મન મોર બની થનગાટ કરે – શ્રી ઝવેરચંદ મેઘાણી 6


મોર બની થનગાટ કરે

મન મોર બની થનગાટ કરે

ઘનઘોર ઝરે ચંહુ ઓર, મારું મન મોર બની થનગાટ કરે.

બહુરંગ ઉમંગનાં પીંછ પસારીને

બાદલસું નિજ નેનન  ધારીને

મેઘમલાર ઉચારીને આકુલ પ્રાણ કોને કલ-સાદ કરે.

મન મોર બની થનગાટ કરે.

ઘર ઘરર ઘરર મેઘઘટા ગગને ગગને ગરજાટ ભરે

ગુમરી ગુમરી ગરજાટ ભરે.

નવે ધાન ભરી સારી સીમ ઝૂલે,

નદીયું નવજોબન ભાન ભૂલે.

નવ દીન કપોતની પાંખ ખૂલે.

મઘરા મઘરા મલકાઇને મેડક મેહસું નેહસું બાત કરે.

ગગને ગગને ગુમરાઇને પાગલ મેઘઘટા ગરજાટ ભરે.

નવમેઘ તણે નીલ આંજણીએ મારાં ઘેઘૂર નેન ઝગટ કરે

મારાં લોચનમાં મદઘેન ભરે.

વન-છાંય તળે હરિયાળી પરે

મારો આતમ લ્હેર-બિછાત કરે

સચરાચર શ્યામલ ભાત ધરે.

મારો પ્રાણ કરી પુલકાટ ગયો પથરાઇ સારી વનરાઇ પરે,

ઓ રે ! મેઘ આષાઢીલો આજ મારે દોય નેન નીલાંજન-ઘેન ભરે.

ઓલી કોણ કરી લટ મોકળીયું ખડી આભ-મહોલ અટારી પરે

ઊંચી મેઘ-મહોલ અટારી પરે !

અને ચાકચમૂર બે ઉર પરે

પચરંગીન બાદલ-પાલવડે

કરી આડશ કોણ ઊભેલ અરે !

ઓલી વીજ કેરે અંજવાસ નવેસર રાસ લેવા અંકલાશ ચડે,

ઓલી કોણ પયોધર સંઘરતી વિખરેલ લટે ખડી મે’લ પરે !

નદી-તીર કેરાં કૂણાં ઘાસ પરે પનિહાર એ કોણ વિચાર કરે,

પટકૂળ નવે પાણી-ઘાટ પરે !

એની સૂનમાં મીટ સમાઇ રહી,

એની ગાગર નીર તણાઇ રહી,

એને ઘેર જવા દરકાર  નહીં.

મુખ માલતીફૂલની કૂંપળ ચાવતી કોણ બીજા કેરું ધ્યાન ધરે !

પનિહાર નવે શણગાર નદી કેરે તીર ગંભીર વિચાર કરે !

ઓલી કોણ હિંડોળ ચગાવત એક્લ ફૂલ બકુલની ડાળ પરે !

વિખરેલ અંબોડાના વાળ ઝૂલે,

દિયે દેહ-નીંડોળ ને ડાળ હલે,

શિર ઉપર ફૂલ-ઝકોળ ઝરે.

એની ઘાયલ દેહના છાયલ-છેડલા આભ ઊડી ફરકાટ કરે.

ઓલી કોણ ફંગોળ લગાવત એકલ ફૂલ બકુલની ડાળ ધરે !

મોર બની થનગાટ કરે

આજે મોર બની થનગાટ  કરે

મન મોર બની થનગાટ  કરે.

તમરાંને સ્વરે કાળી રાત ધ્રૂજે,

નવ બાદલને ઉર આગ બૂઝે,

નદીપૂર જાણે વનરાજ ગૂંજે.

હડૂડાટ કરી, સારી સીમ ભરી, સરિતા અડી ગામની દેવડીએ,

ઘનઘોર ઝરે ચંહુ ઑર,મારું મન મોર બની થનગાટ કરે.

મન મોર બની થનગાટ કરે.

– ઝવેરચંદ મેઘાણી.

[ સોના-નાવડી /સમગ્ર કવિતા/ઝવેરચંદ મેઘાણી/ ગૂર્જર ]

 

 

શબ્દાર્થ

ચંહુ ઑર= ચારે બાજુ,

મઘરા મઘરા =ધીરે રવે.

નેહસું= સ્નેહથી,

બાત=વાત.

ઘેઘૂર= ચકચૂર,

ઓલી =પેલી,

મોકળિયું =મોકળી,

છુટ્ટી, (બહુવચન) ચાકમચૂર

બે ઉર =મસ્ત બે સ્તનો.

સૂન =શૂન્ય,

નીંડોળ = ઠેલો,

ગૂંજે =ગરજે.

દેવડીએ =દરવાજે.

 

આજે શ્રી ઝવેરચંદ મેઘાણીની પૂણ્ય-તિથિ છે. ( 28 ઑગષ્ટ 1896 — 9 માર્ચ 1947 ) આજે તેમની કલમની પ્રસાદી, “મન મોર બની થનગાટ કરે…” વિશે તેમણે 1944 માં કહેલું, “કવિવર રવીન્દ્રનાથનું અતિ પ્રિય મૂળ ‘નવવર્ષા’ મેં એમના જ શ્રીમુખેથી કલકત્તા ખાતેના એમના મકાને ઉજવાયેલ ‘વર્ષા-મંગલ’માં ઘણું કરીને 1920માં સાંભળેલું, અને એમના જ કંઠે ગ્રામોફોન રેકર્ડમાં ઊતરેલ હોવાનું જાણ્યું છે. આ અને આવાં અનેક ઋતુકાવ્યો રવીન્દ્રનાથે ઋતુના ઉત્સવો ઊજવવા અને અભિનય સાથે બોલી સંભળાવવા માટે યોજ્યાં છે. અનુવાદનો વૃત્તબંધ ચારણી લઢણે મારો ઘડેલો છે. એક કડી રહી ગઇ છે.”


6 thoughts on “મન મોર બની થનગાટ કરે – શ્રી ઝવેરચંદ મેઘાણી

  • Tushar

    આભાર. આવેી સુન્દર રચનાઓ પ્રસતુત કરવા બદલ હાર્દિક કામના સાથે ફરિ વખત આભાર.

  • અશોકકુમાર-'દાદીમા ની પોટલી'

    આ રચના અનેક ગઢવીના સ્વરે ટહુકો.કોમ અને અમારાં બ્લોગ પર સાંભળેલ છે પરંતુ તેના શબ્દાર્થ આપના બ્લોગ પર જાણવા મળ્યા જે જાણી ખૂબજ આનંદ થયો. ઘણી વખત રચના તેમજ તેના બોલ પસંદ હોય, પરંતુ તેમાં શું કેહવા માંગે છે તે ભાવાર્થ રચના ના બોલ પરથી જાણી નથી શકાતો, જો તેનો યોગ્ય શબ્દાર્થ જાણતા ના હોઈએ તો.

    આભાર !

  • Pushpakant Talati

    FANTASTIC INDEED .
    The Real KAVYA PHOTO of Shri Meghani.
    ખરેખર ખુબજ અને અતિ સરસ તેમજ સુન્દર .
    શબ્દો જે મને નહોતા જડતા તે પણ આ પોસ્ટ થી મને પ્રાપ્ત થઈ ગયા.
    આભાર .

  • hasmukhpatel

    કવિવર શ્રી ઝવેર ચંદ મેઘાણીની સુંદર રચના શબ્દના અર્થસાથે અહિં રજુ કરવા બદલ અભિનંદન આવી સુંદર રચના આપતા રહેજો