ્યુ……………વાહ …….આભાર્

  • Nipul Parikh

    ખુબ ખુબ આભાર મને મારી શાળાના ભણતરની યાદ આવી ગઈ. મે મારા ફેસબુક પર પોસ્ટ કર્યુ છે.

  • Mahendra Bhavsar

    ખુબ જ અદ્‍ભૂત વાર્તા શ્રી સુરેશ જોષીની કલમે વાંચીને મને મારું
    બાળપણ યાદ આવી ગયૂં
    સને ૧૯૫૬ માં પ્રી. સાયંસ માં અમને ગુજરાતી વિષય શિખવવા
    પ્રાધ્યાપક આદરણિય ગુરુ શ્રી સુરેશ જોષી આવતા

    મહેન્દ્ર ભાવસાર

  • jjkishor

    જીવતર આખું એક થીગડું જ છે. કાળના વચ્ચે વચ્ચે પડતા વિક્ષેપો એ જ જન્મ જાણે ! એક જીવન એટલે એક થીગડું.

    એક જીવનમાંય પાછાં વાસનાનાં થીગડાં તો ખરાં જ.

    બે સમયને સાંધતી આ વાર્તામાં બખિયા અને થીગડું પ્રતીકાત્મક બની રહે છે. પાત્રાલેખન અને વાતાવરણ બન્ને સુંદર.

  • rahul panchal

    આ વાર્તા સન્ગ્રહો ઇન્ટર્નેટ પર મુક્વા માટે ધન્યવાદ. ખુબ જ અદભુત પ્રયાસ!!!!!

  • PRASHANT GODA

    આભાર અધ્યારુભાઈ
    હું જયારે ધોરણ-૧૦ માં ભણતો ત્યારે ગુજરાતીના પાઠ્યપુસ્તક માં આ નવલકથા ભણવામાં આવતી અને મારી ગમતી નવલકથા માં “થીગડું ” નો સમાવેશ છે. અત્યારે ફરી વાચી જૂની યાદો તાજી થઇ ગઈ.

  • કિરણકુમાર રોય

    નમસ્તે જીન્ગ્નેશ ભાઈ,

    આપનો ખુબ ખુબ આભાર આ સુંદર વાર્તા મુકવા બદલ..
    મને યાદ છે કે આ શ્રી સુરેશ જોશી ની વાર્તા અમારા અભ્યાસ ક્રમ માં આવતી હતી અને પરિક્ષામાં જોડણી જોડો માં પણ વાર્તાના સામે લેખકનાં નામ પણ જોડ્યા છે..

    ફરી એક્વાર ખુબ ખુબ આભાર એ નાનપણ યાદ કરાવવા બદલ…

    – કિરણકુમાર રોય

  • Rajul shah

    વાર્તા કહેનારા દાદા ય ઘરમાં હોય પણ વાર્તા સાંભળવાનેી ધિરજ હવે કોનામાં છે?

    બે સમાંતર કથાનકોમાં એકબીજાને ‘ઑવરલેપ’ કરતી ઝંખનાઓ, એકની અમરતાની ઝંખના અને બીજાની નાનકડી જિંદગીના વિષાદ અને એકલતાની વાત સરસ રિતે વણી લીધી છે.