ભજન કરે તે જીતે – શ્રી મકરન્દ દવે 8


વજન કરે તે હારે રે મનવા,

ભજન કરે તે જીતે

તુલસી દલથી તોલ કરો તો,

બને પર્વત પરપોટો

અને હિમાલય મૂકો હેમનો

તો મેરુથી મોટો

આ ભારે હળવા હરિવરને

મૂલવવા શી રીતે ! –

રે મનવા, ભજન કરે તે જીતે.

એક ઘડી તને માંડ મળી છે

આ જીવતરને ઘાટે,

સાચખોટના ખાતાં પાડી

એમાં તું નહીં ખાટે,

સહેલીશ તું સાગર મોજે કે

પડ્યો રહીશ પછીતે?

રે મનવા, ભજન કરે તે જીતે

આવ, હવે તારા ગજ મૂકી,

વજન મૂકીને, વરવા,

નવલખ તારાં નીચે બેઠો

ક્યાં ત્રાજવડે તરવા ?

ચૌદ ભુવનનો સ્વામી આવે

ચપટી ધૂળની પ્રીતે

રે મનવા, ભજન કરે તે જીતે

 – મકરન્દ દવે.

ભજન અને દુન્યવી વેપારની સરખામણી તો શક્ય જ નથી, શ્રી મકરન્દ દવે અહીં કહે છે કે વજન કરે તે હારે અને ભજન કરે તે જીતે, જીવનનાં વેપારમાં કયા ત્રાજવા કાટલા વાપરીશ? કવિ પોતાના મનને સમજાવે છે કે પ્રભુ તુલસીદલની સામે હળવાફૂલ પરપોટા જેવા થઈ જાય છે તો સામે પર્વતથી પણ ભારે થઈ શકે છે. આ હળવા ભારે હરીને મૂલવવાની કોઈ રીત નથી એમ તેઓ મનને સમજાવે છે.

જીવતર માટે માંડ એક ઘડી મળી છે, તો એમાં સાચ ખોટની, દુન્યવી સરખામણીઓ કરવાની છોડીને આનંદ સાગરની સહેલ માણવા તેઓ મનને સમજાવે છે. તેઓ મનને સમજાવતા કહે છે કે પ્રભુ માપવાનાં ગજ – ત્રાજવા મૂકી દે, નવલખ તારા નીચે બેસીને પ્રભુને કયા ત્રાજવે તોળીશ? ચૌદ ભુવનના સ્વામી પ્રભુ એક ચપટી ધૂળથી પણ જો સાચો પ્રેમ હોય તો, દોડતા આવે છે, આમ આ કાવ્યમાં કવિશ્રી મનને સાંસારીક વાતોમાંથી મુક્ત થઈ ભજનમાં મન લગાડવા કહે છે.


આપનો પ્રતિભાવ આપો....

8 thoughts on “ભજન કરે તે જીતે – શ્રી મકરન્દ દવે

  • kedarsinhji m jadeja

    પ્રભુજી ની રચના

    પ્રભુજી તારી રચના ન્યારી ન્યારી
    કોઇ કોઇ લાગે અચરજ કારી, કોઇ શુંદર કોઇ ન્યારી…

    અખિલ બ્રહ્મમાંડ ના પાલન હારા, પ્રુથ્વિ બનાવી બહુ સારી
    સુરજ ચાંદો નવલખ તારા, શોભા સઘડી તમારી..

    નગાધિરાજ હિમાલય શિખરો, પહોંચે ગગન અટરી
    રતનાકર નો તાગ મએળવવામાં, કોઇની ફાવી નહિ કારી…

    માતંગ જેવા મહા કાય બનવ્યા, સુક્શ્માં કિધી કલાકારી
    જલચર સ્થલચર નભચર બનાવ્યા તેં, કરતાં ફરે કિલકરી…

    અણુએ અણુ માં વાસ તમરો, કણ કણ મૂરતી તમારી
    અણ સમજુને સમજ ન આવે, ભક્ત ને ભાસે છબિ તારી

    દીન “કેદાર” ના દીન દયળૌ, અનહદ કરુણા તમરી
    ભાવ થકી સદા ભુધર ભજું હું, રાખજો એવી મતી મારી..

  • Chandra

    Makarandbhai, tamari prabhu bhajan ni rachna khubaj sunder che
    aaj pramane tulsi bhajan pirasta rahesho………………

    Comment by Chandra Vaitha

  • Heena Parekh

    વજન કરે તે હારે રે મનવા,ભજન કરે તે જીતે-બસ આટલી બે પંક્તિ સમજાઈ જાય તેને કોઈ વેદ ભણવાની જરૂર ના રહે. જેવું પૂ. મકરંદભાઈનું વ્યક્તિત્વ સરળ હતું તેવા જ સરળ શબ્દોમાં કઠિન વાતને એકદમ હળવી કરીને તેમણે મૂકી છે.