માતા પિતા પોતાનો ગ્રેડ નક્કી કરે ! 8


પ્રિય માતા-પિતાઓ,

આપણું સંતાન મહાન બને એવું કોણ ન ઈચ્છે? પરંતુ ઘણા બાળકો શરીરથી ખૂબ નબળા, રોગપ્રતિકારની ઓછી શક્તિવાળા, અતિ ચંચળ, જિદ્દી, ભયભીત, ક્રોધી અથવા હિંસક જોવા મળે છે. માફ કરશો પરંતુ આપણું બાળક આપણું જ પ્રતિબિંબ છે. આપણી માતા-પિતા બનવાની ઉતાવળ તથા અજ્ઞાનતાનું જ આ પરિણામ છે. નીચેના પ્રશ્નોને સમજો અને યોગ્ય લાગે તો જવાબ સ્વયંને જ આપો. કારણકે એક સારા વાલી બનવા માટે આપણે આપણી જાતને જ જવાબદાર છીએ – એ આપણે પોતે સમજી વિચારીને સ્વીકારેલી જવાબદારી છે.

  1. શું આપણા બાળકોના સમુચિત વિકાસ માટે બાળકના ગર્ભાધારણથી ખૂબ સતર્ક અને જવાબદાર રહ્યાં હતાં?
  2. શું સગર્ભા માતા તરીકે આપે સાત્વિક ખોરાક લેવાનું ચાલું રાખ્યું હતું?
  3. શું સગર્ભા માતા તરીકે આપે જરૂરી અને ડૉક્ટર દ્વારા કહેવામાં આવેલા જરૂરી તમામ મેડીકલ ચેકઅપ, વિટામિન, આર્યન વગેરેની ગોળીઓ લીધી હતી?
  4. શું સગર્ભાવસ્થા દરમ્યાન આપે હળવો શરીરશ્રમ છેવટ સુધી ચાલુ રાખેલ હતો?
  5. શું સગર્ભાવસ્થા દરમ્યાન આપે શ્રેષ્ઠ સાત્વિક વાંચન, શ્રવણ, ભગવદદર્શન, હળવું સંગીત શ્રવણ કર્યું હતું?
  6. શું સગર્ભાવસ્થા દરમ્યાન હકારાત્મક કલ્પનાઓ અને ઉત્તમ સ્વપ્નો આપે જોયેલ તેમજ અંદર વિકસી રહેલા ચૈતન્યના તાદામ્યની સાથે પોતાને વૈશ્વિક ચેતના સાથે જોડેલ હતું ખરું?
  7. શું પતિ અને પરિવારના અન્ય સદસ્યોએ સગર્ભા સ્ત્રીને ખૂબ સ્નેહ, આદર, સત્કાર અને સન્માન આપતા રહ્યા હતાં?
  8. શું માતાપિતા બનવા જઈ રહેલ યુગલે બાળ વિકાસ, બાળ આરોગ્ય અને બાળ મનોવિજ્ઞાન વિશે અભ્યાસ કર્યો હતો?
  9. શું બાળકને માતાનું દૂધ જ મળે એવો આગ્રહ રાખ્યો હતો ખરો?
  10. શું બાળક થોડું મોટું થયા પછી તેને ચોકલેટ-બિસ્કીટના ટેસ્ટ ન કરાવીને ઉત્તમતાના સ્વાદની ટેવ પાડી છે?
  11. નાનકડા બાળકને અનેક રીતે સ્વાવલંબી થવું હોય છે, શું તેને નકારની ભાષા ન વાપરીને સ્વાવલંબી બનાવ્યું છે?
  12. જિદ્દી થવા માંડે ત્યારે શિક્ષાના બદલે સમજ આપી છે? સ્નેહથી પંપાળી તમારી વાત સમજાવો છો? શું તેની સામે અડગતા દેખાડવામાં પણ વિવેક દાખવો છો?
  13. શું બાળકની હાજરીમાં વાણી વર્તણૂક હંમેશા સંયમી અને સ્નેહાળ રાખો છો?
  14. શું બાળકને ભણાવનાર શિક્ષક સાથે હંમેશા અદબ જાળવીને આદરપૂર્વક વાત કરો છો?
  15. શું આપે ‘બાળક એ ઘરનું રમકડું નથી’ તેથી તેની આવડતોને મહેમાન સામે વ્યક્ત કરાવવાની લાલચ છોડેલી છે?
  16. શું નાનકડા બાળકને જલદી જલદી ખૂબ ભણાવી દેવાની ઉતાવળથી મુક્ત રહી શક્યા છો?
  17. શું તમારી અપેક્ષાઓને તેના જીવનનો બોજ બનાવ્યો છે?
  18. શું તેના સર્વાંગી વિકાસ માટે તેનામાં સંસ્કારો સીંચવા માટે સજાગ રહેલ તમે બહાવરા થઈને તેના વિકાસ માટે તેને ખેંચવાની ઉતાવળ કરેલ છે?

ખલિલ જિબ્રાનનું વાક્ય યાદ રાખો અને અમલમાં મૂકો – ‘તમારું બાળક માત્ર તમારા દ્વારા આ જગતમાં આવ્યું છે, તમે તેના માલિક કદાપિ ન બનશો.’ તમારા બાળકને તમારા જીવનની પ્રયોગશાળા ન બનાવશો. તેના અભ્યાસ બાબતે, શાળાની પસંદગી બાબતે, અભ્યાસના માધ્યમ બાબતે ખૂબ ધીરજથી અને ખૂબ વિચારીને નિર્ણય લો પણ પછી તેમાં વારંવાર ફેરબદલ ન કરશો.

તમારા બાળકને ખૂબ પ્રેમ, હૂંફ, આશ્વાસન, હિંમત અને પ્રેરણા આપો તથા જીવનભર આપી શકાય તેવો સંબંધ તેની સાથે કેળવો. તેની તાજુબભરી દુનિયામાં તમે જ તેના સહારા ઓ – એક રીતે તેના માટે ઈશ્વર છો.

આ ૧૮ પ્રશ્નોમાંથી જો તમે ૧૪ થી ૧૮ની વચ્ચેના સવાલોનો હા માં ઉત્તર આપ્યો છે તો તમે ઍ ગ્રેડ મેળવો છો, ૧૦ થી ૧૪ ની વચ્ચે ‘બી’ તથા ૧૦થી પણ નીચે હોવ તો ‘સી’ ગ્રેડ મેળવો છો. જેઓ પણ ‘સી’ ગ્રેડ માં છે તેઓ ‘ઍ’ ગ્રેડ પ્રાપ્ત કરવા તમામ કોશિષ કરો, કારણકે તમારું બાળક ફક્ત તમારું નહીં, દેશનું ભવિષ્ય છે.

* * * *

તમે તમારા ૩૦૦-૧૦૦૦ રૂપિયાના કાપડને દરજી બગાડી ન નાંખે તે માટે તેની કળાની, આવડતની ખાત્રી કરો છો તો પછી બાળક તો જીવંત ચેતના છે, તેને લાગણીઓ – સંવેદના છે, કપડા માટે જેટલું વિચારો છો એટલું કે તેથી વધુ બાળક માટે વિચારી શક્યા છો? બાળકને અભ્યાસમાં મૂકતા પહેલા શાળા વિશે કેમ આમ કરવાની જરૂરત નથી અનુભવતા?

* * * *
‘કિલ્લોલ’ એક એવું શૈક્ષણિક સંકુલ કે જ્યાં બાળક કોળાઈ શકે – ખીલી શકે – મહેકી શકે – ઉંચી ઉડાન ભરી શકે તે માટેની બધી જ સુવિધાઓ અને સ્વતંત્રતાઓ આપવાનો એક આદર્શ પ્રયત્ન થાય છે. સૂક્ષ્મ સુચારુ અને છતાં ધારદાર મનોવૈજ્ઞાનિક અભિગમ સાથે બાળકોને તમામ પ્રકારની સજ્જતા અપાવવા પુરુષાર્થ કરતી ગુજરાતની એક અનોખી શાળા એટલે ‘કિલ્લોલ’ બાળશિક્ષણની એક સમાજશાળા એટલે કિલ્લોલ. ‘કિલ્લોલ’ સંસ્થાનું મુખપત્ર એટલે ‘સખ્યમ’, ગત મહીને શ્રી ગોપાલભાઈ ભરાડ મહુવા આવ્યા ત્યારે તેમને મારા ઘરે અલપઝલપ મળવાનો અવસર પ્રાપ્ત થયેલો. તેમણે મને ‘કિલ્લોલ’ નામની નાનકડી પુસ્તિકા અને ‘સખ્યમ’ ના થોડાક અંકો ભેટ કરેલા. કિલ્લોલ પુસ્તિકામાંથી માતા પિતા પોતાને ગુણ આપી શકે તેવી એક પ્રાથમિક નાનકડી પ્રશ્નોત્તરી આજે અહીં મૂકી છે.

આ સંસ્થા તથા તેની પ્રવૃત્તિઓ વિશે સ્થાપક અને સંચાલક શ્રી ગોપાલભાઈ ભરાડ સાથેની વાતચીત તથા કિલ્લોલની ઝલક મેળવવા અક્ષરનાદનો આ પહેલા રજૂ થયેલો લેખ, જે અહીં ક્લિક કરીને વાંચી શકાય છે, તે જોઈ જવા વિનંતિ.

– જિજ્ઞેશ અધ્યારૂ


Leave a Reply to Pramod VaidyaCancel reply

8 thoughts on “માતા પિતા પોતાનો ગ્રેડ નક્કી કરે !