ભોલારામની ત્રણ છબી – મકરન્દ દવે


(૧)

ખૂણે બેસી ખાય ને જોઉં તો
ઊભે વગડે ગાય રે, ભોલા!

કેમ કરી તને ઘેર બોલાવી
હેતને કોળિયે સાથ જમાડું?
કેમ કરી તારે એકલે મારગ
હાથમા લઈ હાથ રમાડું?

હાટ-બજારે સૂનો સમ ને
વગડે પડઘો થાય રે, ભોલા !

અન્ધકારે ઓળો થઈને
ચાલ, તું જીવ, ખંડેરને ખૂણે,
વાયરે મારા પ્રાણ પરોવી,
આવ રે કોઈ અતીતને ધૂણે,

હોઠમાં દૂધિયું હાસ ફોરે ને
કણ્ઠમાં કણ્ઠ સમાય રે ભોલા !

(૨)

ધરતી અગનઝાળમા પડી,
ભરતી તારે ગગન ચડી
દવને પાદર પ્રેમની ભાદર
ભર કાંઠે તું વહાવ રે ભોલા !

આભનાં ખેતર ખુલમખુલ્લાં,
કોઈ દિશે નહીં વાડ રે, દુલ્લા !
કોણ રોકે તને વાટમાં, ભીતર
ઘણના ઘાવ લગાવ રે, ભોલા !

એ જ તો આપણી પ્રીતની ખૂબી,
મોજમાં ડોલે, જાય જે ડૂબી,
મન મૂકી તારા મોતની વાંસળી,
જિંદગીભર બજાવ રે, ભોલા !

મેઘ અષાઢીલો હાથથી ખાલી,
શરદરાસમાં આપતો તાલી,
પણ્ડને તુંયે પૂર કપૂરમાં,
મઘમઘાટે મિટાવ રે, ભોલા !

(૩)

આજ તો ભોલા એમ થવા દે,
જેમને કે’વું હોય કે’વા દે
મૂછને મરડી, આંખથી કરડી,
જાલમસંગ આ જોતા હોય તો,
મરને જોતા, ડાયાડમરા ડોસલા
બોખલે મોઢે હસતા હોય
ને જાણે બધુંય જાણતા હોય
ને ધીરે ગુસપુસોની લાપસી માણતા હોય
ને ત્યારે
મંછારામની સીતલી વળી
સામતા વાઘરી કેરા છોરા
રામલાના તું
હાથમાં મેળવી હાથ, હાલ્યો જા
ભરબજારે
ભે-વિના તલભાર તું તારે
રૂડા વિવા કેરા મંગળ મંતર ભણતો
આભના માંડવા હેઠ
સૂરજની સાખે, ભોલા !

મન મૂંગાની પ્રીતના સોનલ તારને વણતો
નીકળી પડ
ને ત્યાં જ ધડાધડ
લાઠીયું પડશે, માથું ફૂટશે,
ભોલા, ભવની બેડીયું
તડાતડ ન્યાં તૂટશે.

રંગ રે ભોલા, આજ સપરમા દા’ડે,
આતમઘાતે ચડતા ગભરુ જીવને વાડે
મૂળસોતા તું નાખ ઉખાડી
કારમા ખીલા,
પે’રામણીમાં પ્રેમમાં આપી
ભોલારામની ભેટના
સાચાં રાચરચીલાં

– મકરન્દ દવે.

મુક્તક

ભોલારામના નામનો જીવતો થેલો,
કૈંક મઢેલા આગળ મેલો-ઘેલો,
ભોલાની પણ ખાસ્સી એક આ ખૂબી,
કાઢવું હોય તો કાઢી જાવ,
ને મેલવું હોય તો મેલો.

– મકરન્દ દવે. (મે – જૂન ૧૯૯૮ ના કવિલોક દ્વિમાસીકના અંકમાંથી સાભાર)

પ્રશ્ન તો એ થવો જોઈએ કે આ ભોલારામ કોને કહેવાયું છે? ત્રણે છબીઓ અલગ અલગ છે, ત્રણેયમાં ભોલાને અલગ રૂપમાં કલ્પીને કવિએ એક અનોખો તાર રણઝણાવ્યો છે, ત્રણેય રચનાઓમાં ભોલારામ કોણ એ સહજ સ્પષ્ટ થતાં વાર નથી લાગતી, પણ તોય, શું એ વિચાર, એ માનવું કે “ભોલારામ આના માટે કહેવાયું છે” અંતિમ સત્ય છે? ક્યાંય ત્રણેય છબીઓ એક થતી દેખાતી હોય એવો કોઈ ત્રિભેટો આંખોને દેખાય છે ખરો? શ્રી મકરન્દ દવેની રચનાઓને સમજવા અને સમજાવવા માટે ક્યાંક વિચારનો પ્રસાર અને વિસ્તાર ખૂબ નાનો પડતો જણાય એ અનુભૂતી ખૂબ સહજ છે, આશા છે એથી વધુ આપને પહોંચે. બધી કૃતિઓની પહેલા જેના વિશે અક્ષરનાદમાં લખવાની ધૃષ્ટતા હું કરતો હોઊં છું ત્યાં આ કૃતિ વિશે તેના પછી પણ સંતાઈને લખવા જેવું કર્યું છે. ક્યાંક એ અંતિમ મુક્તકનો આવિર્ભાવ તો નથી ને !

આપનો પ્રતિભાવ આપો....