ચાણક્યના નીતિશાસ્ત્રના કેટલાક સૂત્રો 17


વિકાસની વાતોમાં નીતિશાસ્ત્ર એ પહેલું પગથિયું છે. જો તમે રાજનીતિ, સમાજનીતિ, અર્થનીતિ વગેરેમાં પારંગત હો, જાણકાર હો તો જીવનમાં સફળતાનાં દ્રાર આપોઆપ ખૂલી જાય છે, લોકચાહના મળે છે તથા જીવન જીવવાનો સંતોષ મળે છે. માનવીની તેજસ્વિતા તથા ગહન બુદ્ધિની પરીક્ષા એ જ છે કે તે ચાણક્યના લખેલા નીતિશાસ્ત્રની એરણ પર ખરી ઊતરે! જો તમે આ નીતિશાસ્ત્ર સમજો, વ્યવહારમાં ઉતારો તો દરેક મુશ્કેલ પળમાં પણ એ કામ આવશે. આવા અદભૂત જ્ઞાનના કેટલાક અંશો અહી આપવા કોશિશ કરી છે, જેથી આ નીતિશાસ્ત્રનો આસ્વાદ સૌ માણે. તેના વિચારોને ટૂંકી જાણકારીના સ્વરૂપમાં કોઈપણ જાતની ટીકા-ટિપ્પણી વગર આપ્યા છે.

ભવિષ્યની આપત્તિથી બચવા માટે ધનની બચત કરવી જોઈએ.

જ્યાંઆદર સન્માન ના હોય ત્યાં આજીવિકાનું સાધન ના મળે ત્યાં રહેવું નહિ.

કામ સોંપો ત્યારે નોકરીની, દુઃખમાં ભાઈ તથા મિત્રની અને ધન નાશ પામે ત્યારે પત્નીની સાચી ઓળખ થાય છે.

જે નિશ્વિતને છોડી, અનિસ્વિતની પાછળ દોડે છે, તે નાશ પામે છે.

નીચ વ્યક્તિ પાસે પણ કોઈ સારો ગુણ વિદ્યા હોય તો શીખી લેવું.

મીઠી મીઠી વાતો કરે, પણ પાછળ કામ બગાડે તે મિત્રનો ત્યાગ કરવો.

મનમાં વિચારેલી વાતને જાહેર કરવાને બદલે તેને કાર્યાન્વિત કરવી.

જેમ બધા પર્વતો પર રત્નો નથી મળતાં, તેમ બધાં સ્થાને સજ્જનો નથી મળતાં.

ખરાબ ચારિત્ર્યવાળા તથા વિના કારણ હાનિ પહોંચાડનારા સાથે મિત્રતા કરશો તો નાશ પામો છો.

મનુષ્યના વહેવારથી તેના કુળનો પરિચય મળી જાય છે.

દુષ્ટ વ્યક્તિ અને સાપ એ બન્નેમાં સાપ વધુ સારો છે, કારણકે તે એક જ વાર કરડે છે.

વિદ્યા વગરનો માણસ હંમેશા ઉપેક્ષિત રહે છે.

પુરુષાર્થ કરવાવાળો કદાપિ ગરીબ રહેતો નથી.

જેમ એક સુગંધિત વૃક્ષ આખા બગીચામાં ફોરમ ફેલાવે છે તેમ એક સુપુત્ર આખા કુટુંબની શોભા વધારે છે.

જેમ એક સુકા વૃક્ષને આગ લાગતાં આખું જંગલ બળી જાય છે, તેમ એક મુર્ખ પુત્ર આખા કુટુંબને નષ્ટ કરી નાખે છે.

જ્યાં પતિ-પત્ની વચ્ચે ઝધડો થતો નથી ત્યાં લક્ષ્મી આવીને વસે છે.

આ સંસારમાં ત્રણ વાતથી શાંતિ મળે છે, – સારું સંતાન, પતિવ્રતા સ્ત્રી તથા સજ્જનનો સત્સંગ.

જેમાં દયા અને મમતા ન હોય તેવા ધર્મનો ત્યાગ કરવો.

સોનાની ચાર કસોટી છે – ઘસવાનું, કાપવાનું, તપાવવાનું તથા કૂટવાનું. એમ મનુષ્યની પણ ચાર કસોટી છે. – સજ્જનતા, ગુણ, આચાર, વ્યવહાર.

સાફ વાત કરવાવાળો ધોખેબાજ નથી હોતો.

શ્રેષ્ઠ પુરુષોની ઓળખાણ તેમના ગુણોથી થાય છે.

જ્ઞાનથી ધર્મની રક્ષા કરી શકાય છે.

સત્યના લીધે જ પૂથ્વી સ્થિર છે.

આ સંસારમાં લક્ષ્મી, જીવન, યૌવન સર્વ નાશવંત છે, ફક્ત ધર્મ સ્થિર છે.

મનુષ્ય જેવું ધન કમાય છે, તેવું જ સંતાન જન્મે છે.

સંતોષથી મોટું કોઈ સુખ નથી, લાલચથી મોટો કોઈ રોગ નથી.

વિદ્રાનની હંમેશા પ્રશંશા થાય છે.

જે બીજાના ભેદ પ્રગટ કરે છે, તે નષ્ટ થઈ જાય છે.

જેનામાં યોગ્યતા નથી, તેને ઉપદેશ આપવો વ્યર્થ છે.

આ સંસારમાં એવો કોઈ ઉપાય નથી, જેનાથી દુર્જનને સજ્જન બનાવી શકાય.

જે પોતાનો સમુદાય છોડી, બીજાના સમુદાયમાં આશ્રય લે છે, તે નષ્ટ થઈ જાય છે.

જે ધન પ્રત્યે આસક્તિ રાખે છે, તે સત્ય બોલી શક્તો નથી.

સજ્જન પુરુષનાં દર્શનથી પુણ્ય પ્રાપ્ થાય છે, કારણકે તે તીર્થસ્વરૂપ છે.

વ્યક્તિને દરેક સ્થાનેથી કાંઈક ને કાંઈક શીખવા મળે છે.

વગર વિચારે બોલવાવાળો જલદીથી નાશ પામે છે.

બુદ્ધિમાન વર્તમાન સમય પ્રમાણે જ કામ કરે છે.

સ્નેહ અને પ્રેમ બધાં દુઃખોનું મૂળ છે.

આવનાર વિપત્તિનો વિચાર કરી તેનો સામનો કરવા તૈયાર રહેનાર સુખી થાય છે.

પ્રજા એવું જ આચરણ કરે છે જેવું રાજા (રાજનેતા) કરે છે.

મનુષ્ય પોતાના વિચારોનો જ દાસ છે.

આ પૃથ્વિ પર ત્રણ જ રત્ન છે, પાણી, અન્ન અને હિતકારી વચન.

સુપાત્રને દાન અથવા બુદ્ધિમાનનું જ્ઞાન આપોઆપ જ રેલાઈ જાય છે.

જે વ્યક્તિ અવસર પ્રમાણે પોતાની ગરિમા પ્રમાણે બોલે છે – તે જ વ્યક્તિ મહાન છે.

સજ્જન વ્યક્તિ નિર્ધન થઈ જવા છતાં સજ્જનતા નથી છોડતી.

મનુષ્યને સારા ગુણોથી શ્રેષ્ઠતા મળે છે – ઊંચા આસનથી નહીં.

પુસ્તકોમાં પડેલી વિદ્યા તથા બીજા પાસે પડેલું ધન શા કામનું !

જે જેવો વ્યવહાર કરે, તેવો વ્યવહાર તેની સાથે કરવો.

જેનામાં લોભ હોય, તેને બીજી બુરાઈની શી જરૂર!

જે સત્ય બોલે છે, તેને તપ કરવાની શી જરૂર છે !

જે લોકો સંસારમાં ફક્ત ધનની ઇચ્છા રાખે છે તે અધમ છે, જે ધન તથા સન્માન બન્નેની આશા રાખે છે તે મધ્યમ છે, પણ ઉત્તમ મનુષ્યો ફક્ત સન્માનની જ આશા રાખે છે.

ચાણક્યનીતિ એ વિશ્વની શ્રેષ્ઠ ફિલોસોફી છે. એનું રહસ્ય જે સમજી શકે છે તે કોઈથી મહાન થતા નથી, જીવનમાં આગળ જવું હોય તો ચાણક્યને સમજવા પડે.

– ‘પરિત્રાણ’ માંથી સાભાર


Leave a Reply to rajeshCancel reply

17 thoughts on “ચાણક્યના નીતિશાસ્ત્રના કેટલાક સૂત્રો