પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે નવી આશાનું કિરણ : તોતો ચાન – તરૂણ મહેતા 4


{ મૂળ મહુવાના અને હાલ પ્રસારભારતી, રાજકોટ ખાતે શ્રી તરૂણભાઈ મહેતા ફરજ બજાવે છે અને ગુજરાતી સાહિત્ય, ગુજરાતી સામયિકો અને પુસ્તકો પ્રત્યે તેમનો પ્રેમ અનન્ય છે. એક સારા કવિ અને લેખક હોવા સાથે તેઓ એક અચ્છા સમીક્ષક પણ છે. તોતો ચાન પુસ્તકનું બાળમાનસ પરિચય અને બાળ શિક્ષણ ક્ષેત્રે એક આગવું સ્થાન છે અને એ પુસ્તક વિશે, તેના મુખ્ય પાત્ર એવી તોત્સુકો કુરોયાનગી ની અનુભવની સચ્ચાઈ વિશે અહીં સુંદર વિવરણ છે. તેને પ્રાથમિક શિક્ષણના સંસ્મરણોનો સાચો ગ્રાફ પ્રસ્તુત કર્યો છે. તેણીને જગતભરનાં માતા પિતાને તેના બાળકોને અપાતા શિક્ષણની પધ્ધતિ અંગે ઘણું કહેવું છે. તેણે કેટલુંક બહુંજ અગત્યનું ખૂબ સહજભાવે કહી દીધું છે. આ નવલકથામાં ભાષા પ્રપંચ નહીં, પરંતુ અનુભવની સચ્ચાઈનો રણકો છે. આ સુંદર પુસ્તક્ની સમીક્ષા બદલ શ્રી તરૂણભાઈ મહેતાનો ખૂબ ખૂબ આભાર. આશા છે આવા સુંદર લેખો તેમની કલમથી આગળ પણ મળતા રહેશે. }

તોતો ચાનતોત્તો ચાન આ જ નામના પુસ્તકની નાયિકા નું નામ છે, તેના જીવનમાંથી અનુભવોનું આકલન કરી ‘તોમોએ’ શાળામાં જે પધ્ધતિથી શિક્ષણ આપવામા આવતું તેની સ્મૃતિ રૂપે આ પુસ્તક લખાયું છે. આ પુસ્તકમાં બાળ માનસે ઝીલેલા નર્યા વાસ્તવિક અનુભવોનો ભંડાર છે. તેમાં લેખિકાનું દ્રષ્ટિબિંદુ સાહિત્યકાર તરીકેનું નથી, એટલે આ પુસ્તકને સાહિત્યિક દ્રષ્ટિકોણથી મૂલવવા કરતા લાગણી અને બાળમાનસશાસ્ત્રીય અભિગમથી મૂલવવાં જેવું છે. નવલકથાના સ્વરૂપમાં લખાયેલી કથામાં સ્વગોક્તિ છે તેથી મોટાભાગે સ્મરણકથા બની રહે છે.

લેખિકા તોતો ચાન આજે આખા જાપાનની મશહૂર ટી.વી કલાકાર તોત્સુકો કુરોયાનગી છે. તેને પ્રાથમિક શિક્ષણના સંસ્મરણોનો સાચો ગ્રાફ પ્રસ્તુત કર્યો છે. તેણીને જગતભરનાં માતા પિતાને તેના બાળકોને અપાતા શિક્ષણની પધ્ધતિ અંગે ઘણું કહેવું છે. તેણે કેટલુંક બહુંજ અગત્યનું ખૂબ સહજભાવે કહી દીધું છે. આ નવલકથામાં ભાષા પ્રપંચ નહીં, પરંતુ અનુભવની સચ્ચાઈનો રણકો છે.

સમજુ નાગરીકે આ પુસ્તકને શ્રધ્ધાથી વાંચવુ જોઈએ. બાળકોને સાચી કેળવણીના અર્થો શીખવવા માટે ખૂબ ઉપયોગી પુસ્તક છે. અહીં આખી કથામાં લેખિકાનો શ્રધ્ધા આદર્શનો સૂર તેમની તોમોએ શાળા અને આચાર્ય કોબોયાશી તરફ પ્રગટે છે. કોબોયાશીના કાર્યમાં લેખિકાની શ્રધ્ધા પણ એક ઉંચો આદર્શ જમાવે છે.

પુસ્તકના આમુખમાંજ લેખિકા જણાવે છે, “આ પુસ્તકમાં આલેખાયેલી કોઈ પણ ઘટના ઉપજાવી કાઢેલી નથી. એ બધીજ ઘટનાઓ સાચેસાચ બનેલી. આવા તો અનેક પ્રસંગો હતા, ને તેમાંથી આટલાંક સદભાગ્યે બરાબર યાદ રહી ગયેલાં. એ કાગળ પર ઉતારી લેવાની તીવ્ર ઈચ્છા…..”

આખીય કથાયાત્રા દરમ્યાન કોબોયાશીનું એક વાક્ય “તું સાચે જ ખૂબ સારી છોકરી છે !” નું દ્ર્ઢીકરણ અને લેખિકાના વર્તનમાં આવેલ નોંધપાત્ર પરિવર્તનની ઘટનાનુંજ વસ્તુ નિરૂપણ છે. કદાચ આ વાક્યએ લેખિકાના જીવનમાં અસર ન કરી હોત તો તેની ઉપર ખૂબ નઠારી છોકરી ની કાળી ટીલી લાગી ગઈ હોત, અને તે ઘણી ગ્રંથીઓથી પીડાતી હોત.

તોમોએ સ્કૂલએ રેલ્વેના ડબ્બામાં ચાલતી એકદમ બિન પ્રણાલીગત પ્રાથમિક શાળા હતી. જે તદ્દન મુક્ત વાતાવરણમાં ચાલતી હતી. યુધ્ધના ભીષણ વાતાવરણ વચ્ચે પણ આ નિશાળ ચાલતી હતી તેના મહત્વના બે કારણો હતા.
૧. આ નિશાળ તદ્દન બિન પરંપરાગત હતી તેમાં સરકારનો કોઈ હસ્તક્ષેપ ન હતો.
૨. શાળાના અધિકારીઓનો કોબાયાશી તરફ આદરભાવ અને સારો સંબંધ. આ નિશાળની એ વિશેષતા હતી, કે જ્યાંથી સમય પૂરો થયા પછી પણ બાળકો ઘરે જવાનું નામ ન લેતા! કોબાયાશી એવું માનતા કે બાળકને એજ ભણાવી શકે જેઓ બાળકને પ્રેમપૂર્વક જાણી શકે! બાળકની મનોવૃતીને સમજી તેની રસ રુચિ મુજબ મુક્ત કામ કરવાં દેવા એ જ તોમોએ સ્કૂલના ટીચરની લાયકાત હતી.

નવલકથાનો ઉદભવ પણ સુંદર રીતે થયો. મહિલા સામાયિકમાં લેખિકાએ ‘તોમોએ’ વિશે એક લેખ લખેલ તે કોન્દાશા સંસ્થાના તંત્રી કાશુહિસા કાતોએ વાચ્યો અને તેને રસ પડ્યો. પછી લેખિકાને વિનંતી કરી કે તમે વિસ્તારથી લખો. Young Woman સામાયિકમાં ૧૮૭૯ થી ૧૯૮૦ ના સમયગાળા દરમ્યાન હપ્તાવાર પ્રગટ થઈ તે જ છે “તોતોચાન”. આ કથા જ્યારે હપ્તાવાર પ્રસિધ્ધ થતી હતી ત્યારે તેના માટે ચિત્રોની જરૂર પડતી હતી ત્યારે લેખિકાના મિત્ર ચિહિરો ઇવાસાકી (Chihiro Evasaki) ભાવ અનુરૂપ ચિત્રો દોરી આપતી તેની લેખિકા પર ખૂબ ઊંડી અસર છે. ચિહિરો ૧૯૭૪માં અવસાન પામી. તેને બાળકોની વિવિઘ ભાવ મુદ્રા ઉપસાવતા ૭૦૦૦થી વધુ ચિત્રો તૈયાર કર્યા છે. તેનુ મ્યુઝિયમ chihiro evasaki music of picture book છે. આ લેખિકા તે મ્યુઝિયમના ટ્રસ્ટી છે.

લેખિકાની બાળપણની ટેવ પ્રતીક્ષા કરવાની હતી. બારીએ ઉભેલ બાલિકા સતત ગાવા વગાડવાની વાટ જોતી અને બારીએ એકલી-અટૂલી ઉભી રહેતી. કોઈ ગાવા – વગાડવા વાળો મળી જાય તો રાજી થઈ જાય! આ બારી આનંદ ઉમંગની બારી છે. તોમોએ સ્કૂલ હાલમાં નથી પણ ભાવકના ચિત્તમાં આ સ્કૂલ તાદ્રશ્ય થાય તેવી લેખિકાની અપેક્ષા છે. અને તેમાં તે મોટે ભાગે પાર ઉતરી છે.

આ પુસ્તકની લોકચાહના લેખિકાની સચ્ચાઈ અને લાગણીની સાક્ષી પૂરે છે. પુસ્તક છપાયું તે જ વરસે તેની ૪૫ લાખ નકલો વેચાઈ હતી. ૨૦૦૩ સુધીમાં ૬૫ લાખ નકલો વેચાઈ ચૂકી હતી. જાપાનના પ્રકાશન વિશ્વમાં આ વિશ્વવિક્રમ છે અને તે પણ એક મહિલા લેખિકા દ્રારા!

આ પુસ્તક જૂદીજુદી ઉંમરના લોકોએ વાંચ્યું છે. દરેકનું અલગ દ્રષ્ટીબિંદુ હોય પણ આશ્ચર્યની વાત તો એ છે કે બીજા ધોરણના છોકરાઓ પણ શબ્દકોષની મદદથી આ પુસ્તક વાચતાં હતાં. ૫ થી માંડીને ૧૦૩ વર્ષની વય જૂથના લોકોએ આ પુસ્તકને વાંચ્યું છે અને તેના પ્રતિભાવો લેખિકા માટે પ્રેરણાદાયક રહ્યા છે.

એક બાળ અપરાધીનો પત્ર પ્રતિભાવ તો કેવો હદ્દ્ય દ્રાવક છે. હાઈસ્કૂલમાં ભણતી એક છોકરી જણાવે છે કે; “જો મારી મા તોતો ચાનની મા જેવી હોત ને મારા શિક્ષક કોબાયાશી જેવા હોત તો હું આવી જગ્યાએ ન હોત.”

એક નાનકડી ઘટનાથી આ કથાનો આરંભ થાય છે. મા સાથે તોત્સુકો પહેલીવાર સ્કૂલમાં જાય છે ત્યારે ટ્રેનમાં બેસવાનો આન્ંદ હોય છે. નાનકડી બાળાના મનમાં ત્યારે જાસૂસ બનવાની ઈચ્છા હોય છે. તેમાંથી તેને ટિકિટચેકર બનવાનું મન થાય છે. અને ક્યારેક તેને ગાવા બજાવવાવાળી ટોળીમાં ભળી જવાની પણ ઇચ્છા થાય છે.

જ્યાં આ નાનકડી બાળા ભણતી હતી તે સ્કૂલમાં ખૂબ સુંદર ટેબલ હતા. તેથી તેને વારંવાર ઉધાડ બંધ કરવાની મઝા પડતી. શિક્ષિકા તેને વારંવાર ઠપકો આપતી. આ ઉપરાંત બારીમાંથી રસ્તાપરના બજાણીયાને જોઈ વર્ગમાં પણ સહજ પણે નાચી ઉઠતી તોત્સુકા શિક્ષિકાને હેરાન કરતી છોકરી બની જાય છે. અબાબીલ (પંખી) સાથે વાતો કરતી તોત્સુકાનું આવા સહજ કારણોથી સ્કૂલનું એડ્મીશન રદ થઈ જાય છે.

સમજુ માતાએ તેને સ્કૂલમાંથી કાઢી મુકવામાં આવી છે એમ ન કહ્યું પરંતુ “તને નવી સ્કૂલમાં જવાનું ગમશે?” એમ કહી રેલ્વેના ડબ્બામાં તદ્દ્ન અનૌપચારિક રીતે ચાલતી સ્કૂલમાં પ્રવેશ માટે લઈ જાય છે. બાળમાનસના મર્મત આચાર્ય કોબાયશી પાસે વિદ્યાર્થીની આવડતને પારખવાની શક્તિ હતી એટલે એકલાં નાનકડી છોકરી ને બોલાવી તેની કાલીઘેલી ભાષામાં તેના રસ-રુચિ, ગમા-આણગમા, વિચાર, વર્તન જાણી લે છે! માસ્તર સાથે ત્રૂટક વાતો કર્યા પછી ફ્રોક, મા, વાતાવરણ, ઘર વગેરેની વાતો કરી. કોબાયાશી સાથે તોત્સુનો સંવાદ લગભગ ચાર કલાક સુઘી ચાલે છે. સાત વરસની છોકરી પાસે ચાર કલાક બોલવાનો ખજાનો છે તે વાતથી તો તેની માતા પણ આશ્ર્વર્ય પામી ગઈ!

તોમોએ સ્કૂલનું આગવું પાસું એ હતું કે તેમાં ચીલાચાલુ શિક્ષણ આપવામાં ન આવતું, પરંતુ પુસ્તકો ઉપરાંત યુરિદિમક્સ (અંગકસરતો) પણ કરાવાતી આ અભ્યાસ દાખલ કરવા પાછળ બાળકના વ્યક્તિત્વમાં તાલ – વ્યાયામનો પ્રભાવ પડે અને વિકાસ સ્વાભાવિક બની રહે તે હતો. તોમોએ સ્કૂલનો સૌથી વિલક્ષણ પ્રયોગ તો છોકરા – છોકરીને નગ્ન થઈ નહાવા દેવાનો હતો, જેનાથી માનસિક વિચારોનું શમન થાય. સ્વસ્થ માનસ બનાવી શકાય. આ ઉપરાંત તેમાં સમૂહ ભોજન, સહપ્રવાસ જેવી સંઘ ભાવનાના દ્રઢીકરણની પ્રવૃતિઓ પણ હતી. કવિ ઈસ્સાના હાઈકુઓ પ્રાર્થનામાં ગવાતા. રોજ જમતાં પહેલાં પ્રાર્થના થતી.ઈ-તા-દા-કિ-મા-સુ.
કવિ ઇસ્સાના કેટલાક હાઈકુઓઃ

૧. કૃશ દેડકા,
હારી જઈશ નહી,
ઈસ્સા તારી પડખે ઉભો છે.

૨. મુરખ ચકલી,
રસ્તો છોડ,રસ્તો છોડ,
રાજવી ઘોડા માટે.

પ્રથમ વર્ષતો આમજ પસાર થાય છે બઘું જાણવા સમજવામાં ત્યારે તોત્સુકોની લાગણી એવી હોય છે; હવે આ સ્કૂલમાં ક્યારેય રજા ન પડે! કારણ અહીં યુક્તિથી ભણતર શીખવાતું હતું.

એક મીંડુ એમાં ટપકું
બીજુ મીંડુ, એમાંય ટપકું
નાકને નામે ક્રોસ
ત્રીજુ મીંડુ, એમાં ડબકું
ત્રણ, ત્રણ, ત્રણ, ત્રણ વાર
પલકારામાં બની જશે રે
જાડી પાડી, હાઊસ ડ્રાઊ.

સ્કૂલમાં બીજે વર્ષે તો ખેતીવાડી, રસોઈ જેવી બઘી વસ્તૂઓ શિખવાડવામાં આવતી હતી. આ બઘું શિખવા માટે તોમોએ સ્કૂલના છોકરાઓ અતિશય ખૂશ હતાં. મુક્તશિક્ષણની આ એક આદર્શ સંસ્થામાં કાશ ભણવાનું…..

સ્કૂલ માંથી જ્યારે સૈનિકો પાસે લઈ જવામાં આવે છે ત્યારે બઘા ગીતો ગાય છે અને તોત્સુકા ચૂપ છે. એક સૈનિક ચૂપ ઉભેલી છોકરીને જોઈ આગ્રહ પૂર્વક ગાવાનું કહે છે ત્યારે તોત્સુકા ખાતી વખતે ગાવાંનું ગીત ગાય છે.

“ચાવો, ચાવો, ચાવો સારી રીતે ચાવો,
જે કઈ ખાવો છો તે ચાવો ખાસ”

આ ગીત સાંભળી સૈનિક રોવા માંડે છે તેને તેની નાનકડી દીકરી યાદ આવી જાય છે. પછી જાપાનમાં વિશ્ર્વ યુદ્ઘનો આરંભ થાય છે તે વિભીષિકાનું વર્ણન છે.

એક ફેરિયા પાસેથી ઝાડની છાલ ખરીદવાની ઈચ્છા થઈ કારણ તે છાલથી રોગ પારખી શકાય છે. માટે કૂતરો બીમાર છે કે નહીં તે જાણવા હેડમાસ્તર પાસે જતી નાનકડી બાળામાં વિશ્ર્વ ભાવના કેળવાતી દેખાય છે.
નાનકડા યાસુકી ચાનના મૃત્યુની ખબર પડતા લેખિકા તેની કબર પાસે જઈને કહે છેઃ “હવે આપણે મળીશું ત્યારે તારો પોલિયો મટી ગયો હશે. હવે હું તને ‘ટોમ અંકલ’ પાછી નહીં આપુ? “ત્યારે કબરમાંથી યાસુકી ચાનનો અવાજ સંભળાય છે કે “હવે હું તને ક્યારેય નહીં ભૂલું!”

આમ, દિલોજાન મૈત્રી, ઉદારતા, કરુણતા,સહજતા, અને મુક્ત શિક્ષણની વિભાવના કરતી આ કથામાં હજી ઘણું બઘું એવું છે જે આપણે વાંચવુ જ રહ્યું. બાળમાનસને સમજવા માટે આ પુસ્તક આપને અવશ્ય ઉપયોગી નિવડ્શે .આપની સાથે આપના બાળકના સ્નેહ તંતુને પણ મજબૂત કરશે તેવી શ્રધ્ધા છે.

અંત માં ઈસ્સાનું એક કાવ્યઃ

બરફ પીગળે છે
અને અચાનક આખુંય ગામ
ઉભરાય જાય છે
બાળકો થી !!!

– તરૂણ મહેતા


Leave a Reply to PinkiCancel reply

4 thoughts on “પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે નવી આશાનું કિરણ : તોતો ચાન – તરૂણ મહેતા